શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 31 જુલાઈ 2019 (11:32 IST)

કાફે કૉફી ડેના માલિક વી. જી. સિદ્ધાર્થનો મૃતદેહ નેત્રાવતી નદીના કિનારેથી મૃતદેહ મળી આવ્યો છે.

કાફે કૉફી ડેના માલિક વી. જી. સિદ્ધાર્થનો મૃતદેહ મળી ગયો છે. એએનઆઈના અહેવાલ મુજબ નેત્રાવતી નદીના કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે.

સિદ્ધાર્થ સોમવારથી લાપતા હતા અને તેમનો મોબાઇલ પણ સ્વીચ ઑફ આવતો હતો.

તેમના લાપતા થયાના સમાચાર આવ્યા બાદ નેત્રાવતી નદીમાં તેમને શોધવા માટે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

નેત્રાવતી નદી પર આવેલા પુલ પાસેથી સ્થાનિક માછીમારોને તેમનો મૃતદેહ મળી આવ્યો છે. તેમના મૃતદેહને મેડિકલ તપાસ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવશે.

આ પહેલાં કહેવામાં આવતું હતું કે તેમણે નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

કર્ણાટકના પૂર્વ મંત્રી યુ. ટી. ખડેરનું કહેવું છે કે તેમના ચહેરા પર થોડું લોહી દેખાય છે પરંતુ શરીરમાં કોઈ દેખીતી ઈજા નથી.

સિદ્ધાર્થ ભારતના પૂર્વ વિદેશમંત્રી અને હાલ ભાજપના નેતા એસ. એમ. કૃષ્ણાના જમાઈ હતા.

તેમના ડ્રાઇવરે ફરિયાદમાં કહ્યું છે કે સિદ્ધાર્થ નેત્રાવતી નદીના પુલ પર કારમાંથી ઊતરી ગયા હતા. તેમણે કહ્યું કે તેઓ થોડીવાર અહીં ફરવા માગે છે, જે બાદ તેમણે ડ્રાઇવરને કહ્યું કે તે પુલના બીજા છેડા પર રાહ જોઈ પરંતુ તેઓ એક કલાક સુધી પરત આવ્યા ન હતા.