શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (11:56 IST)

જૂનાગઢ પાટીદારો દ્વારા ભાજપનો વિરોધ. સુરેન્દ્રનગરમાં રાજ્યસભાના સાંસદને યુવકે થપ્પડ મારી

જૂનાગઢમાં રવિવારે ભાજપ યુવા મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલ  આવ્યા હતા. જૂનાગઢ શહેર ભાજપ દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું  અને સાથે બાઇક રેલી યોજાઇ હતી. જૂનાગઢનાં મુખ્ય માર્ગો ઉપરથી બાઇક રેલી નિકળે તે પહેલા સરદારબાગ પાસે લગાડેલા ભાજપનાં બેનર વ્હેલી સવારે પાટીદારોએ ફાળી નાખ્યા હતા. તેમજ બેનરમાં કાળો કલર કરી દીધો હતો. જોકે રેલી પૂર્વે ફાટેલા બેનર ઉતારી લેવામાં આવ્યા હતા. જૂનાગઢ પાસનાં કન્વિનર કેતન પટેલે ડો.ઋત્વિજ પટેલને બકરી કહી કહ્યું હતું કે, જૂનાગઢમાં બકરીનાં આગમન પહેલા પાટીદાર સિંહોને પાંજરે પુરી દેવામાં આવ્યાં છે.જૂનાગઢમાં સુરતની ઘટનાનો પાટીદરો વિરોધ કરવાનાં હતાં.  પરંતુ તે પહેલા અમારી અટક કરવામાં આવી છે. અને એલસીબી કચેરીએ બેસાડી દેવામાં  આવ્યા હતા. તો બીજી બાજુ  સુરેન્દ્રનગરના  રાજયસભાના ભાજપી સાંસદ શંકરભાઇ વેગડ રવિવારે સમૂહલગ્નોત્સવમાં હાજરી દેવા ગયા હતા. ત્યારે તેમના પ્રવચન દરમીયાન એક શખ્સે સ્ટેજ પર ધસી આવીને તેમના હાથમાં માઇક ઝૂંટવી લીધુ હતુ. ત્યારબાદ સાંસદને ફડાકાવાળી કરતા ચકચાર ફેલાઇ હતી. જયારે અન્ય એક કાર્યક્રમ દરમિયાન સાંસદને આ અંગે પૂછતા તેઓએ આવો બનાવ બન્યો જ ન હોવાનું રટણ રટ્યુ હતુ. સુરેન્દ્રનગર સમસ્ત ભરવાડ નેસડા દ્વારા જીન કમ્પાઉન્ડમાં રવિવારે બારમા સમૂહ લગ્નનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે રાજયસભાના સાંસદ શંકરભાઇ વેગડ સહીતનાઓ હાજરી આપવા ગયા હતા. ત્યારે સ્ટેજ પરથી શંકરભાઇ પોતાનું પ્રાસંગીક પ્રવચન આપતા હતા. જેમાં તેઓએ કોઇપણ સમાજના કામ માટે તેઓ હંમેશા તૈયાર હોવાનું જણાવી વ્યસનમુકિત અને શિક્ષણ પર ભાર મૂકયો હતો. ત્યારે અચાનક પબ્લીકમાંથી એક વ્યકિતએ સ્ટેજ પર ધસી આવીને સાંસદના હાથમાંથી માઇક છીનવી લઇને કાંઇક બોલવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ માઇક બંધ થઇ જતા ગીન્નાયેલા શખ્સે સાંસદને સમૂહલગ્નોત્સવના સ્ટેજ પરથી બે ફડાકા ઝીંકી દેતા ચકચાર ફેલાઇ હતી. આ બનાવ બાદ સમાજના યુવકો તે શખ્સને પકડવા પાછળ દોડયા હતા. પરંતુ આ શખ્સ પોતાની કાર લઇને રફૂચક્કર થઇ ગયો હતો. સુરેન્દ્રનગરમાં રાજયસભાના સાંસદને જાહેરમાં ફડાકાવાળી થયાની ઘટના વાયુવેગે રાજયભરમાં પ્રસરી હતી. જયારે વઢવાણ ખાતે રબારી સમાજના સમૂહલગ્નમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછતા તેઓએ અજાણ હોવાનું અને આવો કોઇ બનાવ ધ્યાને ન આવ્યાનું જણાવ્યુ હતુ. જયારે સાંસદ શંકરભાઇ વેગડે પણ આવો કોઇ બનાવ બન્યો જ ન હોવાનું રટણ રટયુ હતુ.