1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 જુલાઈ 2021 (15:04 IST)

મોંઘવારીના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા જનચેતના રેલીનું આયોજન,મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો જોડાયા

કેન્દ્ર સરકાર દ્વારા દિવસે દિવસે મોંઘવારી વધારવામાં આવી રહી છે. પેટ્રોલ, ડીઝલ, તેલના ડબ્બા અને રાંધણગેસ સહિતના ભાવો વધી રહ્યાં છે. મોંઘવારીના વિરોધમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એલિસબ્રિજ રાજીવ ગાંધી ભવનથી લાલદરવાજા સરદારબાગ સુધી સાયકલરેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ આ રેલીમાં જોડાયા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મોંઘવારી સામે વિરોધ અને કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે પ્રજા મોંઘવારીમાં ત્રસ્ત છે અને સરકાર જાસૂસીમાં મસ્ત છે. 
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બપોરે મોંઘવારીના વિરોધમાં જનચેતના રેલીનું આયોજન કર્યું હતું.  પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રી, સિદ્ધાર્થ પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ રેલીમાં જોડાયા હતા. મહિલાઓ હાથમાં ચુલો અને લાકડા લઈ તેમજ તેલનો ડબ્બો લઈ વિરોધ કર્યો હતો. હાય હાય ભાજપ, બહુત હુઈ મહેગાઈ કઈ માર અબ કહા સો ગઈ મોદી સરકાર જેવા નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગોમતીપુર વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખ વિરોધ કરવા માટે બળદગાડું અને ઉટગાડું લઈને આવ્યા હતા. પરંતુ રેલીમાં ગાડું રાખવાની પરમિશન ન હોવાથી તેઓને રોકી લીધા હતા