શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. નાતાલ (મેરી ક્રિસમસ)
Written By
Last Modified: બુધવાર, 24 ડિસેમ્બર 2014 (16:43 IST)

૧૯મી સદીમાં ચર્ચમાં સજાવેલ નાતાલ વૃક્ષને રાખીને ફાળો એકત્ર કરવામાં આવતો

ડિસેમ્બર માસની શરૂઆત થાય એટલે ઈશુના જન્મની ખુશી દર્શાવતો નાતાલના પર્વની યાદ તાજી થાય. નાતાલનું મુખ્ય આકર્ષણ એટલે ‘સાન્તાકલૉઝ’ અને ‘ક્રિસમસ ટ્રી’. જીવનનું પ્રતિક તેવા લાલ અને લીલા રંગની ઉજવણી દર્શાવતું પર્વ. પશ્ર્ચિમી ગ્રંથોમાં આદમ અને ઈવની સફરજનના(પેરેડાઈઝ) વૃક્ષ હેઠળ બેસીને એકબીજા પ્રત્યે આકર્ષાયા. તે ડિસેમ્બર માસ હતો. વિશ્ર્વમાં ૨૪મી ડિસેમ્બરની રાતથી નાતાલની ઉજવણીમાં લાગી જાય. નાની મોટી બધી જ વ્યક્તિઓમાં ક્રિસમસ ટ્રીને સજાવવાનો ઉમળકો દેખાય. વિશ્ર્વના વિવિધ દેશોમાં વસતા ખ્રિસ્તીબંધુઓ મોટા પ્રમાણમાં ઉત્સવની ઉજવણી માટે તન મન અને ધનથી તૈયાર રહે છે. નાતાલના તહેવારનો મુખ્ય સંદેશ છે, હૃદયની પવિત્રતા માટે જીવનમાં પ્રેમ વાત્સલ્ય અને સ્નેહની વહેંચણી કરવી.

ક્રિસમસ ટ્રીનું આકર્ષણ નાના-મોટા દરેકમાં જોવા મળે છે. નામ સાંભળતા પણ આંખ સમક્ષ શૃંગાર સજેલ શકું આકારનું લીલુંછમ વૃક્ષ નજર સમક્ષ ઉભરી આવે. ક્રિસમસ ટ્રીનું ઉગમ યુરોપીય દેશમાંથી થયું તેવી માહિતી મળે છે. જીવનની પ્રેરણા આપતું આ વૃક્ષ માનવજીવનના સંઘર્ષને દર્શાવીને, શુભ દિવસને આવકારવા મનને સમજાવે છે. ફ્રાન્સ અને ઈંગ્લૅન્ડમાં પ્રાચીનકાળમાં ઑકના વૃક્ષને મીણબત્તી અને ફળોથી, પાકની લણણી વખતે સજાવવાની પ્રથા હતી. રોમન પ્રજા પણ પાકની લણણી વખતે વૃક્ષને શણગારતા હતા. જર્મનીમાં રહેતી ખ્રિસ્તી પ્રજા દ્વારા સૌ પ્રથમ ક્રિસમસ ટ્રીને શણગારીને ઘરમાં રાખવામાં આવતા. તે સમયે નાતાલના વૃક્ષો અત્યારે મળે છે, તેટલા સરળતાથી મળી શકતા નથી. તેથી જર્મન પ્રજા લાકડાનાં પિરામિડને વૃક્ષની અવેજીમાં બનાવીને તેને સજાવતા. સૌ પ્રથમ ક્રિસમસ ટ્રી જે ખ્યાતનામ બન્યું તે બિ્રિટશ રાજવીકુંવર આલ્બર્ટ દ્વારા વિવિધ કેન્ડી અને જીંજરબ્રેડથી સજાવવામાં આવ્યું હતું. જેને વિન્ડસર પેલૅસમાં રાખવામાં આવ્યું હતું. ૧૬મી સદીમાં માર્ટિન લ્યુથર કિંગે ક્રિસમસ ટ્રીમાં મીણબત્તી પ્રગટાવીને અંધારામાં ચમકતા તારાની રોશની દ્વારા બાળકોને જ્ઞાનના પ્રકાશનું મહત્ત્વ દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. ધીમેધીમે આ પ્રથાનો ફેલાવો ફિનલૅન્ડ, નોર્વે, સ્વિડન અને બીજા યુરોપીય દેશોમાં થયો. જર્મન નાગરિકો દ્વારા ૧૮૦૦ની સાલમાં આ પ્રથા અમેરિકા અને યુરોપના દેશોમાં આવી. ધીમેધીમે ઘરે-ઘરે ક્રિસમસ ટ્રીને લાવીને શણગારવાની ફેશન પ્રસરી. ૧૯મી સદીમાં સ્થાનિક ચર્ચમાં સજાવેલ નાતાલ વૃક્ષને રાખીને ફાળો એકત્ર કરવામાં આવતો. મોટી દુકાનો અને મૉલમાં વૃક્ષને લાઈટોથી શણગારવાની પ્રથા શરૂ થઈ.

વીજળીની શોધ થયા બાદ નાતાલ વૃક્ષને નાના વીજળીના બલ્બ, કેન્ડી, સૂકોમેવો અને બેરીસથી સજાવવામાં આવ્યા. અમેરિકામાં વેપારી ધોરણે બજારમાં નાતાલવૃક્ષ મળવા લાગ્યા.