1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 27 જુલાઈ 2023 (13:03 IST)

Dashama Visarjana - વડોદરામાં દશામાં વિસર્જન શોકમાં પરિણમ્યો : મહી નદીમાં 5 યુવાનો ડૂબ્યા : 1 નો મૃતદેહ મળ્યો, 4 લાપતા

Dashama Murti Visarjan
Dashama Murti Visarjan
Dashama Visarjana in Vadodara - વડોદરા શહેર-જિલ્લામાં ઉત્સાહભેર ઉજવાયેલ દશામાં ઉત્સવ  શોકમાં પરિણમ્યો હતો. વડોદરા નજીકથી પસાર થતી મહિસાગર નદીમાં દશામાં મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયેલા 5 યુવાનો ડૂબી જતા લાપતા થયા છે. જેમાં વડોદરા નજીક સિંધરોટ મહી નદીમાં વડોદરાના એક હોમગાર્ડ જવાન સહિત બે યુવાનો અને સાવલી તાલુકાના કનોડા ગામ પાસે રણછોડપુરા ગામના 3 યુવાનો ડૂબી ગયા હતા. આ બનાવોની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કોરની અલગ-અલગ ટીમો પહોંચી શોધખોળ શરૂ કરી હતી. જેમાં કનોડા મહી નદીમાંથી ફાયર બ્રિગેડને એકનો મૃતદેહ મળી આવ્યો છે.

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતા પ્રજ્ઞેશ માછી (ઉં.વ.23) ના ઘરે દશામાંની સ્થાપના કરી હતી. ઉત્સાહભેર દશામાંની ઉજવણી કર્યા બાદ આજે વહેલી સવારે તેઓ વડોદરા નજીક સિંધરોટ મહિ નદી ઉપરના ચેકડેમ પાસે મૂર્તિનું પરિવાર સાથે વિસર્જન કરવા માટે ગયો હતો. તેની સાથે કિશનવાડીમાં જ રહેતો હોમગાર્ડમાં ફરજ બજાવતો 24 વર્ષિય સાગર જગદીશભાઇ કુરી પણ ગયો હતો.  મૂર્તિનું વિસર્જન કરવા માટે પ્રજ્ઞેશ માછી ચેકડેમ પાસે જતાં ધસમસતા મહી નદીના પાણીમાં તણાવા લાગ્યો હતો. પ્રજ્ઞેશે બચાવવા માટે બુમો પાડતા તેનો મિત્ર સાગર કુરી પાણીમાં કૂદી પડ્યો હતો. પરંતુ, પાણીનો પ્રવાહ વધુ હોવાથી તે પણ તણાવા લાગ્યો હતો. અને જોતજોતામાં બંને મિત્રો લાપતા થઇ ગયા હતા.પરિવારજનોએ આક્ષેપ મૂક્યો હતો. દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે લોકો સિંધરોટ ખાતે આવશે તેવી તંત્રને જાણ હોવા છતાં, તંત્ર દ્વારા કોઇ સુવિધા કરવામાં આવી ન હતી. સિંધરોટ ખાતે ફાયર બ્રિગેડની ટીમોને પણ તૈનાત રાખવી જોઇતી હતી. પરંતુ, તંત્ર દ્વારા તૈનાત રાખવામાં આવી ન હતી. જો ફાયરની ટીમો સ્થળ પર હોત તો કદાચ બંને યુવાનોને બચાવી લેવાયા હોત. 

આ ઉપરાંત વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામના રણછોડપુરા ગામના 3 યુવાનો સંજય પૂનમભાઇ ગોહિલ (ઉં.વ. 32), કૌશિક અરવિંદભાઇ ગોહિલ (ઉં.વ. 20) અને વિશાલ રતિલાલ ગોહિલ (ઉં.વ.15) આજે વહેલી સવારે પરિવારજનો સાથે દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા માટે કનોડા ગામ પાસેથી પસાર થતી મહિ નદીમાં ગયા હતા. મૂર્તિઓના વિસર્જન સમયે મહી નદીના ધસમસતા પાણીમાં એક પછી એક ત્રણે યુવાને એક-બીજાને બચાવવા જતા ડૂબી જતા લાપતા થયા હતા. એકજ ગામના ત્રણ યુવાનો એક સાથી ડૂબી જતા લાપતા થતા રણછોડપુરા ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. ભારે જહેમત બાદ સંજય ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. લાપતા થયેલા ત્રણ યુવાનો પૈકી સંજય ગોહિલ પરિણીત છે. અને તેઓને બે સંતાનો પણ છે. તેઓ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે કૌશિક ગોહિલ કોલેજમાં અભ્યાસ કરે છે. અને વિશાલ ધોરણ-10 માં અભ્યાસ કરે છે. સંજય ગોહિલ અને કૌશિક ગોહિલ પરિવારના એકના એક સંતાન હોવાનું જાણવા મળ્યું હતું.