શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

વાહ રે..મોદી વાહ...

વગર પ્રચારે પાંચ સીટોમાં કમળ ખિલાવ્યું

તાજેતરમાં ઈજરત જહા એન્કાઉન્ટર મુદ્દે મેજિસ્ટ્રેટ એસપી તમાંગના રિપોર્ટના સંદર્ભમાં એક લેખ લખેલો અને દુનિયાભરના ગુજરાતી ભાઈઓની ટીકાનો ભોગ બનવું પડેલું. લેખ બાદ અંસખ્ય આક્ષેપો પણ મારા
W.D
W.D
પર લાગેલા. કોઈએ કહ્યું કે, મેં કોંગ્રેસ સરકાર પાસેથી નાણા ખાંધા છે તો કોઈક કોંગી સમર્થકે એમ પણ લખ્યું કે, આ લેખ લખવા બદલ આપને અભિનંદન.


ખૈર મેં જે લખ્યું હતું તે એક પત્રકાર તરીકેની મારી ફરજનો ભાગ હતો. એક પત્રકારની ભૂમિકા એ છે કે, તે વર્તમાનમાં ઘટતી ઘટનાઓનો પૂરતો અભ્યાસ કરીને તેના તારણો કાઢીને લોકો સમક્ષ તેનો ચિત્તાર રજૂ કરે જે મેં કર્યું. મારે ન તો કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતા સાથે વાધો છે અને ન તો ગુજરાતના લોકલાડિલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે.

આખરે હું પણ એક ગુજરાતી છું. આજનો આ લેખ વાચીને આપને તેનો વિશ્વાસ જરૂર આવી જશે.

સાચે જ મોદીને જેટલી શુભકામનાઓ પાઠવવામાં આવે તેટલી ઓછી છે. લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ પરસ્પર લડતી-ઝગડતી અને પૂરી રીતે વિભાજીત થયેલી ભાજપા પાર્ટી માટે મોદી ઉમંગનો અવસર લઈને આવ્યાં છે. ગુજરાતમાં વિધાનસભા ઉપચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી પાંચ સીટો છિનવી લઈને મોદીએ એ કહેવત સિદ્ધ કરી દેખાડી છે કે, ' ભલે સો દિવસ સુથારના પણ એક દિવસ લુહારનો હો ભાઈ...

ગત લોકસભા ચૂંટણીમાં મોદીનો જાદૂ એટલો કામ કરી શક્યો ન હતો.જ્યારે રાજ્યની જૂનાગઢ મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો પણ કોંગ્રેસના પક્ષમાં ગયાં હતાં. પરંતુ આ વખતે જસદણ, ચોટીલા, દેહગામ, દાંતા અને સમી હારીજ સીટ કોંગ્રેસ પાસેથી છીનવીને મોદીએ ભાજપનો વિજયી વાવટો ફરકાવ્યો છે. જો કે, કોંગ્રેસ ભાજપ પાસેથી કોડિનારને છિનવામાં અને ધોરાજીની બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યું.

જસદણમાં તો કોંગ્રેસને જાણે આંચકો જ લાગ્યો છે. આઝાદીથી કોંગ્રેસનો ગઢ ગણાતા આ પંથકમાં ભાજપે ત્રણ ટમથી વિજયી થતાં કુંવરજીભાઈ બાવળિયાની સત્તાનો કચ્ચડઘાણ કરી નાખ્યો છે. આ વખતે તેમની પુત્રી ભાવના બેન બાવળિયા ઉભી રહી જતી જેને ભાજપના ભરતભાઈ બોઘરાએ પરાજીત કરી. ચોટિલા વર્ષોથી કોંગ્રેસ પાસે હતું પરંતુ અહીંયા પણ ભાજપે ઉલટફેર કર્યો. કોંગી ઉમેદવાર પોપટભાઈ જિંદરિયાના અવસાનથી ખાલી પડેલી કોંગ્રેસની આ સીટ પર ભાજપના ઉમેદવાર વશરામ કોરણાએ કમળનું ફૂલ ખિલાવ્યું છે.

