શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By નીતિન શ્રીવાસ્તવ|
Last Modified: શનિવાર, 20 એપ્રિલ 2019 (11:43 IST)

નરેન્દ્ર મોદી અને નવીન પટનાયક વચ્ચે કલિંગની ધરતી પર જબરદસ્ત ટક્કર

નીતિન શ્રીવાસ્તવ
 
2018મા ભારતના ઓડિશા ખાતે હોકી મેચ આયોજિત કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી નવીન પટનાયકે દર્શકોને 'જુમલો' આપ્યો. 
 
"આપણ માને ખુશી તૌ?" (શું તમે લોકો ખુશ છો?)
 
જ્યારે ભીડે જવાબ આપ્યો, "હા, હા"
 
નવીને જવાબ આપ્યો, "મૂ બી બહુત ખુશ" (હું પણ ખૂબ ખુશ છું.)
 
આ રીતે નવીન પટનાયક લોકોના મનની ઇચ્છા જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને જનતા સાથેનું તાદાત્મ્ય પણ સ્થાપિત કરવા માગતા હતા.
 
પરિવર્તનનો પ્રવાહ
 
આ ઘટના ઘટી એના અમુક મહિના પહેલાં એક દિવસ રસ્તા ઉપર ફ્રૂટની લારી પાસે વૈભવી કાર ઊભી રહી. કારમાં બેઠેલી વ્યક્તિને જોઈને તરબૂચ-પપૈયા વેચનારો ફેરિયો ચકિત થઈ ગયો. અંદર બેઠેલા નવીન પટનાયકે લગભગ 10 મિનિટ સુધી તેની સાથે વાતચીત કરી. 
 
આ ઘટનાના અમુક મહિના પૂર્વે ભૂવનેશ્વરના પ્રખ્યાત બુક સ્ટોલમાં નવીન તથા તેમના પત્રકાર-લેખિકા બહેન ગીતા મહેતા પહોંચ્યાં હતાં. એ સમયે બુક સ્ટોલ ઉપર કેટલાક યુવક-યુવતીઓ પહેલાંથી જ હાજર હતાં, તેમણે ખચકાતાં-ખચકાતાં સેલ્ફી માટે નવીનને વિનંતી કરી. નવીન પટનાયકે એક-એક કરીને દરેકની સાથે સસ્મિત સેલ્ફી લેવા દીધી. 
 
નવીન પટનાયકને 51 વર્ષની ઉંમરે ઓડિશાનું શાસન વારસામાં મળ્યું હતું.
 
'મુશ્કેલી પડશે'
 
પૂર્વ મુખ્ય પ્રધાન બીજુ પટનાયકના મોટાપુત્રને રાજકારણમાં રસ નથી અને તેઓ વેપાર કરે છે અને બહેન ગીતા મહેતા સાહિત્યજગતમાં વિખ્યાત નામ છે. ઓડિશાના દરેક ખૂણામાં નાગરિકો પટનાયકને ઓળખે છે. ભૂવનેશ્વરથી અમુક કિલોમીટર દૂર અમારી મુલાકાત માનસ નામની વ્યક્તિ સાથે થઈ, જે ડ્રાઇવર તરીકે કામ કરીને આજીવિકા રળે છે.
 
માનસે અમને જણાવ્યું, "જ્યારે અમે નાના હતા ત્યારે કૉંગ્રેસનું જોર હતું, પરંતુ લાંબા સમયના કૉંગ્રેસી કાર્યકાળ દરમિયાન બરાબર રીતે વિકાસ થયો ન હતો અને લોકો ઉપર ધ્યાન પણ આપ્યું ન હતું."
 
"પછી લોકોએ બીજેડીને વોટ આપ્યાં અને નવીન પટનાયકની સરકાર આવી. પછી ભૂવનેશ્વર સહિત અને શહેર અને ગામડાંઓનો વિકાસ થયો અને માર્ગોનું નિર્માણ થયું."
 
મેં પૂછ્યું, "શું આ વવખતે પણ નવીન પટનાયકનું ઉત્કૃષ્ટ પ્રદર્શન યથાવત્ રહેશે?"
 
માનસે જવાબ આપ્યો, "આ વખતે મહેનત કરવી પડી રહી છે, કારણ કે ઓડિશામાં મોદીની ડિમાન્ડ વધી છે અને બીજેડીને આશંકા છે કે તેના વોટ ઘટશે."
 
19 વર્ષથી શાસન
 
પોતાના 19 વર્ષના કાર્યકાળ દરમિયાન 17 વર્ષ સુધી પટનાયકે અલગ ઢબે રાજ કર્યું હતું. તેઓ પ્રજાની વચ્ચે હળવા મળવાનું, જનતાની વચ્ચે પ્રચાર કરવાનું તથા વાતચીત કરવાનું ખાસ પસંદ કરતા ન હતા. લાંબા સમય સુધી ભૂવનેશ્વરમાં પટનાયકની દિનચર્યાને નજીકથી જોનારાઓના કહેવા પ્રમાણે:
 
"સાંજે સાત વાગ્યે બધું કામ પતાવીને પટનાયક ઘરે જતા રહેતા અને બીજા દિવસે સવાર સુધી તેમનું સામાજિક જીવન ખતમ થઈ જતું."
 
જોકે, હવે અલગ સ્થિતિ પ્રવર્તે છે. તેમના ઘર 'નવીન નિવાસ' ખાતે પાર્ટીના ટોચના નેતાઓની અવરજવર ચાલુ રહે છે અને બીજેડી ઓફિસે ખાસ હલચલ જોવા નથી મળતી, કારણ કે તમામ ઍક્શનનું કેન્દ્ર મુખ્ય મંત્રી નિવાસ જ હોય છે.
 
'નવીન' સ્વરૂપમાં પટનાયક 
 
ગત એક વર્ષ દરમિયાન નવીન પટનાયકોએ લોકોને હળવા મળવાનું વધારી દીધું છે અને નજીકના લોકો જનમાનસમાં તેમની છાપ ઉપર કામ કરી રહ્યા છે. ચાર વખત વિધાનસભા અને આ દરમિયાન લોકસભાની ચૂંટણીમાં પોતાનો સિક્કો જમાવનારા નવીન પટનાયકને આ બધું કરવાની જરૂર કેમ પડી?
 
બીજેડી સાથે છેડો ફાડ્યા બાદ હવે ભાજપે ઓડિશા ઉપર મીટ માંડી છે અને ત્યાં નવીન પટનાયક સામે મોરચો માંડ્યો છે.
 
વરિષ્ઠ પત્રકાર સંદીપ સાહૂના કહેવા પ્રમાણે, "વર્ષ 2017ની પંચાયતની ચૂંટણી દરમિયાન ભાજપને ખાસ્સી સફળતા મળી, ત્યારથી નવીન ગંભીર થયા અને તેમના સ્વભાવમાં આવેલું પરિવર્તન જોઈ શકાય છે."
 
પંચાયતની ચૂંટણીમાં મળેલો આંચકાજનક પારજય અને વર્તમાન સ્થિતિમાં ભાજપ તરફથી ઊભા થયેલા પડકારને કારણે પણ પરિવર્તન આવ્યું હોય તેમ લાગે છે. વરિષ્ઠ પત્રકાર કસ્તૂરી રેને લાગે છે કે સત્તાવિરોધી વલણ બીજેડી સામે સૌથી મોટો પડકાર છે.
 
તાજેતરમાં મુખ્ય પ્રધાન નવીન પટનાયકે પણ આ વાત કહી હતી.