શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. 10 ગુરુ
Written By વેબ દુનિયા|

ગુરૂ નાનકદેવજીનો જન્મ અને શિક્ષા

W.D

ગુરૂ નાનકનો જન્મ 20 વૈશાખ સંવત 1526 (15 એપ્રિલ 1466)માં રાયભોઈની તલવંડીમાં થયો હતો. અમુક વિદ્વાનોના મતાનુસાર જન્મ કાર્તિક પુર્ણિમા સંવત 1526 (સન 1466)માં થયો હતો. તેમનો જન્મ એક બેદી (ખત્રી) પરિવારમાં લાહોરથી લગભગ 65 કિ.મી. દોર દક્ષિણ પશ્ચિમમાં તલવંડી નામના ગામમાં થયો હતો. આ સ્થાન તાજેતરમાં નનકાના નામે પ્રખ્યાત છે. ગુરૂજીના પિતાનું નામ મહેતા કલ્યાણ દાસ હતું અને માતાનું નામ તૃપ્તા હતું. તેમની મોટી બહેનનું નામ નાનકી હતું તેના નામ પરથી જ તેમનું નામ નાનક રાખવામાં આવ્યું હતું.

જ્યારે ગુરૂ નાનકનો જન્મ થયો તે વખતે જ્યોતિષીને તેમની જન્મપત્રી માટે બોલાવવામાં આવ્યાં ત્યારે જ્યોતિષી હરદયાલે ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક વિશ્વને માનવ-પ્રેમનો પાઠ ભણાવશે. તે દુ:ખીયારાઓ, દલિતો, શોષકોને પણ ગળે લગાવીને તેમના દુ:ખડા દૂર કરશે. આ બાળકની કિર્તી ચારો તરફ ફેલાશે.

બાળપણની અવસ્થામાં કોઈએ પણ આ બાળકને રોતા નથી જોયો. તેમના ચહેરા પર હંમેશા એક મુસ્કાન રહેતી હતી. બાળકના નેત્રોમાં શાંતિ, પ્રેમ અને ગંભીરતા હતી જે દરેકને તેમની તરફ આકર્ષિત કરતી હતી.

તે સમયે રાયભોઈની તલવંડીનો રાજ્યાધિકારી રાયબુલાર હતો. ગુરૂ નાનકના પિતા મહેતા કાલુ આ રાયબુલારને ત્યાં પટવારી કરતાં હતાં. કેન્દ્રીય શાસન બહલોલ લોધીના હાથમાં હતું. પંજાબમાં દૌલત ખા લોધી તેના પ્રતિનિધિના રૂપમાં અધિકારી હતો. તે કપુરથલા જીલ્લાના સુલતાનપુરમાં રહેતો હતો.

પાંચ વર્ષની ઉંમરમાં નાનકજી ધાર્મિક તેમજ આધ્યાત્મિક ચર્ચાઓમાં ભાગ લેવા લાગ્યા હતાં. બાળમિત્રોની સાથે ભગવદ શક્તિ, પરમાત્માના ગુણગાન જ તેમની પ્રિય રમત હતી. તેઓ નાની ઉંમરમાં જ જંગલ તરફ નીકળી પડતાં ત્યાં સાધુ સંતોની સેવા કરીને તેમની સત્સંગતિનો લાભ લેતાં હતાં. પરંતુ તેમના પિતાને આ ગમતું ન હતું. તેઓ તેમનુ ધ્યાન સંસારના કાર્યો તરફ લઈ જવા માંગતા હતાં.

જ્યારે પણ ઘર-આંગણે કોઈ સાધુ સંત આવતો ત્યારે ગુરૂ નાનક તેમને ખાલી હાથે ન હોતા જવા દેતાં. તેઓ ઘરની અંદરથી કંઈ પણ લઈ આવતાં. તેમના પિતાજીને બાળકની આ ઉદારવૃત્તિ પસંદ ન હતી. નાની વયમાં પણ ગુરૂજીને પ્રકૃતિ પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ અડધી ખુલ્લી આંખે પ્રકૃતિના આ અનુપમ સૌદર્યને નિહાળતા રહેતાં.

જ્યારે તેઓ પાંચ વર્ષના થયા ત્યારે તેમને પંડિત ગોપાલજી પાસે હિન્દીની શિક્ષા લેવા માટે મોકલ્યા. નવ વર્ષની ઉંમરે પંડિત વ્રજલાલ પાસે સંસ્કૃતની શિક્ષા લેવા માટે મોકલ્યાં અને તેર વર્ષની ઉંમરમાં મૌલવી કુતુબુદ્દીન પાસે ફારસી શિક્ષા પ્રાપ્ત કરવા માટે મોકલવામાં આવ્યાં હતાં. એવું કહેવાય છે કે ગુરૂજીએ પોતાના ત્રણ લૌકિક ગુરૂઓને સમ્માન અધ્યાત્મિક વિદ્યાના તત્વ જણાવ્યાં હતાં અને સ્પષ્ટ કર્યું હતું કે આધ્યાત્મિક જ્ઞાન વિનાનું લૌકિક જ્ઞાન નકામુ છે.

થોડાક જ સમયની અંદર ગુરૂજીએ હિન્દી, ફારસી, સંસ્કૃત અને પંજાબીનું જ્ઞાન મેળવી લીધુ હતું. તેમની વાણી, શબ્દાવલી, અલંકાર, રસ, શબ્દ ચિત્રણ, કાવ્ય શૈલી, જુદા જુદા દર્શનોનું જ્ઞાન તેમજ જુદા જુદા રાગોનું જ્ઞાન તેમની વિદ્વતાનું પ્રમાણ છે.