જો કે, કોંગ્રેસે કોડિનારની સીટ ભાજપ પાસેથી છિનવી લીધી છે અને કોંગી ઉમેદવાર ધીરસિંહ બારડ વિજેતા બન્યાં. આ ઉપરાંત તેણે ઘોરાજીની બેઠક પણ જાળવી રાખી. જ્યાં ધારાસભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાનો વિજય થયો. દાંતા અને જસદણ જેવી બેઠકોમાં ભાજપે ગુજરાતની સ્થાપના બાદ પ્રથમ વખત કેસરિયો લહેરાવીને ઈતિહાસ સર્જયો.

આ ઉપચૂંટણી એ સમયે યોજાઈ જ્યારે મેજિસ્ટ્રેટ એસપી તમાંગના રિપોર્ટથી મોદી સરકારની છબી પર કલંક લગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો . રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે,
W.D
W.D
મહારાષ્ટ્રના થાણેની જે 19 વર્ષીય યુવતી ઈશરત જહાઁને ત્રણ અન્ય તથાકથિત આતંકવાદીઓ સાથે પોલીસ એન્કાઉન્ટરમાં મારવામાં આવી હતી તે એન્કાઉન્ટર બનાવટી હતું અને પોલીસ અધિકારીઓએ પ્રમોશન તથા પ્રશાસનની પ્રશંસા મેળવવા માટે આ ભયજનક કાર્ય કર્યું હતું.


જો કે, ગુજરાત સરકારે તેના માટે હાઈકોર્ટમાં જવાની વાત કહી હતી પરંતુ મીડિયાના દિવસ-રાતના પ્રચારના કારણે સંભવત: માહોલ સરકારની વિરુદ્ધ બની ગયો હતો પણ આશ્વર્યની વાત તો એ છે કે, મોદી દ્વારા ચૂંટણી પ્રચાર ન કરવામાં આવવા છતાં ભાજપે કોંગ્રેસ પાસેથી પાંચ સીટો છિનવી લીધી. જેનાથી નરેન્દ્ર મોદીની રાજ્ય ભાજપમાં નિર્વિવાદ અને નિર્ણાયક હૈસિયત વધુ વધશે.

મધ્યપ્રદેશમાં પણ ભાજપે કોંગ્રેસ પાસેથી તેંદુખેડા સીટ છિનવી લીધી છે ખેર કોંગ્રેસ અહીં ગોહદ સીટ બચાવામાં સફળ રહ્યું છે. આ તરફ ઉત્તરાખંડમાં પણ ભાજપે કોંગ્રેસ પાસેથી એક સીટ છીનવીને વિધાનસભામાં હવે પૂર્ણ બહુમત પ્રાપ્ત કરી લીધો છે. આ જીત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે, લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપના સુપડા સાફ થઈ ગયાં હતાં અને ત્યારના મુખ્યમંત્રી ભુવનચંદ્ર ખંડૂરીને રાજીનામું આપવું પડ્યું હતું. આંધ્રપ્રદેશમાં જીત કોંગ્રેસની થઈ છે જ્યારે સિક્કિમમાં સત્તારૂઢ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટે પોતાનો કબ્જો જાળવી રાખ્યો છે.

મોટાભાગે એમ કહી શકાય કે, તમામ ઉપચૂંટણીમાં સત્તારૂઢ પાર્ટીઓએ પોત-પોતાના રાજ્યોમાં પોતાની સ્થિતિ જાળવી રાખી છે અને ભાજપ શાસિત ત્રણ રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં મતદાતાઓ પર ભાજપની પકડ પહેલા કરતા વધુ મજબૂત બની છે. તેનાથી ભાજપનો અંતિમ શિલાલેખ લખનારા વિશ્લેષકોને સાવધાન થવું પડશે.

Janaksingh Zala
Sub Editor (Webdunia.Pvt.Ltd)
Mo.09754144124