શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ, 12 ઓગસ્ટ 2024, , સોમવાર, 12 ઑગસ્ટ 2024 (13:08 IST)

કોંગ્રેસે રાજકોટમાં અગ્નિકાંડનાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી, 17 પીડિત પરિવારો યાત્રામાં ના જોડાયા

rajkot fire
rajkot fire
ગુજરાતમાં ભાજપની તિરંગા યાત્રા સામે કોંગ્રેસે ન્યાય યાત્રા શરૂ કરી છે. મોરબીથી શરૂ થયેલી યાત્રા રાજકોટ આવી હતી. રાજકોટમાં જે જગ્યાએ ગેમઝોન દુર્ઘટના સર્જાઈ હતી ત્યાં કોંગ્રેસે મીણબત્તી પ્રગટાવીને 2 મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કોંગ્રેસના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 17 જેટલા પીડિત પરિવારો જોડાયા નહોતા.આજે ન્યાયયાત્રા રાજકોટથી  ચોટીલા જવા રવાના થઈ છે ચોટીલા બાદ સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદ અને છેલ્લે ગાંધીનગર પહોંચશે.
 
TRP ગેમ ઝોન અગ્નિકાંડના ઘટનાસ્થળે મૃતકોને શ્રદ્ધાંજલિ 
TRP ગેમ ઝોન અગ્નિકાંડના ઘટનાસ્થળે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આ ઘટનાને 79 દિવસ થયા છે. આટલા દિવસમાં અમે એક જ માગણી કરી રહ્યા છીએ કે, આ કિસ્સામાં ન્યાય મળવો જ જોઈએ. અગાઉની ઘટનાઓમાં નાની માછલીઓને પકડી લેવી અને મોટા મગરમચ્છોને છોડી દેવા જેવા ઘાટથી ગુજરાતમાં લોકોમાં નારાજગી છે. સમજાતું નથી કે રાજ્ય સરકાર કેમ આટલી બધી જડ બની ગઈ છે. પીડિતોની એક પણ માગણી ન સ્વીકારવી, આ તો કયા પ્રકારનું વર્તન છે.
 
12માંથી એક પણ માગણી સ્વીકારવા સરકાર તૈયાર નથી
ધારાસભ્ય મેવાણીએ ભાજપ સરકારને ઘમંડી કહેવાની સાથે પીડિતોને ન્યાય માટે રૂ. 1 કરોડનુ વળતર તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માગ કરી હતી.12 જેટલી માગણીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ મૂકવામાં આવી હતી.12માંથી એક પણ માગણી સ્વીકારવા રાજ્ય સરકાર તૈયાર નથી.પીડિતો રેલી કરે કે રાજકોટ બંધ કરે અમને કઈ ફરક પડતો નથી. ન્યાયયાત્રામાં નથી જોડાયા તેમના પ્રત્યે પણ અમારી સહાનુભૂતિ છે. પરંતુ તમામ પીડિતો માટે વિધાનસભામાં અવાજ ઉઠાવીશું. જ્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ન્યાયયાત્રા ચાલુ રહેશે.