બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (17:59 IST)

હજીરા-બાન્દ્રા મુંબઈ વચ્ચે શરૂ થશે પેસેન્જર ફેરી સર્વિસ, વિદેશી ક્રૂઝ જેવી હશે સુવિધા

હજીરા (સુરત)થી બાન્દ્રા (મુંબઈ) પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાની દરખાસ્તને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એસ. એસ. આર. મરીન સર્વિસ પ્રા. લિ. દ્વારા આ ફેરી સર્વિસના પેસેન્જર જહાજમાં ૩૦૦ મુસાફરોની ક્ષમતા સાથે વિદેશી ક્રૂઝ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ શિપ જહાજ ૨૦ રૂમની સુવિધા સાથે ફુલ્લી એર કંડિશન્ડ જહાજ હશે. 
 
ગુજરાત સરકારે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર આગામી નવેમ્બર ૨૦૧૯થી શરૂ થનારી સેવાના પ્રારંભિક તબક્કે સપ્તાહમાં એકવાર આ ફેરી સર્વિસ કાર્યરત્ રહેશે. પેસેન્જર ટ્રાફિક ધ્યાને રાખીને ભવિષ્યમાં નિયમિતરૂપે પણ આ સેવાઓ શરૂ કરવામાં આવશે. 
 
શરૂઆતમાં દર ગુરૂવારે સાંજ ૭ કલાકે બાન્દ્રાથી નિકળી શુક્રવારે સવારે ૯ વાગ્યે આ જહાજ હજીરા પહોંચશે. પરત મુસાફરીમાં શુક્રવારે સાંજે ૬ કલાકે હજીરાથી રવાના થઈને શનિવારે સવારે ૮ કલાકે બાન્દ્રા પહોંચશે. 
 
આ સુવિધા શરૂ થતાં વિક એન્ડ રજાઓમાં સુરતવાસીઓને દરિયાઇ માર્ગે મુંબઈ જવાનું એક નવું પ્રવાસન નજરાણું મળશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યમાં હાલ દહેજ-ઘોઘા વચ્ચે ફેરી સર્વિસ કાર્યરત છે તેમાં હવે હજીરા-બાન્દ્રા ફેરી સર્વિસનો ઉમેરો થતાં દરિયાઈ યાતાયાતને વેગ મળશે.