શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 27 એપ્રિલ 2017 (14:27 IST)

શંકરસિંહ વાઘેલાની ગેરહાજરીમાં કોંગ્રેસે ચૂંટણીલક્ષી કાર્યક્રમો તૈયાર કર્યાં

વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસમાં ધમધમાટ શરૃ થયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ખાતે બુધવારે બુથ સશક્તિકરણ ઉપરાંત અન્ય ચૂંટણીલક્ષી ચર્ચા માટે બેઠક મળી હતી જેમાં ધારાસભ્ય,સાંસદો, શહેર -જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ ,જીલ્લા - તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેન ઉપરાંત આમંત્રિતોની ઉપસ્થિતીમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમો ઘડાયા હતાં. જોકે, આ બેઠકમાં વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ગેરહાજરી સૂચક બની રહી હતી. બેઠકમાં બુથ મેનેજમેન્ટને વધુ સક્ષમ બનાવવા પર ગહન ચર્ચા થઇ હતી. એવુ પણ નક્કી કરાયું કે, દિલ્હીની જવાહરલાલ નહેરૃ ઇન્સ્ટિટયુટના નિષ્ણાતો કોંગ્રેસી કાર્યકરોને બુથ મેનેજમેન્ટના પાઠ ભણાવશે . પેજ પ્રભારી નિમાશે.

વિધાનસભા-લોકસભા બેઠકના નિરીક્ષકોએ પ્રજા વચ્ચે જઇને સંવાદ સ્થાપી લોકપ્રશ્નોના ઉકેલમાં ભાગીદાર બનવા આદેશ અપાયો છે. દરિયાકાંઠાની અનેક સમસ્યા છે ત્યારે અર્જૂન મોઢવાડિયાની આગેવાનીમાં ૩જી મેથી કિનારાબચાવો યાત્રાનું પણ કોંગ્રેસે આયોજન કર્યું છે. કચ્છના માંડવીથી નીકળીને વલસાડ ખાતે કિનારાબચાવો યાત્રાનુ સમાપન થશે. ખેડૂતોને પાકના ભાવો મળી રહે તે માટે કોંગ્રેસ જીલ્લામથકોએ વિરોધ -દેખાવો કરશે. આ ઉપરાંત ઇવીએમમાં ગરબડ ન થાય તે માટે જીલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપશે. એટલું જનહીં, કોંગ્રેસી કાર્યકરોને ઇવીએમની ગરબડી વિશે ખાસ સમજ આપવામાં આવશે. સંગઠનમાં સભ્ય નોંધણી ઝૂંબેશને પણ વેગવાન બનાવવા નક્કી કરાયું છે.