શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ તીર્થ સ્થળ
Written By
Last Updated : શુક્રવાર, 17 જુલાઈ 2015 (16:03 IST)

પ્રયાગને તીર્થરાજ કહેવામાં આવ્યું છે

પ્રયાગને તીર્થરાજ કહેવામાં આવ્યું છે. જેમ ગ્રહોમાં સૂર્ય અને તારાઓમાં ચંદ્રમા છે તેમ તીર્થોમાં પ્રયાગ સર્વોત્તમ છે. સાતેય પવિત્ર પુરીઓ આ તીર્થરાજ પ્રયાગની રાણીઓ છે એમ કહેવાય છે. અલ્હાબાદ સ્ટેશન જંકશન છે અને અહીં ઉત્તર રેલવે તથા મધ્ય રેલવેની લાઇનો ભેગી થાય છે. પ્રયાગની યાત્રાએ આવતા મોટાભાગના યાત્રાળુઓ અહીં ઉતરે છે. જે યાત્રાળુઓ મધ્ય રેલવેની મુંબઇ-જબલપુરની દિશાથી આવે છે તેઓ નૈની સ્ટેશને પણ ઉતરી શકે છે. નૈની અલ્હાબાદ સ્ટેશનથી 4 માઇલ દૂર યમુનાની પેલે પાર છે. અહીંથી ત્રિવેણીસંગમ જવાનો રસ્તો છે પણ રસ્તો કાચો છે અને ત્રણેક માઇલનું અંતર છે.

પૂર્વી રેલવે પર અલ્હાબાદથી અયોધ્યા તરફ જઇએ તો પ્રયાગ બે માઇલ જેટલું દૂર થાય છે. અયોધ્યા તરફથી આવવા વાળા યાત્રાળુઓ મોટે ભાગે અહીં ઉતરે છે. શહેરની મધ્યમમાં પૂર્વોત્તર રેલવેનું રામબાગ (અલ્હાબાદસિટી) સ્ટેશન છે.
ગોરખપુર, બનારસ, છપરા, ગાજીપુરા, બલિયા વગેરે સ્થાનો તરફથી આ રેલવે દ્વારા આવવાવાળા યાત્રાળુઓ ઝૂસી સ્ટેશન, આઇજટ બ્રિજ સ્ટેશન કે અલ્હાબાદ સિટી સ્ટેશને ઉતરે છે. અલ્હાબાદ સિટી સ્ટેશનથી આ જ રેલવે ઉપર 3 માઇલ દૂર દારાગંજ નામના સ્થાન ઉપર આઇજટ બ્રિજ સ્ટેશન સ્થિત છે અને ગંગાની પેલે પાર ઝૂસી સ્ટેશન આવેલું છે.

આ સિવાય પ્રયાગઘાટ તથા ત્રિવેણીસંગમ સ્ટેશન નામના બે વધુ સ્ટેશનો પણ છે પણ તે માત્ર મહા મહિનામાં જ ચાલુ હોય છે. મહા મહિનામાં પ્રયાગ સ્ટેશનથી પ્રયાગઘાટ સ્ટેશન અને અલ્હાબાદ જંકશનથી ત્રિવેણીસંગમ સ્ટેશન સુધી રેલગાડીઓ આવે છે.
પ્રયાગમાં માઘ માસમાં ઉપરના બે સ્ટેશનો ખોલવામાં આવે છે તેનું કારણ પ્રયાગમા માઘ માસનું ખાસ મહત્વ છે. માઘ માસમાં પ્રયાગમાં મેળો ભરાય છે અને હજારો શ્રધ્ધાળુ યાત્રાળુઓ માઘમાસમાં ગંગા-યમુનાની વચ્ચે નિવાસ કરે છે, જેને કલ્પવાસ કહે છે. એક માન્યતા મુજબ મકરસંક્રાંતિથી સૂર્યની કુંભસંક્રાંતિના એક માસના સમયગાળામાં કલ્પવાસ કરવો જોઇએ, જ્યારે બીજી એક ધાર્મિક માન્યતા એવી છે કે ચાંદ્ર માસ પ્રમાણે માઘમાસમાં કલ્પવાસ કરવો જોઇએ. પદ્મપુરાણમાં લખ્યું છે કે પ્રયાગમાં જે માઘસ્નાન કરે છે તેના પુણ્યફળની કોઇ ગણના નથી.

