શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી કાવ્ય
Written By સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી|

શિકારીને

રહેવા દે રહેવા દે આ સંહાર, યુવાન ! તું,
ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સંતનું, 1

પંખીડાં, ફૂલ રૂડાં, લતા આ, ઝરણા તરુ;
ઘટે ના ક્રૂર દ્રષ્ટિ ત્યાં : વિશ્વ સૌંદર્ય કૂમળું. 2

તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે;
તીરથી પક્ષી તો ના, ના, કિંતુ સ્થૂલ મળી શકે. 3

પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. 4

સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે ;
સૌન્દર્ય પામતાં પહેલા સૌન્દર્ય બનવું પડે, 5

સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે. 6

રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન ! તું;
બધે છે આર્દ્રતા છાઈ, તેમાં તે ભળવું ભલું ! 7