શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 5 ઑગસ્ટ 2019 (17:06 IST)

જમ્મુ-કાશ્મીર : કલમ 370 નાબૂદી બાદ એ પાંચ બાબતો જે જાણવી જરૂરી છે

સોમવારે ભારે હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એકસાથે ચાર બિલ રજૂ કર્યાં, જેમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ 370ને નાબૂદ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
આ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને મળેલા વિશેષાધિકારનો ઉપયોગ કરતા જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા 1954ના અનુચ્છેદ 370ને નાબૂદ કર્યો હતો.
આ સાથે જમ્મુ-કાશ્મીરને વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશ તથા લદ્દાખને અંદમાન નિકોબાર દ્વીપસમુહની જેમ વિધાનસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.
પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ આ અંગે પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યુ કે 'ઐતિહાસિક ભૂલને સુધારવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહ પ્રધાન અમિત શાહને અભિનંદન.'
પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટીના નેતા મહેબૂબા મુફ્તીએ આજના દિવસને ભારતીય 'લોકશાહીનો સૌથી કાળો દિવસ' ગણાવ્યો હતો.
એનડીએના સાથી પક્ષ જનતા દળ યુનાઇટેડના કહેવા પ્રમાણે, તેઓ જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370નું સમર્થન કરે છે અને રાજ્યસભામાં આ પ્રકારના કોઈ પ્રસ્તાવનો વિરોધ કરશે.
જાણો સોમવારે એવું તે શું થયું કે જેનાં કારણે દેશ સહિત સમગ્ર વિશ્વની નજર જમ્મુ-કાશ્મીર ઉપર મંડાયેલી છે.
 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંધારણના અનુચ્છેદ 370ની કલમ એક હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કર્યો અને 1954થી જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદને નાબૂદ કર્યો હતો.
બંધારણ (તથા તેમાં ભવિષ્યમાં થનારા દરેક સુધાર) જમ્મુ-કાશ્મીર ઉપર લાગુ થશે.
સંચાર, વિદેશ બાબત, સંરક્ષણ તથા અન્ય આનુષંગિક બાબતોમાં કાયદા ઘડવાના તથા વ્યવસ્થા સંભાળવાના અધિકાર કેન્દ્ર સરકારને આપવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બાબતો માટે રાજ્યનું અલગ બંધારણ હતું. રાજ્યનો પોતાનો અલગ ધ્વજ પણ છે.
વર્ષ 2014 તથા વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે તેના ઢંઢેરામાં અનુચ્છેદ 370ને નાબુદ કરવાની નેમ વ્યક્ત કરી હતી.
જનતાદળ (યુનાઇટેડ)ના નેતા કે. સી. ત્યાગીના કહેવા પ્રમાણે, "નીતિશ કુમાર જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા તથા જ્યોર્જ ફર્નાન્ડિસની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે.
આથી અમે રાજ્યસભામાં સરકાર દ્વારા લાવવામાં આવેલાં બિલનું સમર્થન નહીં કરીએ.
 
 
સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરના પુનઃગઠનનું બિલ રજૂ કર્યુ હતું, જે મુજબ રાજ્યને બે 'કેન્દ્રશાસિત પ્રદેશ'માં વિભાજીત કરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ હશે, પરંતુ તેને પોતાની અલગ વિધાનસભા હશે.
ઉપ-રાજ્યપાલ મારફત કેન્દ્ર સરકાર તેના આદેશ ત્યાં લાગુ કરી શકશે. અગાઉ કાયદો અને વ્યવસ્થા મુખ્ય મંત્રીને આધીન હતી.
અગાઉ રાજ્યને વિશેષ અધિકાર સાથે 'પૂર્ણ રાજ્ય'નો દરજ્જો મળેલો હતો. હાલમાં આ પ્રકારની વ્યવસ્થા દિલ્હીમાં લાગુ છે.
આ સિવાય લદ્દાખને અલગથી કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તેની પોતાની આગવી વિધાનસભા નહીં હોય.
મતલબ કે હાલમાં દીવ કે દમણમાં જે રીતે કેન્દ્ર સરકારના અધિકારી મારફત વહીવટ ચાલે છે, તે રીતે શાસન થશે.
 
અનુચ્છેદ 35-અ નાબૂદ, એટલે...
રાજ્યને વિશેષ દરજ્જાને કારણે તથા અનુચ્છેદ 35-અની જોગવાઈઓને કારણે જમ્મુ-કાશ્મીરના નિવાસી અન્ય રાજ્યમાં સ્થાવર મિલ્કત ખરીદી શકતા, પરંતુ અન્ય રાજ્યના નિવાસી જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતા ન હતા.
અનુચ્છેદ 35-અ હેઠળ જમ્મુ અને કાશ્મીરના નાગરિકોને નોકરી તથા જમીન ખરીદીની બાબતમાં વિશેષાધિકાર મળેલા હતા.
આ સિવાય 'કાયમી નાગરિકો'ને વ્યાખ્યાયિત કરવાના અધિકાર રાજ્યની વિધાનસભાને મળેલા હતા.
રાજ્યની વિધાનસભાએ ઘડેલા કાયદા મુજબ જો કોઈ કાશ્મીરી યુવતી અન્ય કોઈ રાજ્ય (કે કેન્દ્રશાસિત પ્રદેશ)ના યુવક સાથે લગ્ન કરે તો રાજ્યમાં સંપત્તિ ધારણ કરવાના તેના અધિકાર છિનવાઈ જતા હતા, હવે એમ નહીં બને.
કાશ્મીરીઓ માટે અનુચ્છેદ 370 અને 35-અ ભાવનાત્મક મુદ્દા છે, એટલે કાયદો અને વ્યવસ્થાની સંભવિત સ્થિતિને જોતાં આઠ હજાર જવાનોને જમ્મુ અને કાશ્મીર મોકલવામાં આવ્યા છે.
તેમને ઉત્તર પ્રદેશ, ઓડિશા, આસામ તથા અન્ય રાજ્યોમાંથી હવાઈ માર્ગે જમ્મુ અને કાશ્મીર મોકલાશે. ગત સપ્તાહે પણ દસ હજાર જવાનને મોકલવામાં આવ્યા હતા.
 
'ઇતિહાસનો સૌથી કાળો દિવસ'
પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે હતું કે આજનો દિવસ બંધારણ માટે 'કાળો દિવસ' છે.
ચિદમ્બરમે કહ્યું કે સરકારે અનુચ્છેદ 370ને નાબૂદ કર્યો, એટલું જ નહીં જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરી નાખ્યું. તેમણે કહ્યું, 'આઇડિયા ઑફ ઇન્ડિયા'ના પતનની શરૂઆત થઈ ગઈ છે.
રાજ્યસભામાં બોલતી વખતે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે અનુચ્છેદ 370ની આડમાં ત્રણ પરિવારોએ અત્યારસુધી કાશ્મીરને લૂંટ્યું હતું.
અનુચ્છેદ 370ને દૂર કરવામાં એક સેકન્ડની પણ ઢીલ ન કરવી જોઈએ.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે 'બિનસાંપ્રદાયિક વિચારધારા ધરાવતા લોકો કાશ્મીરીઓ માટે લડતા રહેશે.'
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ પગલાને 'સાહસપૂર્ણ' ગણાવી, તેને લાગુ કરવા બદલ કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યાં હતાં.