મનમોહનસિંહે પોતાનું મૌન તોડીને કર્યા ભાજપ પર તીખા પ્રહાર
P.R
ભારતના પ્રધાનમંત્રી માટે હંમેશા લોકો કહે છે કે તેઓ મોટાભાગે કોઈવાત પર કશુ બોલતા નથી. પરંતુ ગઈકાલે વડાપ્રધાન મનમોહનસિંહે નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર લોકસભામાં કોંગ્રેસ નેતૃત્વ વિરુદ્ધ અપશબ્દો માટે વિપક્ષ ભાજપની આકરી ટીકા કરી હતી. તેમણે લોકસભામાં આજે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીમાં ભાજપના “ઈન્ડિયા શાઈનીંગ” અભિયાન નિષ્ફળ રહ્યુ હતુ અને ભાજપનું જો આ જ વલણ રહેશે તો તે ફરીથી ચૂંટણીમાં હારી જશે.
તેમણે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની મજાક ઉડાવતા કહ્યુ હતુ કે ભાજપે 2009માં “લોહપુરુષ”ને મેદાનમાં ઉતાર્યા હતા પણ તેનો કોઈ અર્થ સર્યો નહોતો.
વડાપ્રધાને ભાજપની ટીપ્પણીઓનો જવાબ આપતા કહ્યુ હતુ કે આર્થિક મંદી દેશમાં વધુ લાંબો સમય નહીં ચાલે. વડાપ્રધાને કહ્યુ હતુ કે ભારતને રોકાણની જરૂર છે અને તેને પ્રોત્સાહિત કરવા માટે તેઓ કામ કરતા રહેશે. વડાપ્રધાને કહ્યુ હતુ કે વિકાસને પ્રોત્સાહિત કરવા માટે હજુ પણ વધુ કોશિશોની આવશ્યક્તા છે. દેશ ફરીથી 8 ટકાનો વિકાસદર પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ છે.