રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 મે 2021 (07:55 IST)

વાવાઝોડાએ ગુજરાતમાં લીધો 13 વ્યક્તિઓનો ભોગ, હવે નુકસાનના સર્વેની કામગીરી શરૂ કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આગોતરા આયોજન, અગમચેતી અને મંત્રીઓથી માંડીને રાજ્ય સરકારના નાનામાં નાના કર્મચારીના સક્રિય પ્રયત્નો તથા ગુજરાતના લોકોના અભૂતપૂર્વ સહકારથી ગુજરાત તાઉ'તે વાવાઝોડામાંથી સાંગોપાંગ મુક્ત થયું છે. મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મીડિયાના માધ્યમથી ગુજરાતને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, વાવાઝોડાની વિશેષ અસર થઈ છે એવા જિલ્લાઓમાં સરકારના તમામ વિભાગો યુદ્ધના ધોરણે રિસ્ટોરેશન અને રાહત કામગીરી શરૂ કરશે. 
 
આગામી બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત્ થઈ જાય અને જનજીવન સામાન્ય થઈ જાય એ પ્રકારે કાર્યવાહી કરાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, 'ઝીરો કેઝ્યુઅલટી' ના અભિગમ સાથે રાજ્ય સરકારે ખડેપગે રહીને સમગ્ર આયોજન કર્યું હતું, રાજ્ય સરકારના આ માટેના નમ્ર પ્રયત્નોની કુદરતે પણ કાળજી લીધી છે, અને આવા તીવ્ર વાવાઝોડામાં પણ માત્ર 13 વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે. એમાં પણ મોટાભાગના મૃત્યુ આકસ્મિક ઘટનાઓને લઈને થયા છે.
 
વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના વિગતવાર સર્વેક્ષણની કામગીરી શરૂ કરશે. પ્રાથમિક તબક્કે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોધોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરાશે. જે જિલ્લાઓમાં વિશેષ નુકસાન થયું છે ત્યાં પડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગીરીમાં સામેલ કરાશે, જેથી આ કામગીરી ઝડપથી થઇ શકે. તેમણે કહ્યું કે, યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારાધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચુકવવાની કામગીરી હાથ ધરાશે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારના અગમચેતીભર્યા પગલાંને કારણે ગુજરાતની એક પણ કૉવિડ હોસ્પિટલોમાં દર્દીઓને કોઈ જ તકલીફ પડી નથી. ગુજરાતમાં કુલ 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 કૉવિડ હૉસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી. તેમાંથી 83 હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, આમ છતાં તમામ હોસ્પિટલોમાં જનરેટર સેટ અને ડીઝલની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે એક પળ માટે પણ વીજ  પુરવઠામાં અવરોધ સર્જાયો ન હતો.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વાવાઝોડાથી વધુ અસર પામેલા  જિલ્લાઓ ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી,  જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરીને વિસ્તૃત વિગતો મેળવી હતી, એટલું જ નહીં તમામ જિલ્લાઓના વહીવટીતંત્રને રિસ્ટોરેશન કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવાની સુચના આપી હતી.
 
વાવાઝોડાને કારણે ઝાડ પડવાના અને વીજળીના થાંભલા પડી જવાના બનાવો વધુ બન્યા છે, પરિણામે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના 5951 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને મંગળવારે સાંજ સુધીમાં તે પૈકીના 2,101 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્ ચાલુ થઇ ગયો છે. વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં કોમ્યુનિકેશન પૂર્વવત્ થઈ જાય તે માટે મોબાઈલ કંપનીઓ સાથે તાકીદે બેઠક કરીને મોબાઇલ ટાવર્સ અને તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર આવતીકાલે સાંજ સુધીમાં પૂર્વવત્ થઈ જાય તેવાપ્રયત્નો કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
 
 
વાવાઝોડાને કારણે વીજળીના થાંભલા પડવાના અને સબ સ્ટેશનમાં પાણી ભરાવાના બનાવો બન્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિગતો આપતાં કહ્યું હતું કે, 220  કેવી ના પાંચ વીજ સબસ્ટેશન અને 66 કેવીના 165 સબ સ્ટેશનને  અસર થઇ હતી. રાજ્ય સરકારની વીજ કંપનીઓએ 950 જેટલી ટુકડીઓને કામે લગાડી છે અને બુધવારે રાત સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજ પુરવઠો પૂર્વવત્ થઈ જાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં 69,429 વીજ થાંભલાઓ વાવાઝોડાને કારણે તૂટી ગયા છે, પરંતુ 81 હજાર જેટલા વીજ થાંભલા સંબંધિત વિભાગ પાસે ઉપલબ્ધ છે એટલે તમામ થાંભલાઓના રિપ્લેસમેન્ટની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
 
માર્ગ વ્યવહાર વિશે વિગતો આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, વૃક્ષ પડવાથી ગુજરાતના 674 રસ્તાઓ કામચલાઉ ધોરણે બંધ હતા, તે પૈકીના 562 રસ્તાઓ પર માર્ગ વ્યવહાર રાબેતા મુજબ થઇ ગયો છે. 112 રસ્તાઓના રીપેરીંગ અને સાફ-સફાઈના કામો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે.
 
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર વહીવટીતંત્ર આગામી બે દિવસ માટે રિસ્ટોરેશન અને રાહત કામગીરી કરશે. ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં વાવાઝોડા પછી પાણીજન્ય રોગો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમો વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં જઈને આરોગ્ય સર્વેક્ષણ પણ હાથ ધરશે. 
 
તમામ વિસ્તારોમાં મોટા પાયે સાફ-સફાઈની આવશ્યકતા હોવાથી સુરત, રાજકોટ અને જામનગર જેવા મહાનગરપાલિકા વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં સફાઈ કામદારો વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે. આવતીકાલે સવારથી સાફ-સફાઈની કામગીરી શરૂ કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
 
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાથી ઉનાળુ પાકને ઓછું નુકસાન ગયું છે પરંતુ કેરી અને નાળિયેરી જેવા પાકોને સારું એવું નુકશાન ગયું છે. રાજ્ય સરકાર તમામ નુકસાનના સર્વેક્ષણની કામગીરી હાથ ધરશે અને ધારાધોરણ મુજબ આગળના નિર્ણયો લેવાશે.