1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (14:35 IST)

કોંગ્રેસના આક્ષેપ બાદ અંબાજી મંદિરમાં દાન રૂપે પાવતી લઈ થતા દર્શન બંધ કરાયા

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, અંબાજી મંદિરમાં પાંચ હજાર રૂપિયા આપીને વીઆઈપી દર્શન કરાવવામાં આવે છે
 
અમદાવાદઃ ગુજરાતમાં ડાકોરમાં વીઆઈપી દર્શનનો વિવાદ ચાલુ છે ત્યાં અંબાજીમાં પણ વીઆઈપી દર્શનને લઈને વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. કોંગ્રેસે વીઆઈપી દર્શનને લઈને આક્ષેપો કર્યા બાદ હવે  અંબાજી મંદિરમાં VIP દર્શન બંધ કરવામાં આવ્યાં છે. કોંગ્રેસના આક્ષેપો બાદ ભક્તોમાં હડકંપ મચી ગયો હતો. કોંગ્રેસે તાજેતરમાં જ આક્ષેપ કર્યો હતો કે, પાંચ હજાર રૂપિયા લઈને અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શનનો લાભ આપવામાં આવે છે. આ આક્ષેપનો વીડિયો સામે આવ્યા બાદ મંદીરનું વહીવટી તંત્ર જાગ્યું હતું અને મંદિરમાં દાન રૂપે પાવતી લઈ થતા VIP દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. 
 
પાંચ હજાર રૂપિયા આપીને વીઆઈપી દર્શન
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, અંબાજી મંદિરમાં પાંચ હજાર રૂપિયા આપીને વીઆઈપી દર્શન કરાવવામાં આવે છે. તમામ સનાતનીઓએ વીઆઈપી દર્શનનો વિરોધ કરવો જોઈએ. કોંગ્રેસના આક્ષેપ બાદ મંદિરના વહીવટદારે નિવેદન આપ્યું હતું અને કોંગ્રેસના આક્ષેપને ફગાવતાં કહ્યું હતું કે, મંદિરમાં કોઈ પણ જાતની VIP દર્શનની વ્યવસ્થા નથી. કેટલાક સંજોગો અથવા તો વૃદ્વને જ નજીકથી દર્શન કરાવવામાં આવે છે.