1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. કારગિલ વિજય દિવસ
Written By
Last Modified: શુક્રવાર, 26 જુલાઈ 2019 (10:56 IST)

Kargil vijay diwas ર૧ જૂને લેહથી શરૂ થયેલું સૈન્ય મોટર સાયકલ અભિયાન 8 રાજ્યોની ૪ર૦૦ કિ.મી. સફર તય કરી અમદાવાદમાં પુર્ણ થશે

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ર૦માં કારગીલ વિજય દિવસ ઉપલક્ષ્યમાં આવતીકાલે સવારે ૯ કલાકે અમદાવાદના શાહિબાગ, આર્મી કેન્ટોનમેન્ટમાં શહિદ સ્મારક ખાતે વીર શહિદ જવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરી કૃતજ્ઞતા વ્યકત કરશે. આ વર્ષ કારગીલ વિજયનું ર૦મું વર્ષ છે તે અનુસંધાને ભારતીય સેનાની સાહસ અને યોગ્યતા રેજિમેન્ટ દ્વારા આર્મી મોટર સાયકલ એકસપીડિશનનું પણ સાહસપૂર્ણ આયોજન કરવામાં આવેલુ હતું. મુખ્યમંત્રી ગત તા. ર૧ જૂન-ર૦૧૯ના લેહથી શરૂ થયેલ ૬ મોટર સાયકલ વીર જવાનો સાથેના આ એકસપીડિશનનું સમાપન પણ આ મોટર સાયકલ વીરોને આવકારીને અમદાવાદ ખાતે કરાવવાના છે.

આ મોટર સાયકલ એકસપીડિશનમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત રાજ્યના ૪ર૦૦ કિ.મીટરના પ્રવાસ દરમ્યાન ભારતીય સેનાના સાહસ, શૌર્ય સાથે ‘આપણા સૈન્યને ઓળખો’ તહેત આમ નાગરિકો-સમાજને સૈન્યની ગતિવિધિઓથી સુપેરે પરિચિત કરાવવાનો હેતુ રાખવામાં આવેલો હતો.

આ આઠ રાજ્યોમાં વસતા સેનાના નિવૃત વરિષ્ઠ જવાનો, અફસરો, શહિદ વીરોની વિધવા પત્નીઓ તેમજ તેમના બાળકો અને યુવા પેઢીનું સેના સાથે તાદાત્મ્ય વધારવાનો ધ્યેય પણ આ મોટર સાયકલ એકસપીડિશનનો હતો.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ એકસપીડિશનના સમાપન અને કારગીલ વિજય દિવસ કાર્યક્રમનું આયોજન સૈન્યના ગોલ્ડન કટાર ડિવીઝન દ્વારા કરવામાં આવ્યું છે. ભારતીય સેનાના અમદાવાદ સ્થિત વરિષ્ઠ અફસરો પણ આ વેળાએ ઉપસ્થિત રહી વીર શહિદોને ભાવાંજલિ આપશે.