શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 ઑક્ટોબર 2018 (09:59 IST)

અમિત શાહે ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હી બોલાવી ખખડાવ્યા ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ જ પ્રદેશ ભાજપના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું હતું. માહિતી મૂજબ ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હી બોલાવી ખખડાવ્યા છે. પીએમ મોદીના કાર્યક્રમોમાં કાર્યકરો અને પ્રજાની પાંખી હાજરીથી નારાજ અમિત શાહે ભાજપના નેતાઓ સાથે દિલ્હીમાં ચર્ચા કરી હતી અને સખત શબ્દોમાં ખખડાવ્યા હતા.

દેશમાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપ અને સંગઠનની કામગીરીથી નારાજ પીએમ મોદીએ અમિત શાહનું ધ્યાન દોરતા તેમણે ભાજપના આગેવાનોને તાત્કાલિક દિલ્હી બોલાવીને ઉઘડો લીધા હતા. જોકે આ મામલે ભાજપના નેતાઓ ખુલીને બોલવા તૈયાર નથી. જ્યારે કે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની અટકળોને ખોટી ગણાવી હતી ગુજરાત ભાજપ સંગઠન અને સરકારની કામગીરી સામે હાઈકમાન્ડની નારાજગી જોતા આગામી દિવસોમાં સગંઠન અને સરકારમાં મોટા પાયે ફેરફારો થવાની શક્યતા છે.

પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન મળેલી નિષ્ફળતાનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવા માટે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ચાર દિવસ માટે ગુજરાત મોકલાયા છે.ભૂપેન્દ્ર યાદવ ચાર દિવસમાં મોદીની મુલાકાતના સ્થળો અને જિલ્લામાં ભાજપની સ્થિતિ અને ભાજપ અંગે લોકોનો રોષ કેવો છે તેનો તાગ મેળવીને રિપોર્ટ કરશે. જેના આધારે આગામી દિવસોમાં આ જિલ્લાઓના પ્રભારી મંત્રીઓથી માંડીને સંગઠનના પ્રભારીઓની ફેરબદલ કરવામાં આવી શકે છે. એટલું જ નહીં રાજ્ય સરકારના પ્રધાનોની કામગીરીનો રિપોર્ટ તૈયાર કરીને હાઈ કમાન્ડને મોકલવામાં આવશે. જેના આધારે ભાજપના સંગઠન અને સરકારમાં ધરખમ ફેરફાર કરીને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને ફરી તમામ 26 બેઠક મળે તે અંગેની વ્યૂહ રચના ગોઠવવામાં આવશે