ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 9 એપ્રિલ 2019 (23:06 IST)

નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત જૂનાગઢ બેઠકથી કેમ કરી રહ્યા છે?

બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે જાહેરસભા સંબોધીને ગુજરાતમાં ચૂંટણીપ્રચારની 'ઔપચારિક' શરૂઆત કરશે.  આ સભા દ્વારા તેઓ લોકસભાની જૂનાગઢ અને પોરબંદર બેઠક ઉપરાંત વિધાનસભાની માણાવદર બેઠક ઉપર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરશે.  ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન આ વિસ્તારમાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હોવાને લીધે આ ચૂંટણીસભાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 
ઉપરાંત દક્ષિણ ગુજરાતના સોનગઢ ખાતે જાહેરસભાને સંબોધીને મોદી ગુજરાતની બે તથા મહારાષ્ટ્રની એક બેઠકના મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.
 
કોળી ફૅક્ટર 

મોદી જૂનાગઢના ઍગ્રિકલ્ચર યુનિવર્સિટી પાસે મેદાનમાં જાહેરસભાને સંબોધશે.  જૂનાગઢ ભાજપના મીડિયા પ્રભારી પંકજ કાનાબારના કહેવા પ્રમાણે :
 
"જૂનાગઢ ઉપરાંત પોરબંદર, અમરેલી અને રાજકોટ જેવી આજુબાજુની લોકસભા બેઠકો તથા માણાવદર વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો આ કાર્યક્રમમાં હાજર રહેશે."
 
જૂનાગઢની બેઠક ઉપર ભાજપે રાજેશ ચૂડાસમા અને કૉંગ્રેસે પૂંજાભાઈ વંશને ટિકિટ આપી છે. જૂનાગઢમાં 3.50 લાખ એટલે કે એ બેઠકના 19.55 ટકા મતદારો કોળી સમાજના છે.  ભાજપે જસદણના કુંવરજીભાઈ બાવળિયા અને સુરેન્દ્રનગરના ધારાસભ્ય પરસોતમ સાબરિયાને પોતાના પક્ષે લઈને કોળી મતદારોને સાધવાનો પ્રયાસ કર્યો છે.
 
વરિષ્ઠ પત્રકાર કાના બાંટવાના કહેવા પ્રમાણે, "સૌરાષ્ટ્રનો વિસ્તાર અનપેક્ષિત પરિણામો આપવા માટે પંકાયેલો છે. એટલે તેના ઉપરથી ધ્યાન હટાવવું પાલવે તેમ નથી."
 
"ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોની આત્મહત્યા, પાકવીમો, પાણી જેવા મુદ્દે ખેડૂતોમાં અસંતોષ પ્રવર્તે છે. એટલે ભાજપ આ મુદ્દે સતર્ક હોય તેમ જણાય છે."
 
સૌરાષ્ટ્રમાં પાટીદાર ફૅક્ટર
પોરબંદરની બેઠક ઉપર કૉંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન કર્યું ત્યારે વસોયા તેમની સાથે જોડાયેલા હતા. તેમની સામે ભાજપે રમેશભાઈ ધડુકને મેદાને ઉતાર્યા છે.
પોરબંદરની બેઠક ઉપર 16 ટકા, જ્યારે જૂનાગઢની બેઠક ઉપર 12 ટકા વસ્તી પાટીદાર સમાજની છે.
બાંટવા માને છે, "સૌરાષ્ટ્રવાસીઓમાં એવી ભાવના રહી છે કે આ વિસ્તારની ઉપેક્ષા થતી રહે છે."
 
"ત્યારે અહીંથી ચૂંટણીપ્રચાર અભિયાન શરૂ કરીને સંદેશ આપવાનો પ્રયાસ થયો હોય તેમ જણાય છે."
 
 માણાવદરમાં આહીર ફૅક્ટર
જૂનાગઢ જિલ્લાની માણાવદર પેટાચૂંટણી માટે ભાજપે આહીર નેતા જવાહર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ ગત મહિને કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. કૉંગ્રેસે અરવિંદ લાડાણીને ઉતાર્યા છે.
 
ગત મહિને ભાજપમાં પ્રવેશની સાથે જ ચાવડાને કૅબિનેટ કક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. સ્વાભાવિક રીતે જ અન્ય ઉમેદવારોની સાથે ચાવડા પણ હાજર રહેશે. રાજકોટ (25 ટકા), અમરેલી (25 ટકા) અને પોરબંદરની બેઠક પર પાટીદાર સમાજના મતદારોનું પ્રભુત્વ છે અને એ ત્રણેય બેઠકો પર પાટીદાર વિરુદ્ધ પાટીદાર ઉમેદવારનો જંગ છે.
 
સોનગઢમાં સભા
 
જૂનાગઢ બાદ મોદી દક્ષિણ ગુજરાતના સોનગઢમાં જાહેરસભાને સંબોધશે. બુધવારની ગુજરાતયાત્રા દરમિયાન મોદી દક્ષિણ ગુજરાતમાં સોનગઢ ખાતે જાહેરસભાને સંબોધીને બારડોલી તથા નવસારી ઉપરાંત મહારાષ્ટ્રની નંદુરબાર બેઠકના મતદારોનો સંપર્ક સાધશે. ચિત્રલેખાના સિનિયર કૉરસ્પૉન્ડન્ટ ફયસલ બકીલીના કહેવા પ્રમાણે, "દક્ષિણ ગુજરાતની માંડવી, નિઝર તથા વ્યારા બેઠકો ઉપર પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ રહી છે."
 
"જોકે, 2007 અને 2012માં ભાજપને કૉંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લેવામાં સફળતા મળી હતી. મોદી સભા દ્વારા મહારાષ્ટ્રના નંદુરબારના મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે."
 
"આ બેઠક ઉપર કૉંગ્રેસના ઉમેદવાર માણિકરાવ ગાવિત નવ વખતથી ચૂંટાઈ રહ્યા હતા. 2014માં ભાજપના ડૉ. હિના ગાવિત પ્રથમ વખત આ બેઠક ઉપર ચૂંટાઈ આવ્યાં."
 
મહારાષ્ટ્રમાં બેઠકોના વિભાજન દરમિયાન ગુજરાત સાથે જોડાયેલી નંદુરબાર બેઠક ભાજપને મળી હતી. ભાજપે આ વખતે ડૉ. ગાવિતને રિપીટ કર્યાં છે.
 
માણિકરાવ તેમના પુત્ર ભરત માટે ટિકિટ માગતા હતા, પરંતુ કૉંગ્રેસે વર્તમાન સ્થાનિક ધારાસભ્યને ટિકિટ આપી છે.