1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગરઃ , શુક્રવાર, 16 જૂન 2023 (15:31 IST)

વાવાઝોડા અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 1152 સગર્ભા મહિલાઓનું સ્થળાંતર, 707ની સફળ પ્રસૂતિ કરાવી

biporjoy
biporjoy

રાજ્યના આઠ વાવાઝોડા અસરગ્રસ્ત જિલ્લાઓમાં 504 એમ્બ્યુલન્સ સતત કાર્યરત
 
 ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા વચ્ચે અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટીતંત્ર, આરોગ્યતંત્ર અને 108નાં કર્મીઓ દ્વારા કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સતત સ્થળાંતર- બચાવની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જેના ભાગરૂપે વાવાઝોડા અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં અગમચેતીરૂપે કુલ-1171 પૈકી 1152 સગર્ભા બહેનોનું અગાઉથી જ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આમાંથી કુલ 707 બહેનોની સફળ પ્રસૂતિ કરાવી હતી. 
biporjoy
વાવાઝોડા પહેલાં જ સગર્ભાઓનું સ્થળાંતર કરાયુ હતુ
વાવાઝોડાથી અસરગ્રસ્ત 8 જિલ્લાઓમાં આરોગ્યતંત્ર દ્વારા અગાઉથી સગર્ભા બહેનોની યાદી તૈયાર કરીને તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર અથવા સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. તેમાં પણ ખાસ કરીને જે બહેનોની પ્રસૂતિની તારીખ નજીક હતી તેમના માટે તબીબો-દવાઓ સહીત તાત્કાલિક ધોરણે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લામાંથી સૌથી વધુ 552, જયારે રાજકોટમાં 176, દેવભૂમિ દ્વારકામાં 135, ગીર સોમનાથમાં 94, જામનગરમાં 62, જૂનાગઢમાં 58, પોરબંદરમાં 33, રાજકોટ મહાનગરપાલિકા 26, જૂનાગઢ મનપામાં 8 તેમજ મોરબી અને જામનગર મનપામાંથી 4-4 એમ કુલ 1152 સગર્ભા બહેનોનું વાવાઝોડા પહેલાં સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 
 
આરોગ્ય કેન્દ્રોમાં સફળ પ્રસૂતિ કરાવી
સ્થળાંતર કરાયેલી સગર્ભા બહેનોમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ 348, રાજકોટમાં 100, દેવભૂમિ દ્વારકામાં 93, ગીર સોમનાથમાં 69, પોરબંદરમાં 30, જૂનાગઢમાં 25, જામનગરમાં 17, રાજકોટ મહાનગરપાલિકામાં 12, જૂનાગઢ મનપામાં 8, જામનગર મનપામાં 4 અને મોરબી જિલ્લામાં 1 એમ  કુલ 707 બહેનોની  હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્રોમાં સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. આ સમગ્ર અભિયાનને સફળ રીતે પાર પાડવા તબીબી સ્ટાફ સાથે 302 સરકારી અને 202 જેટલી 108 એમ્બ્યુલન્સ રાત-દિવસ સેવારત હતી. 
 
વીડિયો કોન્ફરન્સ થકી દૈનિક મોનિટરીંગ
વધુમાં અગમચેતીના ભાગરૂપે વાવાઝોડા  અસરગ્રસ્ત જિલ્લાઓની આરોગ્ય સેવાઓ પર અસર ન થાય તે માટે હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં જરૂરી દવાઓ, 100 % ડીઝલ સંચાલિત કુલ- 197 આધુનિક જનરેટર સેટ તેમજ ખાસ કરીને વાવાઝોડાની ભયાનકતાને ધ્યાને રાખીને કચ્છ જિલ્લામાં 10, દેવભૂમિ દ્વારકામાં 05  અને મોરબીમાં બે એમ કુલ 17 વધારાની 108 એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત સગર્ભા બહેનોનું તબીબો દ્વારા રૂબરૂ અથવા વીડિયો કોન્ફરન્સ થકી દૈનિક મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.