પ્રયાગથી બનારસ, લખનૌ, ફૈઝાબાદ, મિર્જાપુર, રીવાઁ તેમ જ જૈનપુર તરફ જવા માટે પાકકી સડકો પણ છે. આ મોટર-બસ રસ્તેથી પણ પ્રયાગ જઇ શકાય છે. અલ્હાબાદ સ્ટેશનેથી ત્રિવેણી સંગમ ત્રણ-ચાર માઇલ દૂર છે. પ્રયાગમાં સરકારી બસો ચાલે છે. નૈની સ્ટેશનેથી ત્રિવેણી સંગમ જવું હોય, તો યમુનાના કિનારા સુધી પગે ચાલીને પણ જઇ શકાય છે અને તાંગા-રિકશા પણ મળે છે. ત્યાર બાદ નાવથી યમુના પાર કરવી પડે છે.

ઝૂસી સ્ટેશનમાં તાંગા ખાસ મળતા નથી. વષર્ઋિતુ સિવાયની ઋતુઓમાં ઝૂસીથી દારાગંજ સુધી પીપોના બનેલા પુલને પાર કરીને-લગભગ એકાદ માઇલ જેટલું ચાલીને પહોંચી શકાય છે અને દારાગંજ આવ્યા પછી બસ, કાર કે તાંગા-રિકશા વડે પ્રયાગ જઇ શકાય છે. આઇજટબ્રિજ સ્ટેશન, અલ્હાબાદ સિટીસ્ટેશન કે પ્રયાગ સ્ટેશન પાસે સવારીઓ મળે છે પણ મેળો હોય ત્યારે તેઓ સંગમથી બેથી ચાર ફલાંગ જેટલે દૂર પુલ ઉપર જ ઉતારી દે છે, જ્યારે મેળા સિવાયના સમયમાં છેક સંગમ સુધી લઇ જાય છે.
પ્રયાગમાં પ્રતિ બારમે વર્ષે જ્યારે બૃહસ્પતિ (ગુ) વૃષભ રાશિમાં તેમજ સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે કુંભમેળો થાય છે, જે દુનિયાનો સૌથી મોટો મેળો કહેવાય છે. આ મેળામાં ભારતભરમાંથી વિવિધ જાતિ અને ધર્મના લોકો અહીં ઉમટી પડે છે. વિદેશી સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં કુંભમેળામાં ભાગ લેવા આવે છે. આ મેળામાં સાધુ-સંતો પોતાની છાવણીઓ નાખે છે અને પોતાના અસંખ્ય અનુયાયીઓ સાથે મેળામાં ભાગ લે છે. જુદા-જુદા અખાડાઓની છાવણીઓ બને છે. મફત રસોડાઓ ચાલે છે જેમાં હજારો નહીં પણ લાખો યાત્રાળુઓ શ્રધ્ધાળુઓ રોજ પ્રસાદ (ભોજન) ગ્રહણ કરે છે.

આ સાધુ-સંતો પોતે પોતાના મોભા પ્રમાણે હાથી-ઘોડા કે બગીઓમાં બેસીને તેમના શિષ્યર્વૃંદ સાથે સવારી કે સરઘસ કાઢે છે. કેટલાક સાધુઓ અહીં જાતજાતના ચમત્કારિક કરતબો દેખાડતા પણ જોવા મળે છે. શ્રધ્ધાળુ યાત્રાળુઓ રોજ લાખોની સંખ્યામાં ગંગા-યમુના અને સંગમમાં સ્નાન કરે છે. દર બાર વર્ષે આ મોટો કુંભમેળો ભરાય છે. પ્રસિધ્ધ સમ્રાટ હર્ષવર્ધન આ દરેક કુંભમેળામાં ધર્મસભાનું આયોજન કરતા હતા અને પોતાના સર્વસ્વનું દાન કરી દેતાં હતા એમ કહેવાય છે.
પ્રયાગમાં ગંગા-યમુનાના સંગમમાં સ્નાન કરવાથી પ્રાણીના બધા જ પાપોનો નાશ થઇ જાય છે, મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. વળી આ ક્ષેત્રમાં દેહત્યાગ કરવાથી જીવની મુક્તિ થઇ જાય છે એવું પુરાણોમાં લખેલું છે. વળી અહીં જે કોઇ મરે છે, તે ચતુર્ભુજ થઇને અનંતકાળ સુધી વૈકુંઠમાં વાસ કરે છે એવું પણ લખ્યું છે. ત્રિવેણીસંગમમાં સ્નાન કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે.
દરેક તીર્થોમાં કંઇકને કંઇક વિશેષ કાર્ય કરવાનું મહત્વ હોય છે. જેમ કે ગયાજીમાં શ્રાધ્ધનું મહત્વ તો સિધ્ધપુરમાં માતૃશ્રાધ્ધનું મહત્વ છે. પ્રયાગમાં મુંડનનું મહત્વ છે. પ્રયાગ તીર્થમાં આવ્યા પછી બધા પાપ ચાલ્યા જાય છે પણ એ બધા પાપ કેશમાં રહી જાય છે એમ કહેવાય છે તેથી મુંડન અવશ્ય કરાવવું જોઇએ એમ મનાય છે. અન્ય તીર્થોમાં ક્ષૌર કર્મ (મુંડન) વર્જીત છે પણ પ્રયાગમાં મુંડનવિધિની પ્રશંસા કરવામાં આવી છે. અહીં વિધવા સ્ત્રીઓ પણ મુંડન કરાવીને પાપમુકત બને છે. જો કે સૌભાગ્યવતી સ્ત્રીઓ અહીં મુંડન કરાવતી નથી.

