શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 મે 2018 (13:12 IST)

ગાંધીનગર સિવિલમાં પાયલોટ પ્રોજેક્ટ શરૃ, વૃધ્ધોને સરકાર હવે ઘરે બેઠા તબીબી સારવાર આપશે

ગુજરાતમાં એકાકી જીવન જીવતાં વયસ્કો-વૃધ્ધાને પણ ઘરે બેઠા તબીબી સારવાર મળે તે માટે સરકારે નવતર અભિગમ દાખવીને 'વયસ્ક વ્યક્તિની તબીબી સેવા અર્થે મુલાકાત' એ પાયલોટ પ્રોજેક્ટ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી અમલમાં મુક્યો છે. આ પ્રોજેક્ટની સફળતા બાદ તેનો રાજ્યભરમાં અમલ કરાશે. નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે નવી પેઢી શિક્ષણ-વ્યવસાય માટે વતનથી દૂર સ્થળાંતર કરતી થઈ હોવાથી આવા વૃધ્ધોની સંખ્યામાં વધારો થયો છે. જેને કારણે સરકારે તેઓને આરોગ્યની સેવા ઘરે બેઠા જ પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. જેમાં ૭૦ કે તેથી વધુ વયના વયસ્ક લોકોને આવરી લેવાશે. આ માટે વયસ્કોએ કે તેમના પાલકોએ નિયત ફોર્મમાં વાર્ષિક ૧૦૦૦ ટોકન ફી સાથે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

નીતિન પટેલે વધુમાં કહ્યું કે, આ પ્રોજેક્ટ હેઠળ ડૉક્ટરો સ્ટાફ નર્સ અને એટેન્ડન્ટની ટીમ રજીસ્ટર્ડ થયેલા વયસ્કોની દર ૧૫ દિવસે ઘરે જઈને મુલાકાત લેશે. તેમજ જરૃર પડયે જરૃરી ટેસ્ટ કરી તેમની સારવાર કરશે. આ પ્રકારની મુલાકાત દીઠ રૃ. ૨૦૦નો ચાર્જ લેવાશે. મેડીકલની ટીમ સાથે બીપી માપવાનું મશીન, ઈસીજી મશીન, ઈન્હેલર, વજન કાંટો તથા સામાન્ય દવાઓ વગેરે સામગ્રી પણ રખાશે. લાભાર્થીઓને આ માટે કાર્ડ-બુકલેટ અપાશે. જેમાં દર્દીના રોગ સંબંધિત માહિતી લખાશે.