બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

સબમરીનનું નામ બદલો નહીં તો...!

'અરિહંત' શબ્દને લઈને જૈન મુનિઓમાં ઉઠ્યો વિરોધનો સૂર

દર વર્ષની જેમ આ વર્ષે પણ 26 જુલાઈ-09 રવિવારનો દિવસ સમ્રગ ભારતભરમાં વિજય દિવસના નામે ઉજવાયો.
W.D
W.D
આ દિવસે દેશના વડાપ્રધાન મનમોહન સિંહે ભારતની પ્રથમ પરમાણુ સબમરીન ''આઈએનએસ અરિહંત'' ને નૌસેનામાં શામેલ કરી અને આ સાથે જ આપણો ભારત દેશ દુનિયાનો છઠ્ઠો એવો દેશ બની ગયો છે જેની પાસે આ ક્ષમતા પ્રાપ્ત છે.


112 મીટર લાંબી અને છ હજાર ટન વજન ધરાવતી આ સબમરીનનું ડો. મનમોહન સિંહે રવિવારે વિશાખાપટ્ટનમ ખાતેથી જલાવરણ કર્યું. આશરે 30 હજાર કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી આ સબમરીનમાં એક સાથે 95 લોકો મુસાફરી કરી શકે છે અને તે 700 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે.

ભારત દ્વારા સુરક્ષાની પહેલના ભાગરૂપે ભરવામાં આવેલું આ પગલું જ્યારે આપણા દેશના દરેક દેશવાસી માટે ગર્વ કરવા સમાન છે ત્યારે બીજી તરફ આ સબમરીનના નામને લઈને એક સમુદાયના લોકોમાં વિરોધનો વંટોળ છવાયો છે.

સબમરીનનું નામ ''આઈએનએસ અરિહંત'' રાખવામાં આવ્યું હોવાથી ભારતના ખાસ કરીને મહારાષ્ટ્રના જૈન મુનિઓમાં રોષ ફેલાયો છે ? તેઓની લાગણી દુભાઈ છે તેઓ કહે છે કે, ''આઈએનએસ અરિહંત'' નામ જ શા માટે ? મુનિઓ કહે છે કે, ' અમારો ધર્મ અહિંસાના માર્ગને અનુસરનારો ધર્મ છે. સબમરીન એક એવું શસ્ત્ર છે જે એક સાથે હજારો જીંદગીને ખતમ કરી નાખે છે અને દુ:ખની વાત તો એ છે કે, તેનું નામ પણ અમારા ભગવાનના નામ પર રાખવામાં આવ્યું છે.'

પ્રથમ દૃષ્ટિએ જોઈએ તો તેમની વાત સાચી છે પરંતુ દ્રિતીય દૃષ્ટિએ સબમરીનનું આ નામ યોગ્ય લાગે છે કારણ 'અરિહંત' શબ્દનો સંસ્કૃતમાં સમાનાર્થ જ 'દુશ્મનોને હણનાર' એવો થાય છે.

જૈનીઓએ પણ આ જ સમાનાર્થ સ્વીકારેલો પરંતુ તેઓએ અહીં મનુષ્યના દુશ્મન તરીકે બાહ્ય વ્યક્તિ નહીં પરંતુ તેની અંદર પ્રવર્તતા તેના આંતરિક દુર્ગુણો જેવા કે, કામ, ક્રોધ, લોભ, અને મોહ-માયાને નષ્ટ કરનાર પરમેશ્વરને 'અરિહંત' કહ્યો.
W.D
W.D
જૈન
મુનિઓ કહે છે કે, અમારા નવકાર મંત્રની શરૂઆત પણ 'અરિહંત' ના નામ સાથે જ થાય છે ત્યારે માનવ જીંદગી લેનારી આ સબમરીનના નામ પાછળ 'અરિહંત' શબ્દને ઉપયોગમાં લેવો દેશની સરકારની ધ્યાન બહાર રહેલી ભૂલ છે જેને જેમ બને તેમ જલ્દી સુધારવામાં આવવી જોઈએ.

જૈન મુનિઓએ આ અંગે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ અને ભારતીય નૌસેનાના સંબંધિત વડાઓને પત્ર પણ પાઠવ્યાં છે. તેઓએ તેમાં લખ્યું છે કે, અમે સબમરીન પ્રોજેક્ટનો વિરોધ નથી કરી રહ્યાં અમારો વિરોધ માત્ર નામને લઈને છે. જો તેઓની માગણીનો સ્વીકાર કરવામાં ન આવ્યો તો દેશભરનો જૈન સંપ્રદાય આંદોલન પર ઉતરશે.

ખૈર આ મુદ્દે નૌસેના દ્રારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ શકી નથી. સબમરીનનું નામ બદલવામાં આવશે, કે નહીં એ તો આવનારો સમય જ જણાવશે.