ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 માર્ચ 2017 (14:20 IST)

મોદીના આગમન ટાણે ભાજપ શક્તિ પ્રદર્શન કરશે, નલિયાકાંડ - જનઆંદોલનો ભૂલાવવા રાજકીય ડ્રામા

નલિયાકાંડે ભાજપની રાજકીય પ્રતિષ્ઠા ખરડી છે . ભાજપની રાજકીય પરિસ્થિતી દયનીય બની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. ૭-૮મી માર્ચે મોદીના આગમન ટાણે જોરદાર સ્વાગત કરવા ભાજપે પૂરજોશમાં તૈયારીઓ કરી છે. ગુજરાતના મતદારોની માનસપટ પરથી નલિયાકાંડ અને જનઆંદોલનો ભૂંસવા માટે ભાજપ શક્તિ પ્રદર્શન કરી રાજકીય ડ્રામા કરવા તૈયારી કરી રહ્યું છે.

સૂત્રોના મતે, ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભાજપના કાર્યકરો જોરદાર સ્વાગત કરશે. આ ઉપરાંત દહેજ પ્લાન્ટ અને ભરૃચના કેબલબ્રિજના લોકાપર્ણના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા ભાજપે તૈયારીઓ કરી છે. મતવિસ્તારોમાંથી કાર્યકરોને લાવવા માટે ભાજપના નેતાઓને જવાબદારી સોંપાઇ છે. આમ, મોટી જનમેદની એકત્ર કરી ભાજપ તરફી માહોલ ઉભો કરવામાં આવશે.

પાટીદારો, દલિતો, ઓબીસીએ ભાજપ સામે બાંયો ખેંચી છે ત્યારે જનઆંદોલનોને પગલે ભાજપની મુશ્કેલી વધી છે. હવે તો ભાજપના મંત્રી-સંગઠનના પદાધિકારીઓ સામે પણ પ્રજાઆક્રોશ વધી રહ્યો છે જેના પગલે વિધાનસભા સંકુલમાં ગૃહમંત્રી પર જુતુ ફેંકાયું હતું. આ ઘટના બાદ હજુયે વિરોધ થઇ શકે છે તેવી રાજકીય ભિતીને પગલે ભાજપના નેતાઓ મૂંઝવણમાં મૂકાયા છે . ૭મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં રાત્રીરોકાણ કરવાના છે ત્યારે ભાજપના ધારાસભ્ય,સાંસદ, પ્રદેશ મોરચાના વડાઓ પણ ઉપસ્થિત રહેશે. આ ડિનર ડિપ્લોમસી થકી મોદી પ્રજાઆક્રોશ સામે કેવી રીતે ટકી રહેવું તેની રાજકીય જડીબુટ્ટી આપશે. ભાજપના નેતાઓને વર્તમાન રાજકીય પરિસ્થિતીને કેવી રીતે થાળે પાડવી તેનો રાજકીય ઉકલ પણ સુઝાડશે.
કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ઉપરાંત અલ્પેશ ઠાકોર, જીજ્ઞોશ મેવાણી અને હાર્દિક પટેલ સામે ભાજપે કેવી રીતે બાથ ભિડવી તે અંગે પણ રાજકીય ચર્ચા આ ડિનરમાં થઇ શકે છે. ઉલ્લેખનીય છેકે, ગત વખતે પણ મોદીએ છેક કમલમ ખાતે આવીને નોટબંધી સામેનો પ્રજાવિરોધ ટાખવાની ટિપ્સ આપી હતી. આમ, નરેન્દ્ર મોદીની ગુજરાતની બે દિવસીય મુલાકાત પ્રદેશ ભાજપના નેતાઓ માટે રાજકીય ઓક્સિજન પુરુ પાડશે.