ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
Written By
Last Updated : બુધવાર, 7 ફેબ્રુઆરી 2024 (11:43 IST)

Vasant Panchami 2024 : વસંત પંચમી પર કેમ કરવામાં આવે છે માતા સરસ્વતીની પૂજા જાણો

Basant Panchami Subha Muhurt 2022
હિન્દુ ધર્મ (Hinduism) માં દરેક વ્રત અને તહેવારનુ પોતાનુ મહત્વ છે. દરેક વ્રતમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે અને ઘરના કલ્યાણ માટે બધા અનુષ્ઠાનો સાથે દેવતાની પૂજા કરવામાં આવે છે. આવુ જ એક વ્રત છે વસંત પંચમી. માન્યતા છે કે આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી બધી મનોકામના  પૂરી થાય છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ દિવસ વિશેષ મહત્વનો છે. દર વર્ષે માઘ મહિનામાં, વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. તમામ છ ઋતુઓમાં વસંતઋતુ ઋતુરાજ તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો, તેથી આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ વસંત પંચમીનું મહત્વ.
 
વસંતપંચમી તિથિ અને શુભ મુહુર્ત 
 
આ વર્ષે વસંત પંચમીનો તહેવાર 14 ફેબ્રુઆરી 2024  બુધવાર રોજ ઉજવવામાં આવશે. હિંદુ કેલેન્ડર મુજબ, દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે વસંત પંચમી ઉજવવામાં આવે છે.  હિંદુ કેલેન્ડર મુજબ   આ વખતે વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા કરવાનુ  શુભ મુહુર્ત 14 ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ સવારે 7:01 થી બપોરે 12:35 સુધી રહેશે. આ દરમિયાન માતા સરસ્વતીની પૂજા કરવામાં આવશે.
 
વસંત પંચમી પર કેમ કરવામાં આવે છે માતા સરસ્વતીની પૂજા ?
 
વસંત પંચમીના તહેવાર પર માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્ઞાનની દેવી સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો. એટલા માટે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે.
 
માતા સરસ્વતીના જન્મની કથા અનુસાર, સૃષ્ટિની રચના સમયે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના આદેશથી મનુષ્યની રચના કરી હતી. જો કે બ્રહ્માજી તેમની રચનાથી સંતુષ્ટ ન હતા અને સમગ્ર વાતાવરણ ઉદાસીથી શાંત હતું.
 
આથી  બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પાણીનો છંટકાવ કર્યો અને તે પાણીના કણો પડતાં જ દેવી વૃક્ષોમાંથી એક સુંદર સ્ત્રી પ્રગટ થઈ. તેમના એક હાથમાં વીણા અને બીજા હાથમાં પુસ્તક હતું. ત્રીજા હાથમાં માળા હતી અને ચોથા હાથમાં વરદ મુદ્રા હતી. આ દેવી સરસ્વતી હતી.
 
જ્યારે મા સરસ્વતીએ વીણા વગાડી, ત્યારે વિશ્વની દરેક વસ્તુને એક અવાજ મળ્યો. તેથી તેમનું નામ દેવી સરસ્વતી રાખવામાં આવ્યું. કારણ કે તે વસંત પંચમીનો દિવસ હતો, એટલે ત્યારથી લોકો દેવ લોક અને મૃત્યુ લોકમાં દેવી સરસ્વતીની પૂજા કરવા લાગ્યા.
 
વસંત  પંચમીનું મહત્વ 
 
એવું માનવામાં આવે છે કે આ દિવસે વેદની દેવી પ્રગટ થઈ હતી, તેથી આ દિવસને શિક્ષણ અથવા અન્ય કોઈ નવી કલાની શરૂઆત કરવા માટે શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો વિદ્યાર્થીઓ આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરે છે, તો તે લાભદાયક છે.
 
અન્ય ધાર્મિક માન્યતા છે કે આ દિવસે કામદેવની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો પતિ-પત્ની ભગવાન કામદેવ અને દેવી રતિની પૂજા કરે છે તો તેઓ સુખી દામ્પત્ય જીવન જીવે છે.