શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 25 નવેમ્બર 2019 (13:05 IST)

મહારાષ્ટ્ર સત્તાસંઘર્ષ : અજિત પવાર અને શરદ પવાર સામસામે, સત્તાનાં સમીકરણો કોને ફળશે?

મહારાષ્ટ્રમાં સત્તાનું કોકડું રવિવારે પણ ગૂંચવાયેલું રહ્યું છે. દિગ્ગજ એનસીપી નેતાઓ શરદ પવાર અને અજિત પવાર સામસામે આવી ગયા છે.
 
મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર મામલે કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને શિવસેના આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, જેની ઉપર સોમવારે ફરી સુનાવણી થવાની છે.
 
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ શનિવારે દેવેન્દ્ર ફડણવીસ પાસે મુખ્ય મંત્રી અને અજિત પવાર પાસે ઉપમુખ્ય મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા.
 
આ દરમિયાન અજિત પવારે ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાની વાત કરી હતી.
 
જોકે શરદ પવારે અજિત પવારની એનસીપીના (નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) ભાજપ સાથેના ગઠબંધનની વાતને ફગાવી દીધી છે.
 
એમણે અજિત પવારની વાતને લોકોમાં અસમંજસ ઊભું કરવા માટેની ગણાવી છે. શરદ પવારે ટ્વીટ કરીને કહ્યું કે એનસીપીએ સર્વાનુમતે શિવસેના અને કૉંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે.
 
શરદ પવારે કહ્યું કે ભાજપ સાથે જોડાણનો સવાલ જ નથી અને અજિત પવારનું ટ્વીટ લોકોમાં ખોટી ધારણા અને અસમંજસની સ્થિતિ ઊભી કરવા માટે છે.
 
જયંત પાટિલે કહ્યું 'અજિત પવાર પાછા આવો'
 
એનસીપીએ ધારાસભ્ય દળના નેતા તરીકે અજિત પવારને હઠાવી જેમને મુક્યા છે તે જયંત પાટિલે અજિત પવારને પક્ષમાં પાછા ફરવા અપીલ કરી છે.
 
એમણે ટ્વીટ કરીને કહ્યું કે 'તમે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સંસ્થાપક સભ્ય છો. આદરણીય પવાર સાહેબે રાજ્યના હિત ખાતર ભાજપ સાથે ન જોડાવાનો નિર્ણય લીધો છે. સાહેબના આ નિર્ણયનો આદર કરીને તમે પરત આવો.'
 
આ દરમિયાન એનસીપી, કૉંગ્રેસ અને શિવસેનાના ધારાસભ્યો હોટલોમાં પૂરાયા છે. કેટલાક ધારાસભ્યોએ જાસૂસી થતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
 
ભાજપના નેતા અને મુખ્ય મંત્રીપદના શપથ લેનારા દેવેન્દ્ર ફડણવીસે પણ ધારાસભ્યો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી.
 
અજિત પવારે કહ્યું કે એનસીપી ભાજપ સાથે
 
સુપ્રીમ કોર્ટ ફરી સોમવારે સુનાવણી કરવાની છે, ત્યારે અજિત પવારે એક પછી એક ટ્વીટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સમેત અનેક લોકોનો આભાર માન્યો છે.
 
એમણે કહ્યું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું એનસીપીમાં જ છું અને શરદ પવાર આપણા નેતા છે. આપણું ભાજપ-એનસીપી ગઠબંધન આગામી 5 વર્ષ સુધી રાજ્ય માટે કામ કરશે.
 
તેમણે એમ પણ કહ્યું કે ધીરજ રાખવાની જરૂર છે, પરંતુ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.


 
 
ભાજપના દેવેન્દ્ર ફડણવીસ સાથે ઉપમુખ્ય મંત્રી પદની શપથ લેનાર એનસીપી નેતા અજિત પવારે મહારાષ્ટ્રની રાજકીય ચહલપહલમાં ફરી વધારો કર્યો છે.
 
શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે શપથ લીધા તે પછી નરેન્દ્ર મોદી તથા અમિત શાહ સહિત અનેક લોકોએ તેમને ટાંકીને શુભેચ્છા તથા અભિનંદનનું ટ્વીટ કર્યું હતું.
 
મહારાષ્ટ્રમાં શિવસેના, ભાજપ, કૉંગ્રેસ એમ તમામ પક્ષોની બેઠકો ચાલી રહી હતી, ત્યારે અજિત પવારે આભાર માની નરેન્દ્ર મોદીને સ્થિર સરકારની ખાતરી આપી છે.
 
અજિત પવારે ટ્વિટર પર આભાર માની તેમને મહારાષ્ટ્રના લોકોનાં કલ્યાણ માટે કામ કરે કરનારી સ્થિર સરકારનું આશ્વાસન આપ્યું હતું.
 
આ ઉપરાંત અજિત પવારે એમના ટ્વિટર હૅન્ડલમાં ફેરફાર કરીને ઉપમુખ્ય મંત્રી પણ લખ્યું છે. જોકે, તેમણે તેઓ એનસીપી નેતા છે, એમ હજીય લખેલું રાખ્યું છે.
 
ઉલ્લેખનીય છે કે શનિવારે એનસીપીએ અજિત પવારને પોતાના ધારાસભ્યોના દળના નેતા તરીકે હઠાવી દીધા અને તેમને સ્થાને જયંત પાટિલની નિમણૂક કરી હતી.