આયુર્વેદને અનુસાર સ્વસ્થ્ય રહેવા માટેની દિનચર્યા
જાગવાનો સમય : સવારે ત્રણથી છ વાગ્યાનો સમય અધ્યયન અને જ્ઞાનોપાર્જન માટેનો ઉત્તમ સમય છે. ઉષ:પાન : ક્ષમતા અનુસાર સમશીતોષ્ણ જળ પીવો આનાથી મળની શુદ્ધિ થાય છે. મળમૂત્ર ત્યાગ : મળમૂત્રના પ્રાકૃતિક વેગ પર ધ્યાન આપવું જોઈએ. આને ગમે તેવી પરિસ્થિતિમાં પણ રોકવું ન જોઈએ. દાંત અને મુખ પ્રક્ષાલન : કાથો, કરંજ, અર્ક, અપામાર્ગ, બાવળ, લીમડો તેમજ બિલીની ડાળી વડે દાતણ કરો. ત્યાર બાદ જીભ અને મુખનું પ્રક્ષાલન કરો. અંજન : ઠંડા પાણી વડે આંખો ધુવો. આંખોની રોશની વધારવા માટે અને આંખોના અન્ય રોગોથી બચવા માટે રોજ ત્રિફળા વડે આંખો ધુઓ. તાંબુલ : પાનની સાથે કાથો, સોપારી, ઈલાયચી, લવિંગ વગેરેનું સેવન કરવાથી મોઢાની શુદ્ધિ અને આહાર પાચન સરખી રીતે થાય છે.