શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : ગુરુવાર, 23 એપ્રિલ 2020 (19:56 IST)

જ્યાં જ્યાં ભારતીયોઓ વસે...ત્યાં ત્યાં થાય ધામધૂમથી દિવાળીની ઉજવણી

દિવાળીના દિવસો ચાલી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિની ભાતીગળ છાપ ઊભી કરતા પર્વની વિવિધ દેશો પણ ઉજવણી કરે છે. જેમાં નેપાળમાં દિવાળીને ‘તિહાર’ના નામે ઓળખવામાં આવે છે. જેમાં સમૃદ્ધિ બક્ષનારી દેવી મા લક્ષ્મી-ગણેશની પૂજા કરવામાં આવે છે. પાંચ દિવસ સુધી ઉત્સવને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દરેક દિવસનું એક અનેરું મહત્ત્વ છે. જેમાં પહેલા દિવસે ગાયની પૂજા કરવામાં કરવામાં આવે છે. ખાસ ચોખાને પકાવીને ગાયને ભોજન કરાવવામાં આવે છે, એવી માન્યતા છે કે ગાય ઉપર બેસીને ‘માલક્ષ્મી’ બધાને ઘરે આવે છે. બીજા દિવસે શ્ર્વાનની પૂજા કરી તેને પ્રિય ભોજન આપવામાં આવે છે. એવી માન્યતા છે કે શ્ર્વાનને ‘ભૈરવદેવ’નું વાહન માનવામાં આવે છે. ત્રીજા દિવસે ખાસ મીઠાઈ બનાવીને, ઘરે ઘરે દીપ પ્રગટાવીને માને આહ્વાન કરવામાં આવે છે. ચોથા દિવસે દીર્ઘાયુષની કામના કરીને ‘યમદેવ’ની પૂજાઅર્ચના કરવામાં આવે છે. પાંચમો દિવસ ભાઈ-બહેનના પ્રેમને મજબૂત કરવાનો દિવસ ગણવામાં આવે છે. જે ‘ભૈયા-દૂજ’ તરીકે જાણીતો છે. જેમાં ભાઈ બહેનની પ્રગતિ અને લાંબા જીવનની કામના કરે છે.

રંગબેરંગી પક્ષીઓનો દેશ ગણાતા ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય વંશજની હાજરી સારા પ્રમાણમાં હોવાને કારણે કેરેબિયન આયલૅન્ડમાં ધામધૂમથી ઉજવાય છે. આશરે ૧૩ લાખની વસ્તીમાંથી ૪૩ ટકા ભારતીયો અહીં આપને જોવા મળશે. દિવાળીના દિવસે જાહેર રજા હોય છે. પ્રાર્થના, મીઠાઈઓ અને હજારો દીપ પ્રગટાવીને આખા શહેરમાં રોશની કરવામાં આવે છે જે નઝારો જોવા લાયક હોય છે.

બે સમુદાયની ઉજવણી વિશિષ્ટ પ્રકારે થાય છે. નાના ગામના લોકો ઓપન-એર થિયેટરમાં રંગબેરંગી કપડાં પહેરીને વેરાયટી શૉઝ કરે છે. સરકારી કર્મચારીઓ તથા પ્રધાનમંત્રી પણ ભારતીય ઢબના કપડાં પહેરીને સ્ટેજ ઉપર રંગારંગ કાર્યક્રમો કરે છે. ત્રિનિદાદની ગલીએ ગલીમાં વાંસની દાંડીઓને વિવિધ આકારની ડિઝાઈનનો ઓપ આપીને તેમાં દીવડા પ્રગટાવવામાં આવે છે. જે નઝારો જોવા સ્થાનિકોની ભીડ ઉમટે છે. દિવાળીના સમયે જો આ આયલૅન્ડની મુલાકાત લેવામાં આવે તો દીવડાઓની રોશની તથા ઘરે ઘરની મીઠાઈની મજા માણવાનો આનંદનો લ્હાવો અચૂક માણવો જોઈએ. પર્વની આમન્યા રાખતા બધા એકબીજાની સાથે વેરભાવ ભૂલીને નિ:સ્વાર્થ પ્રેમની સાથે ઉમળકાભેર સ્વાગત કરે છે. પંખીઓની દરકાર હોવાથી ફટાકડાથી સ્થાનિકો દૂર રહે છે.

મોરિશિયસમાં પણ પ્રકાશના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. ૬૩ ટકા ભરાતીયોની વસ્તીમાંથી મોટાભાગના હિન્દુ ધર્મના અનુયાયી જોવા મળે છે. મોરિશિયસની ગલીઓમાં તથા જાહેર રસ્તાઓને પણ દીપ, લાઈટ અને આકર્ષક મીણબત્તીનો પ્રકાશની ઝગમગાટમાં તરબોળ જોવા મળે છે. ૧૪ વર્ષના વનવાસ બાદ ભગવાન રામના આગમનને અહીંયા પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. અશુભ ઉપર શુભનો વિજય તથા અંધારાની ઉપર ઉજાસના વિજયને પ્રતીક ગણવામાં આવે છે. દિવાળીના શુભ દિવસે વેપારીઓ નવા વર્ષને વધાવતા જૂના ખાતાની ખાધના ભારને ઉતારે છે.

