શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (08:27 IST)

જયા એકાદશી વ્રત કથા - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

મહા(માઘ) મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ “જયા” છે. એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે. એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે. અને મનુષ્‍યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. એટલું જ નહિ એ બ્રહ્મહત્‍યા જેવા પાપ તથા પિશાચ તત્‍વનો નાશ કરનારી પણ છે. આનું વ્રત કરવાથી મનુષ્‍યને કયારેય પ્રેતયોનીમાં જવું પડતુ નથી. દરેકે પ્રયત્‍નપૂર્વક “જયા” નામની એકાદશીનું વ્રત કરવું જોઇએ.”

વ્રત કથા - એક સમયની વાત છે. સ્‍વર્ગલોકમાં દેવરાજ ઇન્‍દ્ર રાજય કરતાં હતાં. દેવગણ પારિજાત વૃક્ષોથી યુકત નંદનવનમાં અપ્‍સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા. પચ્‍ચાસેક ગંધર્વોના નાયક દેવરાજ ઇન્‍દ્ર સ્‍વેચ્‍છાનુંસાર વનમાં વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્‍યનું આયોજન કર્યું. એમાં ગાંધર્વો ગાન કરી રહ્યાં હતાં. એમા પુષ્‍પદંત, ચિત્રસેન અને એનો પુત્ર મુખ્‍ય હતો. ચિત્રસેનની પત્‍નીનું નામ માલિની હતું માલિનીને એક સુંદર કન્‍યા ઉત્‍પન્‍ન થઇ હતી. એ પુષ્‍પવંતીના નામથી વિખ્‍યાત હતી. પુષ્‍પદંત એક ગાંધર્વનો પુત્ર હતો. એને લોકો માલ્‍યવાન કહેતા. માલ્‍યવાન પુષ્‍પવંતીની ઉમર આશત હતો. આ બંને પણ ઇન્‍દ્રના સંતોષ માટે નૃત્‍ય કરવા આવ્‍યા હતા. આ બંનેનું ગાન થઇ રહયું હતું એમની સાથે અપ્‍સરાઓ પણ હતી. પરસ્‍પર પ્રેમના કારણે આ બંને મોહને વશીભૂત ગઇ ગયા. ચિત્તમા ભૂતિ આવી ગઇ. આથી તેઓ શુધ્‍ધ ગાન ન કરી શકયાં. કયારેક તાલનો ભંગ થઇ જતો કયારેક ગીત બંધ થઇ જતું. ઇન્‍દ્રે તેમના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઇ ગયા આથી બંનેને શ્રામ આપતા ઇન્‍દ્ર બોલ્‍યાઃ “અરે મુર્ખાઓ ! તમને બન્‍ને ને ધિકકાર છે. તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કરનારા છો આથી તમે પતિ-પત્‍નીના રુપમાં રહસને પિશાચ બની જાઓ.”

આ પ્રમાણે ઇન્‍દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબજ દુઃખ થયું. બંને હિમાલયના પર્વત પર ચાલ્‍યા ગયા. અને પિશાચ યોનિ પ્રાપ્‍ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્‍યા. શારિરીક યાતનાથસ ઉત્‍પન્‍ન થયેલા તાપથી પીડિત થઇને બન્‍ને પર્વતની કંદરાઓમાં ભટકતા હતા. એક દિવસ પિશાચે પોતાની પત્‍ની પીશાચીનીને કહ્યું.

“આપણે એવું કયું પાપ કર્યું કે જેનાથી આપણે આ પિશાચ યોનિ પ્રાપ્‍ત થઇ છે ? નરકનું કષ્‍ટ અત્‍યંત ભયંકર છે. અને પિશાચ યોનિ પણ ખૂબ જ દુઃખ દેનારી છે. માટે પૂર્ણ પ્રયત્‍ન કરીને પાપથી બચવું જોઇએ.”

આ પ્રમાણ. ચિંતામગ્‍ન થઇને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતાં હતાં. દેવયોગે એમના મહા મહિનાની શુકલ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્‍ત થઇ ગઇ. “જયા” નામની પ્રખ્‍યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે. આ દિવસે એ બંનેએ બધા પ્રકારનો આહાર ત્‍યાગી દીધો. જલપાન પણ ન કર્યું. કોઇ જીવની હિંસા પણ ન કરી. એટલે સુધી ખાવા ફળ પણ ન કાપ્‍યું. નિરંતર દુઃખથી યુકત થઇને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યાં. સૂર્યાસ્‍ત થઇ ગયો, એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઇ. એમને ઉંઘ પણ ન આવી. તેઓ રતિ કે બીનુ કોઇ સુખ પણ ન લઇ શકયાં.

સૂર્યોદય થયો. બારસનો દિવસ આવ્‍યો. આ પ્રમાણે એ પિશાચ દંપતિ દ્વારા “જયા” એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઇ ગયું. એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું. આ વ્રતના પ્રભાવથી અને વિષ્‍ણુની શકિતથી એ બંનેનું પિશાચ પણું દૂર થઇ ગયું. પુષ્‍પવંતી અને માલ્‍યવાન પોતાના પૂર્વ રુપમાં આવી ગયા. એમના હદયમાં એજ જૂનો સ્‍નેહ ઉભરાઇ રહ્યો હતો. એમના શરીરો પર પહલા જેવા અલંકારો શોભતા હતા.

તેઓ બંને મનોહર રુપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્‍વર્ગલોકમાં ચાલ્‍યા ગયા ત્‍યાં દેવરાજ ઇન્‍દ્ર સમક્ષ જઇને બંનેએ ઘણી પ્રસન્‍નતા સાથે એમને પ્રણામ કર્યાં. એમના આ રુપમાં ઉપસ્થિત જોઇને ઇન્‍દ્રને ઘણું જ આશ્ર્ચર્ય થયું એમણે પૂછયું : “કહો ! કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિશાભ યોનિમાંથી છૂટી ગયા. તમે તો મારા શ્રાપિત હતા. તો પછી કયાં દેવતાએ તમેને તેમાંથી છૂટકારો અપાવ્‍યો?”

માલ્‍યવાન બોલ્‍યોઃ “સ્‍વામી ! ભગવાન વાસુદેવની કૃપા અને “જયા”નામની એકાદશીના વ્રતથી અમારુ પિશાચ પણું દૂર થયું છે.” ઇન્‍દ્રે કહ્યું : “તો હવે તમે બંને સુધાપાન કરો. જે લોકો એકાદશનીના વ્રતમાં સંલગ્‍ન અને શ્રીકૃષ્‍ણના શરણાગત થાય છે તોઓ મારા પણ પુજનીય હોય છે.”

આથી એકાદશીનું વ્રત કરવું જોઇએ. જેણે આ એકાદશીનું વ્રત કરી લીધુ એણે બધા પ્રકારનું દાન કરી લીધું. અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા. આ મહાત્‍મ્‍યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું પૂણ્ય મળે છે.”