ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (14:42 IST)

અમદાવાદ શહેરમાં ‘લોક આઉટ’ અને પોલીસની રજા રદ, ‘રેડ એલર્ટ’

અમદાવાદ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ઘટનાનું સાક્ષી બનવાનું છે. ચિનના વડાપ્રધાન જીનપિંગ ત્રણ વર્ષ પહેલાં અમદાવાદ આવ્યા હતા. હવે, જાપાનના વડાપ્રધાન શીજો આંબે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પહેલી બૂલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત અમદાવાદ ખાતે કરશે. તા. 13થી 15 સપ્ટેમ્બર દરમિયાન બે VVIPની સજજડ સુરક્ષા માટે શહેર પોલીસે ‘લોક આઉટ’નું રિહર્સલ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેર પોલીસ સહિત સમગ્ર રાજ્યના પોલીસકર્મી, અધિકારીઓની રજા આગામી તા. ૧૮ સુધી મુલતવી રાખવામાં આવી હોવાનો DGPએ આદેશ કર્યો છે.

જાપાન અને ભારતના વડાપ્રધાન મહેમાન બનવાના હોવાથી અમદાવાદ શહેરમાં ‘રેડ એલર્ટ’ સાથે સુરક્ષાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ આવનારાં બે આંતરરાષ્ટ્રીય મહેમાનોની સુરક્ષા માટે જરૂર પડ્યે ‘લોક આઉટ’ કરવા માટેની સ્કીમ પોલીસ કમિશનર કચેરી દ્વારા તૈયાર કરી દેવાઈ છે. ‘લોક આઉટ’ જાહેર થાય ત્યારે તમામ પોલીસ સ્ટેશનોમાં નાકા પોઈન્ટ ઉપર પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ તહેનાત થઈ જાય તેની સમજ આપી દેવામાં આવી છે. આજે પોલીસ સ્ટેશનોમાં PIઓએ રોલકોલ (પોલીસની હાજરી) યોજીને લોક આઉટ માટે તૈયાર રહેવાની સુચનાઓ આપી હતી. પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી મોડીરાત્રે લોક આઉટ જાહેર થતાં જ પોલીસકર્મીઓ, અધિકારીઓએ ઓછામાં ઓછા સમયમાં પોતાના નાકાબંધી પોઈન્ટ ઉપર પહોંચવાની સુચના અપાઈ છે. લોક આઉટ જાહેર થતાં જ ACP, DCP અને ઉપરની કક્ષાના અધિકારીઓ પોતાના વિસ્તારમાં પોલીસની ઉપસ્થિતિનું સુપરવિઝન કરી સુરક્ષા વધુ સુદ્રઢ બનાવવા આવશ્યક સુચનો કરશે. જો કે, ‘લોક આઉટ’થી સામાન્ય પ્રજાજનોને કોઈ સમસ્યા નહીં સર્જાય તેમ ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે.