શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 જાન્યુઆરી 2018 (13:06 IST)

ભાજપમાં ચાલતાં આંતરિક ડખાઓને કારણે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવા એંધાણ

રાજ્યમાં ભાજપ સરકાર બન્યા બાદ ધીમે એક પછી એક ધારાસભ્યો મંત્રીપદ માટે રીસાતા છેવટે નજીકના સંતમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હકીકતમાં એક વખત મંત્રીમંડળનું ગઠન થાય ત્યારબાદ તેનું વિસ્તરણ લાંબા સમયગાળા બાદ થતું હોય છે પણ ભાજપમાં હવે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી નોબત આવતા માર્ચ મહિનાની આસપાસ મંત્રીમંડળનું ફરીથી વિસ્તરણ થઇ શકે છે જેમાં નારાજ ધારાસભ્યોનો સમાવેશ કરાઈ શકે છે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

ભાજપ સરકારે શપથ લીધા બાદ સૌપ્રથમ રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાને ખાતા ફાળવવામાં અન્યાય થયો છે તેવું કહીને ત્રાગું કર્યું હતું જેના કારણે હાઈકમાન્ડે નમતું જોખીને નાણા મંત્રાલય પાછું આપ્યું હતું. આજ રીતે ભાવનગરનાં મંત્રી પરષોતમભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે મારે પણ પ્રજાનું કામ કરવુ છે જો નવા એમએલએ ને ચાર થી પાંચ ખાતાઓ આપવામાં આવી શકે છે તો મને કેમ એક જ? તેમણે સીએમ રૂપાણી પર સીધો પ્રહાર કરતા જણાવ્યુ કે, સીએમ પોતે 12 ખાતાઓ લઇને બેઠા છે, ત્યારે મને વધુ જવાબદારી સોંપવામાં તેમને શું વાંધો પડી જાય છે. મારે પણ દરેક સમાજનું કામ કરવું છે, લોકકલ્યાણનાં કામમાં હુ કેમ પાછળ રહું. આ ઉપરાંત જેઠા ભરવાડ તેમજ સુરતનાં ઝંખના પટેલના સમર્થકોએ પણ મંત્રીપદ માટે ભારે હોબાળો મચાવ્યો હતો જેને અનુલક્ષીને ફરી મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા સુત્રોએ વ્યક્ત કરી હતી.