શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (16:15 IST)

જાણો વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતના શું છે કાર્યક્રમો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે 17 અને 18 જાન્યુઆરીએ ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારબાદ વડાપ્રધાન મોદી ૩૦મી જાન્યુઆરીએ ફરીથી ગુજરાત આવશે.
અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને સ્વતંત્રતા અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. ૩૦મી જાન્યુઆરીએ ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે ચપટી મીઠું ઉપાડી મીઠાના સત્યાગ્રહનું આંદોલન કર્યું હતું. ગાંધીજીની અંગ્રેજો સામેની આ કૂચ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. 
આથી કેન્દ્ર સરકાર દ્વારા આ ઐતિહાસિક સ્થળ દાંડી ખાતે મહાત્મા ગાંધીજીનું સ્મરણ જળવાઈ રહે તે માટે સ્થળને વિકસાવવાનો નિર્ણય કરાયો છે. જેના ભાગરૂપે નવસારીથી લગભગ 20 કિલોમીટર દૂર દાંડી ખાતે કેન્દ્ર સરકારે 72 કરોડથી વધુના ખર્ચે અહીં મહાત્મા ગાંધીની પ્રતિમાનું તળાવ અને ગાંધીજીના આબેહૂબ ચિત્ર સાથેની વિશાળ ગેલેરી બનાવી છે.
ઉપરાંત દાંડીના સત્યાગ્રહમાં ભાગ લેનારા અન્ય 60થી વધુ સ્વાતંત્ર સૈનિકોની પ્રતિમાઓ પણ બનાવી છે. આજની યુવા પેઢી અને દેશ-વિદેશના લોકો દાંડી ખાતે આવીને ગાંધીજીએ અંગ્રેજોને આપેલી ઐતિહાસિક લડતની જાણકારી મેળવી શકે તે માટે સમગ્ર દાંડીને એક ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવાશે. ચપટી મીઠું ઉપાડીને અંગ્રેજો સામે સત્યાગ્રહ કરતાં પહેલાં ગાંધીજીએ દાંડી ખાતે એક પ્રાર્થના સભા યોજેલી. 
દાંડી ખાતે મહાત્મા ગાંધીની યાદગીરીમાં તૈયાર થઇ રહેલા એક પ્રકારના સ્મારકનો તમામ ખર્ચ કેન્દ્ર સરકારે ઉઠાવ્યો છે. છેલ્લા છ મહિનાથી તેનું કામ ધમધોકાર ચાલી રહ્યું હતું. જે હવે પૂર્ણ થવાના તબક્કામાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦મી જાન્યુઆરીએ સવારે આવશે અને દક્ષિણ ગુજરાતમાં આવેલા સેલવાસ ખાતે જઈને એક મેડિકલ કોલેજના કાર્યક્રમમાં હાજર રહેશે ત્યારબાદ સમગ્ર પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. દાંડીના વહીવટીતંત્ર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમ માટેની તમામ તૈયારી પૂરી કરી દેવાઈ છે.