 અહીં સૌભાગ્યવતી સ્ત્રીઓ ત્રિવેણીઘાટ ઉપર પોતાના પતિ સાથે બ્રાહ્મણ પુરોહીત વડે વેણીદાનનો સંકલ્પ કરે છે, શરીર ઉપર હળદર લગાવીને ત્રિવેણીમાં સ્નાન કરે છે અને પછી બહાર આવીને પોતાના પતિ પાસે વેણી-દાનની આજ્ઞા લે છે. સંગમમાં સ્નાન સમયે તેમની વેણી બાંધેલી રાખે છે. પત્ની જ્યારે સ્નાન કરીને બહાર આવે છે અને પતિ પાસે વેણીદાનની આજ્ઞા માગે છે ત્યારે પતિ તેને આજ્ઞા આપે છે અને પતિ સ્ત્રીની વેણીને છેડે મંગલ-દ્રવ્યો બાંધે છે અને પછી છરી કે કાતર વડે જ્યાં મંગલ દ્રવ્યો બાંધેલ છે તે દ્રવ્યો સહિત વેણીનો થોડો આગળનો ભાગ કાપી નાખે છે અને પોતાની સ્ત્રીના હાથમાં આપે છે. સ્ત્રી એ બધું ત્રિવેણીમાં પ્રવાહિત કરી દે છે અને ત્યારબાદ સંગમમાં સ્નાન કરે છે.

જે લોકો મુંડન કરાવે છે તેઓ પણ મુંડન પછી જ ત્રિવેણીમાં સ્નાન કરે છે નહીંતર પાપ બધા સ્નાન પછી પણ કેશમાં રહી જાય છે એમ મનાય છે. અહીં ગંગાજીનું ઉજ્જવલ જલ અને યમુનાજીનું નીલરંગનું જળ ચોકખું મળતું હોય તેમ દેખાય છે. સરસ્વતીજી દેખાતા નથી પણ અહીં ગુપ્ત રીતે ગંગા-યમુનામાં નીચે મળે છે. 

ત્રિવેણીસંગમથી થોડે દૂર કિલ્લો છે. આ કિલ્લાના દક્ષિણ યમુના તટ ઉપર એક કુંડ છે. આ કુંડમાં સરસ્વતી નદીનું સ્થાન છે એમ કહીને પંડાઓ અહીં સરસ્વતીજીનું પૂજન કરાવે છે. સંગમનું સ્થાન બદલતું રહે છે. વષર્કિાળમાં ગંગાજળ સફેદીવાળું પણ થોડું ટરમૈલા જેવું અને યમુનાજળ લાલિમા વાળું દેખાય છે. શીતકાળમાં ગંગાજળ ખૂબ જ ઠંડું અને યમુનાજળ થોડુંક ઉષ્ણ લાગે છે. સંગમ ઉપર આ તફાવત સ્પષ્ટ જણાઇ આવે છે. ત્રિવેણીતટ ઉપર પંડાઓએ તેમની ચોકીઓ લગાવેલી હતી અને જળમાં પણ ચોકીઓ લગાવેલી હતી જેના પર વસ્ત્ર રાખીને યાત્રીઓ સ્થાન કરતાં હતાં. પંડાઓએ ત્યાં અલગ-અલગ ચિહનો વાળી ધજાઓ લગાવી હતી, જેથી યાત્રાળુઓ પોતાના પંડાનું સ્નાન સરળતાથી શોધી શકે.

