શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (15:09 IST)

ગુજરાત રીફાઈનરીની ભરતીમાં અન્યાય,સ્થાનિકોની ૮૫ ટકા ભરતી કરવાના સરકારના પરિપત્રનુ છડેચોક ઉલ્લઘન

ગુજરાતમાં આવેલા રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના જાહેર સાહસો કે ખાનગી ઉદ્યોગમાં તમામ જગ્યાઓ પર કામદારોની ભરતીમાં ૮૫ ટકા અને સુપરવાઈઝરની પોસ્ટ હોય તો ૫૦ ટકા ભરતી સ્થાનિક લોકોની કરવાનો પરિપત્ર સરકારે બહાર પાડેલો છે.

આમ છતા વડોદરાના સીમાડે આવેલી ગુજરાત રીફાઈનરીમાં તાજેતરમાં થયેલી ભરતીમાં પરિપત્રનુ ઉલ્લંઘન કરીને ગુજરાતીઓને અન્યાય કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.રીફાઈનરીની કર્મચારી આલમમાં થઈ રહેલા ગણગણાટ પ્રમાણે ગત સપ્ટેમ્બર મહિનામાં રીફાઈનરીના સત્તાધીશો દ્વારા અલગ અલગ વિભાગમાં જુનિયર એન્જિનિયરિંગ આસિસટન્ટની ૧૩૮ જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત આપવામાં આવી હતી

ગુજરાતમાં રહેનારા અને ગુજરાત બહારના ૨૧૦૦ જેટલા ઉમદેવારો રીટન ટેસ્ટ આપ્યો હતો.જેમાંથી લગભગ ૫૫૦ ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા.શોર્ટ લિસ્ટ થયેલામાં સ્થાનિકો પણ નોંધપાત્ર સંખ્યામાં હતા
આમ છતા ઈન્ટરવ્યૂમાં મોટાભાગના સ્થાનિક  ઉેમદવારોનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે.મળતી વિગતો પ્રમાણે ઈન્ટરવ્યૂમાં પસંદ થયેલા ૧૧૮ ઉમેદવારોનુ મેડિકલ થઈ ચુક્યુ છે.હવે તેમને એપોઈન્ટમેન્ટ લેટર આપવાની ઔપચારિકતા જ બાકી છે.આ ૧૧૮માંથી માંડ ૧૦ થી ૧૫ જ સ્થાનિક ઉમેદવારો  પસંદ કરવામાં આવ્યા છે.બાકીના તમામ ગુજરાત બહારથી આવીને પરીક્ષા આપનારા ઉમેદવારો છે.

સ્થાનિકોને અન્યાય કરવાની રીફાઈનરી સત્તાધીશોની નીતિ સામે કર્મચારી આલમમાં ભારે અસંતોષની લાગણી જોવા મળી રહી છે.આગામી દિવસોમાં આ અસંતોષ ભભૂકીને સપાટી પર પણ આવે તો નવાઈ નહી હોય.
ગુજરાત રીફાઈરીના સત્તાવાર સુત્રોએ સ્થાનિક ઉમેદવારોને ભરતીમાં થયેલા અન્યાય અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું હતુ કે ગુજરાત રીફાઈનરી કેન્દ્ર સરકારનુ સાહસ છે અને સમગ્ર ભરતી પ્રક્રિયા કેન્દ્ર  સરકારના ડીપાર્મેટન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઈઝ દ્વારા આપવામાં આવેલી ગાઈડ લાઈન પ્રમાણે હાથ ધરાઈ છે.જે પ્રમાણે ગુજરાત અને ગુજરાત બહારના ઉેમેદવારોને સમાન તક આપવામાં આવી છે.રીફાઈનરી દ્વારા કોઈ પ્રકારના નિયમો કે પરિપત્રનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ નથી.