શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 24 ઑક્ટોબર 2016 (12:34 IST)

રાજ્યમાં નદીમાં ડૂબવાના અરેરાટી ફેલાય તેવા બનાવો-3 નાં મોત, 1ની શોઘખોળ ચાલુ

માંગરોળના કોટડા સીમ વિસ્તારમાં રવિવારે સર્જાયેલી કરૂણાંતિકામાં નોળી નદીના ધૂનામાં ન્હાવા પડેલા બે પિતરાઇ ભાઇ સહિત ત્રણ મુસ્લિમ તરૂણોના મોત નિપજતાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી. આ અરેરાટીભર્યા બનાવની વિગત મુજબ માંગરોળના ચારાબજાર નજીક આવેલા તાઇવાડામાં રહેતા ત્રણ મિત્રો રવિવારે સવારે ટાવરગ્રાઉન્ડમાં રમવા જવાનું કહી ઘરેથી સાઇકલ લઇ નિકળ્યાં હતાં.પરંતુ પરિવારજનોને  સ્વપ્નેય ખ્યાલ નહીં હોય તેમ શહેરથી 4 કિમી દુર જેતખમ રોડ પર નોળી નદીમાં આવેલા ધોબી ધુનામાં ન્હાવા પડયા હતા. દરમિયાન નવેક વાગ્યાના અરસામાં તેઓ ડુબવા લાગ્યા હતા. જેની આજુબાજુના વાડીવિસ્તારનાં લોકોને જાણ થતાં ત્રણેયને બચાવવા તરવૈયાઓએ પાણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ અડધા - પોણા કલાક સુધી નદીના પાણી ફંફોળ્યા બાદ અકદીર ઇકબાલ અબ્દુલ તાઇ (ઉ.વ.16), મુસ્તફા ફૈસલ અ.કદીર (ઉ.વ.15) તથા ફૈઝાન ઇકબાલ તાઇ (ઉ.વ.13)ને બેભાન હાલતમાં બહાર કાઢયા હતા. ત્યારબાદ 108 મારફતે માંગરોળ સરકારી હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. તરૂણોનાં મોતથી મુસ્લિમ પરિવારો પર આભ તુટી પડયું હતું. ઘટનાને પગલે હોસ્પિટલમાં પરિવારજનોના  હૈયાફાટ રૂદનથી ગમગીની પ્રસરી ગઇ હતી. દીવનાં વણાંકબારાનો યુવાન જમજીરધોધમાં ગરક થતાં તરવૈયા દ્વારા તેની શોધખોળ હાથ ધરાઇ છે. રવિવારે ખારવા સમાજનાં 10 થી વધુ યુવાનો અહિંયા ફરવા આવ્યા હતાં. આ અંગેની મળતી વિગત મુજબ વણાંકબારાનાં  ખારવા સમાજનાં  10થી વધુ યુવાનો રવિવારે  જમજીર ધોધ ખાતે ફરવા આવેલ અને બપોરે ભોજન લઇ ન્હાવા પડયા હતાં.ઘટનાની જાણ થતાં પરિવારજનો  જમજીર ખાતે પહોંચી ગયા હતાં અને મહિલા સહિતનાં પરિવારનો કલ્પાંતથી  હૃદયદ્રાવક  દ્રશ્યો સર્જાયા હતાં. તે પૈકી ભાવિન રામજીભાઇ  સોલંકી (ઉ.વ.22) ઉંડા પાણીમાં  ગરક થઇ જતાં સાથે આવેલા યુવાનો અને તરવૈયાઓએ  સાંજ સુધી શોધખોળ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ કોડીનારનાં પીએસઆઇ  અને તેમની ટીમ, ટીડીઓ વાઘેલા, ગીરગઢડાનાં  મામલતદાર , આગેવાનો સહિતનાં લોકો દોડી ગયેલ. ધોધનો  પાણીનો પ્રવાહ પણ વધુ હોય સોમવારે સવારથી જ તરવૈયાઓ  દ્વારા ફરી શોધખોળ  હાથ ધરાશે. આ સમાચારની  જાણ થતાં જ ભાવિનનાં  પરિવારજનો  જમજીર ખાતે પહોંચી ગયા હતાં અને મહિલા સહિતનાં પરિવારનો કલ્પાંતથી  હૃદયદ્રાવક  દ્રશ્યો સર્જાયા હતાં. અહિંયા ફરવા આવેલા લોકોમાં પણ ગમગીની પ્રસરી ગઇ હતી.