શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By ઝુબૈર અહમદ,|
Last Modified: શુક્રવાર, 18 ઑક્ટોબર 2019 (10:12 IST)

વિવાદ : પક્ષકારો એ કહ્યું કે કોઈ સમાધાન થયું નથી, કોર્ટની બહાર સમાધાન મુશ્કેલ

બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ સાથે જોડાયેલા અરજદારોએ વર્ષોથી ચાલી રહેલા વિવાદ પર કોઈ સમાધાન થયો હોવાની વાતથી ઇનકાર કરી દીધો છે.

આ વિવાદમાં ત્રણ પક્ષકારો છે, નિર્મોહી અખાડા, સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને રામલલા વિરાજમાન.

સુપ્રીમ કોર્ટે આ કેસમાં મધ્યસ્થી તરીકે ત્રણ સદસ્યોની સમિતિ બનાવી હતી.

આ સમિતિએ કેસની સુનાવણીના છેલ્લા દિવસે પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટની કૉન્સ્ટિટ્યૂશનલ બેન્ચને સોંપી દીધો છે.

ભારતીય મીડિયાના એક ભાગમાં એવા સમાચાર ચલાવાઈ રહ્યા છે કે સમિતિના રિપોર્ટમાં કેટલાક પક્ષો વચ્ચેના સમાધાનનું વિવરણ છે, પરંતુ ત્રણેય પ્રમુખ પક્ષકારોએ જણાવ્યું હતું કે આ દાવો ખોટો છે.
 

નિર્મોહી અખાડાએ શું કહ્યું?


સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાની વિવાદિત જમીન અંગે દાવો કરનારા બે હિંદુ પક્ષકારો પૈકી એક નિર્મોહી અખાડાએ બીબીસી હિંદી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમના અને કેસમાં સામેલ અન્ય પક્ષકારોની મંજૂરી સિવાય કોઈ જ સમાધાન શક્ય નથી.

નિર્મોહી અખાડા સાથે જોડાયેલા કાર્તિક ચોપરા જણાવે છે કે આ કેસમાં તેમનું સ્ટેન્ડ સ્પષ્ટ છે.

તેઓ જણાવે છે કે, "અમે બીજા ખાસ હિંદુ પક્ષ (રામલલા વિરાજમાન)ને અરજદાર માનતા જ નથી."

"અમે મુસ્લિમ પક્ષ સાથે વાત કરવા માટે તૈયાર છીએ, પરંતુ માત્ર કોર્ટની અંદર અને જજોની સામે."
 

કોર્ટની બહાર સમાધાન મુશ્કેલ


રામલલા વિરાજમાનનું સમર્થન કરનાર વિશ્વ હિંદુ પરિષદ જણાવે છે કે તેઓ મધ્યસ્થતાના આ પ્રયત્નોમાં સામેલ નથી.

પરિષદના એક પ્રવક્તાએ કહ્યું કે, "માર્ચ થી લઈને ઑગસ્ટ સુધી ચાલેલા પ્રયત્નોથી અમને એ વાતનો અંદાજ આવી ગયો હતો કે આ કેસમાં કોર્ટની બહાર સમાધાન થવું મુશ્કેલ છે. આ વાત અમે કોર્ટને પણ જણાવી દીધી છે."

તેમજ ત્રીજા પ્રમુખ પક્ષકાર સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે પણ આ કેસમાં કોઈ સમાધાન થયો હોવાની વાતથી ઇનકાર કર્યો છે.

સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના ઇકબાલ અંસારીએ બીબીસીને જણાવ્યું કે તેઓ મધ્યસ્થતાના પ્રયત્નોનું સ્વાગત કરે છે, પરંતુ આ વિવાદને લઈને ગમે તે નિર્ણય કોર્ટમાં જ થવો જોઈએ.
 

કોર્ટે બનાવી સમિતિ


સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી, 2019માં ત્રણ સદસ્યવાળી એક મધ્યસ્થતા સમિતિ નીમી હતી.

આ સમિતિએ 11 માર્ચથી કામ કરવાનું શરૂ કર્યું હતું. સમિતિએ 1 ઑગસ્ટના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો હતો, પરંતુ એવું મનાય છે કે મધ્યસ્થતાનો એ પ્રયત્ન નિષ્ફળ રહ્યો છે.

તે બાદ કેટલાક પક્ષોએ સુપ્રીમ કોર્ટને ફરી એક વાર મધ્યસ્થતા શરૂ કરવાની ભલામણ કરી હતી.

કોર્ટે કહ્યું હતું કે મધ્યસ્થતા ફરીથી શરૂ થઈ શકે છે, પરંતુ સાથે કેસની સુનાવણી પણ ચાલુ જ રહેશે.

મીડિયાના અહેવાલો પ્રમાણે બુધવારના રોજ સમિતિએ આ બીજા તબક્કાના મધ્યસ્થતાના પ્રયત્નો વિશેનો રિપોર્ટ રજૂ કર્યો હતો.

હજુ સુધી સુપ્રીમ કોર્ટનો આ અંગે શો મત છે એ સ્પષ્ટ નથી, પરંતુ એટલું તો જરૂર છે કે અયોધ્યા કેસમાં સામેલ ત્રણેય ખાસ પક્ષકારો તેનો ભાગ બનવાનો ઇનકાર કરી રહ્યા છે.

આ ત્રણ ખાસ પક્ષોમાં નિર્મોહી અખાડા 1959માં કોર્ટ પહોંચ્યો હતો.

સુન્ની વક્ફ બોર્ડ 1961માં અને રામલલા વિરાજમાન 1989માં કોર્ટમાં પહોંચ્યા હતા.

નોંધનીય છે કે 2010માં અલાહાબાદ હાઈ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં 2.77 એકરની વિવાદિત જમીનને ત્રણેય પક્ષકારો વચ્ચે વહેંચી દીધી હતી. જે બાદ ત્રણેય પક્ષોએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.