શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (17:18 IST)

જૂનાગઢના સિંહોની ડણક હવે યુરોપીયન દેશોમાં પણ ગૂંજશે

ગુજરાતનાં મોટા કહી શકાય તેવા પ્રાણી સંગ્રહાલયોમાં અને દોઢસો વર્ષના ઈતિહાસને સાચવીને બેઠેલું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ છે. જૂનાગઢ શહેર અને જિલ્લો યાત્રિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યોં છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વર્ષ 2015 અને 2016માં કુલ 23,49,785 લોકએ મુલાકાત લીધી હતી. જેમાં 35,6035 વિદ્યાર્થીઓ હતાં. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત લંડનના પ્રેઝ્યુ પ્રાણી સંગ્રહાલયમાંથી ગત ડિસેમ્બર માસમાં કાંગારૂ પ્રજાતિનાં 5 રેડ નેક વોલાબી અને 3 આફ્રિકન કેરાકલ (હણોતરો) તથા કેટલાક પક્ષીઓ જૂનાગઢ ઝૂમાં લાવવામાં આવ્યાં હતાં. તેઓને જૂનાગઢનાં પ્રાણી સંગ્રહાલયનું વાતાવરણ માફક આવી શકે તે માટે ખાસ જાળવણી કર્યા બાદ હવે તમામ પ્રાણીઓને લોકો નિહાળી શકશે.

જોકે, આ પ્રાણીઓ પૈકી બે માદા રેડ નેક વોલાબીએ બે બચ્ચાને જન્મ આપી વધુ બે વોલાબીની ભેટ આપી છે. આફ્રિકન કેરાકલને ગિરનારી વાતાવરણ માફક આવે તેવું હોઇ પ્રાગ ઝૂ ખાતેથી ત્રણ કેરાકલ જેમાં બે માદા અને એક નર અહીં લાવવામાં આવ્યા છે. સક્કરબાગ ઝૂને વધુ બે વોલાબી બોનસમાં મળ્યા છે. લંડનના રિપબ્લીકન ઓફ ચેઝમાં આવેલા પ્રેઝ્યુ પ્રાણી સંગ્રહાલયમાં રખાયેલા રેડ નેકડ વોલાબી અને આફ્રિકન કેરેકલ હવે જૂનાગઢનાં સક્કરબાગ ઝૂનાં વાસી બન્યા છે. તો એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત જૂનાગઢનાં સક્કરબાગ ઝૂ માંથી એક સિંહ અને બે સિંહણને લંડનના પ્રેઝ્યુ પ્રાણી સંગ્રહાલયને ભેટ આપવામાં આવી છે. જેના બદલામાં સક્કરબાગ ઝૂ ને 5 રેડ નેકડ વોલાબી અને 3 આફ્રિકન પ્રજાતિ કેરેકલ (જંગલી બિલાડી) આપવામાં આવ્યા છે.

જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં કુલ 1170 વન્ય પ્રાણીઓની સારવાર કરવામાં આવી હતી. જેમાં 4 સફળ ઓપરેશનોનો પણ થયા છે. ઈન્કયુબેટર મશીન દ્વારા વિવિધ પક્ષીઓના 31 ઇંડાઓનું સફળ સેવન અને વન્ય પ્રાણીઓનું તબીબોની ટીમ દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવે છે. આગામી દિવસોમાં કાનપુર ઝૂ માંથી ગેંડો, કલકતા ઝૂ માંથી જીરાફ, લંડન ઝૂ માંથી ચિત્તા, ઝીબ્રા અને લેમુર તથા પ્રેઝ્યુ ઝૂ માંથી મેકાઉ તેમજ ફાઉલ(લીલા મોર)નું જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં આગમન થશે. જૂનાગઢ શહેરના સોનરખ નદીના તટ પ્રદેશને આવરીને વિશાળ ફલકમાં આવેલુ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આશરે દોઢ સો વર્ષથી વન્યપ્રાણીઓની સંભાળ સાથે પ્રકૃતિ શિક્ષણનું ઉમદા કેન્દ્ર બની લોકોની પ્રકૃતિપ્રેમની લાગણીઓને સંતોષી રહ્યું છે.