શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :મુંબઈ, , મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (00:01 IST)

ટાટા સન્સે સાયરસ મિસ્ત્રીની કંપનીના ચેરમેન પદેથી હકાલપટ્ટી કરી

દેશની સૌથી મોટી કંપનીઓમાં સ્‍થાન ધરાવનાર ટાટા ગ્રુપના ચેરમેન સાઇરસ મિસ્ત્રીએ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપ્‍યું હતું. નમકથી લઈને સોફ્ટવેર બિઝનેસમાં માંધાતા ગણાતા, 108 અબજ ડોલરની મૂડી ધરાવતા ટાટા ગ્રુપની કંપની ટાટા સન્સે એક આંચકાજનક બનાવમાં, ચેરમેનપદેથી સાયરસ મિસ્ત્રીની હકાલપટ્ટી કરી દીધી છે. ટાટા સન્સે સાયરસ મિસ્ત્રીને કંપનીના ચેરમેન પદેથી દૂર કરી દીધા છે અને ચેરમેન ઈમેરિટસ રતન ટાટા 4 મહિના માટે વચગાળાના ચેરમેન પદે રહેશે.


આ ગાળા દરમિયાન કંપનીની સર્ચ પેનલ દ્વારા નવા ચેરમેનની પસંદગી કરવામાં આવશે. નવા ચેરમેનની શોધ માટે બનાવવામાં આવેલી પેનલમાં રતન તાતા, વેણુ શ્રીનિવાસન, અમિતચંદ્ર, રોનેન સેન અને લોર્ડ કુમાર ભટ્ટાચાર્યનો સમાવેશ થાય છે. સાયરસ મિસ્ત્રીના રાજીનામાને કોર્પોરેટ સેક્‍ટરમાં હાલના સૌથી મોટા ફેરફાર તરીકે ગણવામાં આવે છે. તાતા ગ્રુપે આશરે ચાર વર્ષ પહેલા સાપુરજી પલોન્‍જી ગ્રુપના એમડી રહેલા સાઇરસ મિસ્ત્રીને રતન તાતાના ઉત્તરાધિકારી તરીકે ચૂંટી કાઢીને કોર્પોરેટ જગતમાં ભારે ચર્ચા જગાવી હતી. 48 વર્ષીય અને આયરલેન્ડમાં જન્મેલા સાયરસ પલોનજી મિસ્ત્રીને 2012ની 28 ડિસેંબરે ટાટા ગ્રુપના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગ્રુપના તે છઠ્ઠા ચેરમેન હતા. એમને પદ પરથી હટાવવા પાછળ કંપનીએ કોઈ કારણ જણાવ્યું નથી. પરંતુ એવું લાગે છે કે મિસ્ત્રીની મેનેજમેન્ટ સ્ટાઈલ અને અસ્ક્યામતોને વેચી દેવા માટે તેમના વલણ મામલે થયેલા મતભેદોને કારણે એમની હકાલપટ્ટી કરવામાં આવી છે.

સાયરસ મિસ્ત્રીના પરિવારની કંપની શાપૂરજી પલોનજી ગ્રુપ ટાટા સન્સમાં 18.4 ટકા હિસ્સો ધરાવે છે.

ટાટા સન્સમાં 66 ટકા શેર ટાટા પરિવારના સભ્યોના સંચાલનવાળા દાનેશ્વરી ટ્રસ્ટ્સના છે. ટાટા સન્સના બોર્ડે જણાવ્યું છે કે તેણે કંપનીના લાંબા ગાળાના હિતને ધ્યાનમાં રાખીને સાયરસ મિસ્ત્રીને હટાવી દીધા છે.