1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 8 ઑક્ટોબર 2018 (13:20 IST)

ગુજરાતમાંથી યૂપી-બિહારના લોકોનુ પલાયન.. જાણો આ અંગેની સંપૂર્ણ વિગત ગુજરાતના પ્રમુખ છાપાઓની નજરે

ગુજરાતમાં બિહાર અને ઉત્તર પ્રદેશના લોકોને ધમકી આપીને ભગાવવાના મામલે અત્યાર સુધી રાજકરણ ગરમાય ગયુ છે. બીજેપી અને જેડીયોઈએ આ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી તો બીજી બાજુ કોંગ્રેસે આ મામલે પ્રધાનમંત્રી મોદી પાસે જવાબ માંગ્યો છે.. આવો જાણીએ આ ઘટનાને લઈને ગુજરાતના મુખ્ય છાપા સંદેશ દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચાર શુ કહી રહ્યા છે... 
 
સંદેશમાં છપાયેલા સમાચાર મુજબ 
 
ગુજરાતના જાણીતા મીડિયા સંદેશ મુજબ સાબરકાંઠાના  ઢુંઢર ગામમાં 14 માસની બાળકી પર બિહારનાં રવીન્દ્ર ગાંડે નામનાં વ્યક્તિએ દુષ્કર્મ આચરતા પોલીસે તેની ધરપકડ કરી જ્યારબાદ આ દુષ્કર્મનાં પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. આ ઘટનાને કારણે રાજ્યમાં પરપ્રાંતિયો પર હુમલાની અનેક ઘટનાઓ બની છે. છેલ્લા 7 દિવસમાં રાજ્યભરમાં પરપ્રાંતિયો પર 50 જેટલી હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. છેલ્લા 7 દિવસમાં થયેલી 50 જેટલી હુમલાની ઘટનાઓમાં 75 લોકો ઇજાગ્રસ્ત થયા છે.  આ હુમલાઓને કારણે એક ભયનો માહોલ ફેલાયો છે જેના કારણે પરપ્રાંતિયો ગુજરાતમાંથી હિજરત કરી રહ્યા છે. હુમલાની સૌથી વધુ ઘટનાઓ મહેસાણા જિલ્લામાં બની છે. મહેસાણામાં 15 જેટલી અને સાબરકાંઠામાં 11 જેટલી હિંસક ઘટનાઓ બની છે.
 
ક્યાં-કેટલી હિંસક ઘટનાઓ?
 
મહેસાણાં પરપ્રાંતિયો પર હુમલાની 15 ઘટનાઓ બની છે જેમાં 89 લોકોની ધરપકડ કરવામાં આવી છે, સાબરકાંઠામાં 11 ઘટનાઓ બની છે જેમાં 95 લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારબાદ અમદાવાદમાં 7 ઘટનાઓમાં 73, ગાંધીનગરમાં 3 ઘટનાઓમાં 27 અને અરવલ્લીમાં 2 ઘટનાઓમાં 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
 
જ્યારે કે દિવ્ય ભાસ્કરના છાપા મુજબ ... છેલ્લા 4 વર્ષમાં ગુજરાતમાં 'જાતિવાદ'નું ઝેર વધ્યું છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ તેમના અનુગામી તરીકે આવેલા ભાજપના મુખ્યમંત્રીઓના રાજમાં વારંવાર જાતિવાદનું ઝેર અને જૂથવાદ ભડકી રહ્યા છે. જેમાં દલિતો, ઠાકોરો, પાટીદારો અને ક્ષત્રિયો સરકાર અને અન્ય સમાજ સામે લડાયક બનીને ગુજરાતની શાંતિ ભંગ કરી રહ્યા છે, ત્યારે છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં વધુ એક પ્રાંતવાદીનું ભૂત સળવળી ઉઠ્યું છે. જેમાં ઠાકોર સમાજ અને પરપ્રાંતીયો વચ્ચે ઉભા થયેલા વૈમનસ્યને કારણે ગુજરાતની શાંતિ ફરીવાર ડહોળાઇ રહી છે. આ તમામ સંજોગોમાં ગુજરાતની ભાજપ સરકાર પાસે ડેમેજ કન્ટ્રોલર કે ચોક્કસ જ્ઞાતિના આગેવાનની ખોટ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. હાલ ગુજરાત ભાજપ કે સરકાર પાસે ઠાકોર અને પરપ્રાંતીયો વચ્ચેની લડાઈને ખાળવા કે સમજાવવા માટે કોઈ ચોક્કસ નેતા ન હોવાથી પોલીસના જોરે આ વૈમનસ્ય અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
 
ગુજરાત સમાચાર છાપામાં છપાયેલા સમાચાર મુજબ નાયમ મુખ્યમંત્રી નિતિન પટેલના એક નિવેદને આ ઘટનામાં બળતામાં ઘી હોમવાનુ કામ કર્યુ છે.  પરપ્રાંતીયો પર થતા હુમલાઓ થવાની ઘટનાઓ હજુ શમી નથી ત્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવુ નિવેદન કર્યુ છે કે, પરપ્રાંતીયો પર થતાં હુમલામાં ઠાકોર સેના અને તેના આગેવાનોની મૂખ્ય ભૂમિકા છે જેના કારણે બળતાંમાં ઘી ઉમેરાયુ છે. રાજકીય નિવેદન કરી જાણે નાયબ મુખ્યમંત્રીએ ઠાકોરોને ઉશ્કેર્યા છે. ગઇકાલે નિતીન પટેલે એવુ નિવેદન કર્યુંકે, ઠાકોર સેના એલાન આપે, કાર્યકરો આંદોલન કરે, અને પરપ્રાંતીયોને ધમકી આપે જેનો મતલબ સાફ છેકે, ઠાકોરસેનાના આગેવાનો સંડોવાયેલા છે અને સીધી ભૂમિકા છે. લોકોમાં ચર્ચા છેકે, પાટીદાર આંદોલનને યુ ટર્ન આપવા નાયબ મુખ્યમંત્રીને જ જાણે ઠાકોરેને ઉશ્કેરવામાં રસ જાગ્યો હતો જેના કારણે તેમણે આવુ નિવેદન કર્યુ હતું.
 
જો કે ગુજરાત પોલીસે આ ઘટનાને લઈને એક્શન પ્લાન કર્યો છે સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, “છેલ્લા 48 કલાકમાં કોઇપણ અનિચ્છનીય ઘટના બની નથી. પરપ્રાંતિયો પર હુમલાને લઇને રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.” તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મામલે ગુજરાત સરકાર પાસે રીપોર્ટ માંગ્યો છે.