ત્રિવેણી સંગમ ઉપરાંત પ્રયાગમાં કુલ 12 માધવ, અક્ષયવટ, ભરદ્વાજ આશ્રમ, બલદેવજી, લલીતાદેવી વગેરે મુખ્ય તીર્થસ્થાનો છે. આમાં પણ અક્ષયવટનું ખાસ મહત્વ છે.ત્રિવેણીસંગમથી થોડે દૂર કિલ્લાની અંદર આ અક્ષયવટ છે તે યમુનાકિનારા તરફના ભાગમાં છે. યમુના કિનારાના ફાટકથી અહીં સુધી અવાય છે. પુરાણો અને શાસ્ત્રોમાં પણ આ અક્ષયવટનો ઉલ્લેખ છે. કહે છે કે પ્રલયકાળે જ્યારે આખું જગત જળમાં ડૂબી જાય છે ત્યારે માર્કંડેય મુનિ આ અક્ષયવટ ઉપર જ આશ્રય લે છે અને આ અક્ષયવટ પ્રલયકાળે પણ ડૂબતો નથી. તેથી જ માર્કંડેયમુનિ અમર છે. વળી અહીં કરેલ પિંડાદાન, તર્પણ, શ્રધ્ધા વગેરે ઉત્તર ઔર્ધ્વ દૈહિક ક્રિયાઓ કયારેય નિષ્ફળ જતી નથી. આ અક્ષયવટ શિવાજીને પણ ખૂબ પ્રિય છે. તેને આદિવટ પણ કહે છે. તેના પર્ણોમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. અક્ષયવટના દર્શન માત્રથી બ્રહ્મહત્યા નષ્ટ થઇ જાય છે.

આ કિલ્લામાં પાતાલપુરી નામની એક ગૂફા પણ છે. તેમાં એક વડલાની સૂકકી ડાળી રોપીને તેની ઉપર એક કપડું વીંટાયેલું હતું. એમ કહેવાતું કે આ અક્ષયવટ છે પણ હકીકતે ઉપર કહ્યો તે અક્ષયવટ જ સાચો અને પ્રાચીન છે. પાતાલપુરીગુફા-મંદિર કે જ્યાં પહેલા સૂક્કો અક્ષયવટ એક માત્ર ડાળી પે દેખાડવામાં આવતો હતો, તે પાતાલપુરી મંદિર કે ગૂફા ભૂર્ગભમાં છે. તેમાં પણ અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. જેમ કે ધર્મરાજ, અન્નપૂણર્દિેવી, ગૌરી-ગણેશ, મહાલક્ષ્મી, સંકટમોચન, આદિ ગણેશ, પ્રયાગરાજેશ્ર્વર શિવ, સત્યનારાયણ, દંડપાણિભૈરવ, યમદંડ મહાદેવ, કાર્તિક સ્વામી, લલીતાદેવી, ગંગાજી, નૃસિંહ ભગવાન, યમુનાજી, સરસ્વતીજી, ભગવાન વિષ્ણુ, ગુદત્તાત્રેય, ગોરખનાથજી, વેદવ્યાસજી, અનુસૂયાજી, જામ્બવાન્, વણદેવ, વાયુદેવ, માર્કંડેયજી, વિષ્ણુમાધવ, કુબેર, પાર્વતીજી, સોમ, દુવર્સિામુનિ, રામ તથા લક્ષ્મણ, શેષ, યમરાજ, અનંતમાધવ, સાક્ષી વિનાયક તથા હનુમાનજી વગેરેની મૂર્તિઓ અહીં છે.

કિલ્લામાં કુલ સ્તંભ છે જે અશોકસ્તંભ તરીકે પણ ઓળખાય છે. કારણ કે પાછળથી આ કુલસ્તંભ ઉપર સમ્રાટ અશોકે પોતાનો શિલાલેખ કોતરાવેલો. ખાસ મંજૂરી વિના આ કુલસ્તંભ જોવા દેવામાં આવતો નથી.