અમેરિકાની સેનેટમાં ૧૪મી નવેમ્બર ૨૦૦૭ના વર્ષથી દિવાળીનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ જાણીને તેની ઉજવણી અંગેનો સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા દીવાળીની ઉજવણી અમેરિકામાં ભારતીય સમુદાયમાં ઉત્સાહથી કરવામાં આવે છે. ભારતીય ઉત્સવોની ઉજવણી કરીને સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખવામાં આવે છે.

ભારતમાં દિવાળીની ઉજવણી પરંપરાગત રીતે વિવિધ રાજ્યોમાં થતી હોય છે. જેમાં દરેક સમુદાયના લોકો પોતાની મુશ્કેલીને ભૂલીને એકબીજાની સાથે હળીમળીને પર્વને ઉજવે છે. માનવજીવનની રોજબરોજની ઘટમાળથી બહાર કાઢીને જીવનમાં નવો ઉત્સાહ જન્માવે છે.

દિવાળીમાં પ્રાણીઓને શણગારીને પૂજા અર્ચના કરવાનો રિવાજ છે. ભારતના તામીલનાડુ રાજ્યમાં ઈરોડ જિલ્લામાં આવેલ પક્ષીઓના અભયારણ નજીક રહેતા ૭૫૦ કુટુંબ દિવાળીમાં ફટાકડા ફોડતા નથી. ઑક્ટોબર-નવેમ્બરમાં અભયારણમાં હજારો પક્ષીઓ વિદેશથી આવતા હોય છે, જે ફટાકડાના અવાજથી ડરી જઈને પોતે મૂકેલા ઈંડા છોડીને ચાલી જાય તેવું પણ બની શકે છે તેથી સાવચેતીના પગલાં રૂપે સ્થાનિકો સારા કપડાં પહેરવા તથા ઘરમાં બનાવેલી મીઠાઈની મિજબાની માણે છે. ફટાકડા ફોડતા નથી. બાળકોને પણ પક્ષીઓ પ્રત્યે અઢળક પ્યાર હોવાને કારણે તેવો ફટાકડાની ખરીદીથી દૂર રહે છે, જે

ફક્ત પ્રદૂષણ ફેલાવે છે. અવાજને ડેસિબલમાં માપવામાં આવે છે. સામાન્ય વાતચીતનો અવાજ આશરે ૬૦ ડેસિબલ જેટલો મોટો હોય છે. તમારા ઓરડામાં ચાલતા પંખાનો ૪૦ ડેસિબલ ધ્વનિ હોય છે. જ્યારે ટ્રાફિકનો અવાજ ૮૦ ડેસિબલ જેટલો હોય છે. ૮૦ ડેસિબલથી વધુ મોટો અવાજ સામાન્ય માનવી માટે પણ ખતરનાક ગણાય છે. ફટાકડા ફોડવાથી જે અવાજ ઉત્પન્ન થાય છે ૧૨૦ થી ૧૪૦ ડેસિબલથી પણ વધુ હોય છે જે વ્યક્તિને બહેરી બનાવી દે છે. ઘણા કિસ્સામાં અચાનક મોટો અવાજ કાનને અથડાતા કાનના પડદાને તોડી નાંખીને અસહય દુખાવો પેદા કરી શકે છે. દિવાળીમાં ફટાકડા ફોડવાનો વિચાર કરો તો તમારો આનંદ કોઈ માટે જાનનું જોખમ બને નહી તેની કાળજી લેજો. કારણ કે પક્ષીઓ અને પાળી શકાય તેવા પ્રાણીઓની શ્રવણ શક્તિ સામાન્ય માનવીથી ઘણી વઘારે જોવા મળે છે. જેને કારણે ફટાકડાનો અવાજ તેમને ૬૭ મૅગાહર્ટઝ જેટલો વધારે જોરથી સંભળાય છે. જે સામાન્ય રીતે આપણને ૨૦ મૅગાહર્ટઝ જેટલો લાગે છે. પશુ પંખીઓ ભયભીત થતાં હાર્ટઍટેકનો ભોગ પણ બની શકે છે. ફટાકડાનો અવાજ થતાં સામાન્ય રીતે આપણા ધ્યાનમાં આવ્યું જ હશે કે પંખીઓ આકાશમાં એક સાથે ગભરાટને કારણે ઉડતા જોવા મળે છે. આપણી સાથે રહેવા ટેવાયેલા પ્રાણીઓ જેવા કે શ્ર્વાન, ગાય, ભેંસ ગધેડા વિ. ભયભીત થઈને દોડતા જોવા મળે છે. ઘણા વિસ્તારોમાં તોફાની તત્ત્વો નિર્દોષ શ્ર્વાનની પૂછડીમાં ફટાકડા બાંધીને તેમની સાથે ક્રૂરતાભર્યું વર્તન કરી મજાક કરતા જોવા મળે છે, જે પશુ-પંખી માટે તણાવ પેદા કરે છે. ઘરના વડીલોએ બાળકોને માનવજાતના મિત્રો તેવા પશુ-પંખીઓ પ્રત્યે માનવતા પ્રગટાવી ફટાકડા ફોડવાથી થતા ક્ષણિક આનંદની જગ્યાએ તે જ પૈસાનો ઉપયોગ પશુપંખીના જતનમાં વપરાય તેવું વિચારે તો દેશને પ્રદૂષણ અને ફટાકડાના અમર્યાદ કચરાને અટકાવી શકાય. દિવાળીના પર્વમાં દેશવિદેશમાં થતી પ્રાણીઓની પૂજા સાર્થક થઈ કહેવાય!