બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (12:10 IST)

એરફોર્સે ગુજરાતમાં છેલ્લાં આઠ દિવસમાં 200 લોકોને ડૂબતા બચાવ્યા

ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં એરફોર્સે છેલ્લાં આઠ દિવસમાં ૨૦૦ લોકોને ડૂબતા બચાવ્યા છે. ગુજરાતમાં કાર્યરત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ(સ્વેક) ર્દ્વારા બચાવ કામગીરી માટે આઠ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા. જે  પૈકી કેટલાંક હેલિકોપ્ટર એમ.આઇ.-૧૭  પ્રકારના પણ હતા.
ચોથી ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી નસવારીમાં ફસાયેલા ૪૫ પુરૃષો, સ્ત્રીઓ અને બાળકોને એરલિફ્ટ કરી સુરતમાં સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. જામનગરના જોડિયા પંથકમાં ૧૦મી ઓગસ્ટે ૯થી દસ ઇંચ વરસાદ પડયો હતો અને આજી-૪ ડેમ ઓવરફ્લો થતા તેના ૫૬ પૈકી ૫૦ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે આ વિસ્તારના બેટમાં પરિવર્તિત થયો હતો. અહીં એરફોર્સે એમ.આઇ.-૧૭ના હેલિકોપ્ટરો મોકલી ૨૯ વ્યક્તિઓનો બચાવ કર્યો હતો. જેમાં એક સગર્ભા મહિલા પણ હતી.
૧૧મી ઓગસ્ટે કચ્છના હાજીપીર વિસ્તારમાં  પૂરની પરિસ્થિતિના કારણે એક ખાનગી કંપનીના ૩૦૦ કર્મચારીઓ ફસાયા હતા.  ફેક્ટરી સુધાના ડામર રોડનું પણ ધોવાણ થતા ફેક્ટરીની ચારે તરફ પાણી ભરાયા હતા. એન.ડી.આર.એફ. અને સ્થાનિક પોલીસે ૧૭૫ લોકોનો બચાવ કર્યો હતો પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ ગંભીર બનાતા જિલ્લા વહીવટી તંત્રએ એરફોર્સની મદદ માગી હતી. જામનગરથી એમ.આઇ.-૧૭ હેલિકોપ્ટર મોકલી બાકીના ૧૨૫ લોકોને બચાવવામાં આવ્યા હતા.
આ રેસ્ક્યુ ઓપરેશન માટે  મીડિયમ લિફ્ટ હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને ગુજરાત અને મહારાષ્ટ્રના સિવિલ એરપોર્ટ અને એરફોર્સ સ્ટેશન પરથી ઉડાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સોર્ટી તરીકે ઓળખાતા ૭૪ નાના પ્લેન પણ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા ઉડાડવામાં આવ્યા છે. આ તમામ એરક્રાફ્ટના માધ્મયથી ગુજરાતમાં ૨૦૦ લોકોના જીવ બચાવાયા હતા. આ ઉપરાંત ૨૩ ટન રાહતસામગ્રીની તેમજ એન.ડી.આર.એફ।, સ્ટેટ ડી.આર.એફ, આર્મી અને નેવીના ૧૨૪ કર્મચારીઓની હેરફેર અત્યાર સુધીમાં કરવામાં આવી છે.