રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (17:57 IST)

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે કરી 3 આરોપીઓની ધરપકડ

ભાજપના વરિષ્ઠ નેતા જયંતી ભાનુશાળીની હત્યામાં પોલિસે ગુરુવારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મનીષા ગોસ્વામીએ જયંતી ભાનુશાળીની હત્યા કરાવી હોવાની વાત બહાર આવી છે. જયંતી ભાનુશાળીની હત્યા કરનારો શાર્પ શૂટર સુરજીત ભાઉ હજુ પણ પોલિસની પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. પોલિસની તપાસમાં છબીલ પટેલના ફાર્મ હાઉસમાંથી 3 વ્યક્તિની ધરપકડ કરી હોવાની વાત બહાર આવી છે. 
જયંતી ભાનુશાળી અને મનીષા ગોસ્વામી વચ્ચે લાંબા સમયથી અનૈતિક સંબંધો હતા. મનીષા ગોસ્વામી મુળ વાપીની રહેવાસી છે અને બે બાળકોની માતા છે. તેના અને જયંતી ભાનુશાળી વચ્ચે પૈસાની લેતી દેતી વચ્ચે ઝઘડો થયો હતો અને આ કારણે મનીષા ગોસ્વામીએ પુણેની ગેંગને જયંતી ભાનુશાળીની હત્યા કરવાની સોપારી આપી હતી.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જયંતી ભાનુશાળીની હત્યા માટે કરોડો રૂપિયાની સોપારી આપવામાં આવી હતી.સુરજીત ભાઉ મનીષાની અત્યંત નજીકનો વ્યક્તિ છે અને તે દક્ષિણ ગુજરાતમાં પંકાયેલો વ્યક્તિ છે. મનીષા ગોસ્વામી આ સમગ્ર હત્યા પ્રકરણનું કેન્દ્ર બિંદુ છે. 2018માં જયંતી ભાનુશાળીના ભત્રીજાને પણ મનીષા ગોસ્વામીએ ધમકી આપી હતી. મનીષા 3 જાન્યુઆરીના રોજ કચ્છમાં એક વ્યક્તિને મળી હતી અને તેને જણાવ્યું હતું કે, હું ભાનુશાળીને પતાવી દઈશ. 
જો કે મનીષા ગોસ્વામી હાલ ભૂગર્ભમાં છે કે પોલિસે તેને અટકમાં લીધી છે તેના અંગે હાલ કોઈ હકીકત જાણવા મળી નથી. મનીષા હત્યા થયાના પ્રથમ દિવસથી જ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી.  આ ઉપરાંત છબીલ પટેલની પણ ભાનુશાળીની હત્યા કેસમાં સંડોવણી સામે આવી છે. પૈસાની લેતીદેતી અને અદાવતને કારણે ભાનુશાળીની હત્યા કરાઈ હોવાની પ્રબળ માહિતી બહાર આવી છે. ભાનુશાળીના પરિવારજનોએ પણ છબીલ પટેલ પર જ આરોપ લગાવી રહ્યા હતા.