શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: અમદાવાદ, , સોમવાર, 20 જૂન 2016 (12:15 IST)

હાર્દીકને ખોટા દિવસે કોર્ટમાં રજુ કરાયો

રાજદ્રોહના ગુનામાં સુરતની લાજપોર જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને આજે કોઈપણ પ્રકારની મુદ્દત ન હોવા છતાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવતા આશ્ચર્ય ફેલાયુ હતું. હાર્દિક પટેલના કેસની સુનાવણીની તારીખ ગઈકાલે વીતી ગઈહતી, જોકે, પોલીસને સમજણફેર થઈ હોવાથી  હાર્દિક પટેલને આજે કોર્ટમાં રજુ કરાયો હતો. 

પોલીસની આ ભુલની જાણ ન તો વકિલોને હતી ન તો પાટીદાર સમાજના સમર્થકોને, જેથી આજે હાર્દિક પટેલને જ્યારે કોર્ટમાં રજુ કરાયો ત્યારે ત્યાં કોઈ હાજર નહતા. જોકે, આ વાત વાયુ વેગે શહેરમાં પ્રસરી જતા પાટીદાર સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટમાં દોડી આવ્યા હતા. જોકે ત્યાં સુધીમાં પોલીસ હાર્દિક પટેલને લઈ પરત રવાના થઈ ગઈ હતી.  જેથી કરીને મીડિયા કે પાટીદારો હાર્દિક પટેલ સુધી પહોંચી શક્યા નહતા.

પોલીસને પણ આજે કોર્ટમાં ધરમનો ધક્કો ખાવો પડ્યો હતો.  કારણકે, કોર્ટે આ મામલે શુક્રવારે સુનાવણી હાથ ધરી હતી. જોકે, હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન હોવાથી આ મામલે ૨૨ જુને વધુ સુનાવણી હાથ ધરવાની જાહેરાત કરી હતી. જેથી હવે આગામી ૨૨ જુને હાર્દિક પટેલને અમદાવાદ સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સેશન્સ કોર્ટમાં હાર્દિકના કેસની સુનાવણી હોવાથી તેના સંબંધીઓ અને સમર્થકો વહેલી સવારથી જ કોર્ટ બહાર એકઠા થઈ ગયા હતા.  જોકે, પોલીસે હાર્દિકને કોર્ટમાં રજુ કર્યો નહતો. જેના પગલે પાટીદાર આગેવાનો પણ અચંબામાં પડ્યા હતા.