શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 માર્ચ 2017 (14:50 IST)

બાળસંરક્ષણ ગૃહમાં ગુનાહિત બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો

બાળકોને દેશના ભાવિનો અરીસો ગણવામાં આવે છે. પરંતુ દેશના આ ભાવિમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અમદાવાદના બાળ સંરક્ષણ ગૃહમાં ૨૦૧૫ના વર્ષમાં ૩૦ બાળકો હતા જે ૨૦૧૬માં વધીને ૫૦ થઇ ગયા છે. આમ, બાળ સંરક્ષણ ગૃહમાં બાળકો કે જેમણે ગુનો કર્યો તેમના આંકમાં અંદાજે ૬૦%નો વધારો નોંધાયો છે.

૨૦૧૬ના વર્ષમાં ૫૦ બાળકોમાંથી ૩૦ લૂંટના ગૂના, ૧૫ ખૂનના ગૂના જ્યારે પાંચ બળાત્કાર-જાતિય સતામણીના હેઠળ બાળ સંરક્ષણ ગૃહમાં છે. આમ, બાળકોમાં ગંભીર ગુનાઈત પ્રવૃત્તિમાં સંડોવવવાનું પ્રમાણ જે વધી રહ્યું છે તે ખૂબ જ ચિંતાજનક છે. ઘણા કિસ્સાઓમાં એવું પણ બન્યું છે કે બાળકને તેની સારી વર્તણૂક બદલ મુક્ત કરવામાં આવ્યો હોય પરંતુ એ જ બાળક ફરી ગુનો કરતા ઝડપાતો હોય છે. બાળ સંરક્ષણ ગૃહમાં આ બાળકોનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવે છે. પરંતુ ઘણા બાળકોની માનસિક્તા જ એવી થઇ ગઇ હોય છે કે કાઉન્સિલર માટે તેમનું કાઉન્સિલિંગ કરવું મુશ્કેલ બની જાય છે.
આ અંગે કાઉન્સિલરે જણાવ્યું કે 'કોઇ બાળકના ગુનામાં ગેંગનો હાથ હોય તો તેને સુધારવો ખૂબ જ મુશ્કેલ થાય છે. કેમકે, તે બાળક બાળ સંરક્ષણ ગૃહમાંથી બહાર નીકળે એટલે ગેંગ તેનું બ્રેઇનવોશ કરવાનું શરૃ કરી દે છે.  બાળકોનું દિમાગ ખૂબ જ કોમળ હોય છે. જેમાં બાળપણમાં જે પાઠ ભણાવવામાં આવે તેની છાપ આજીવન રહે છે. બાળકોની પ્રવૃત્તિ સહેજપણ શંકાશીલ જણાય તો માતા-પિતાએ તેના પર વધારે કડક નજર રાખવાનું શરૃ કરી દેવું જોઇએ. માતા-પિતા સમયસર જાગૃત થાય નહીં તો ઘણા કિસ્સાઓમાં પસ્તાવવાનો વારો આવતો હોય છે.