શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 એપ્રિલ 2018 (11:43 IST)

સુરતમાં બળાત્કાર કેસમાં આસારામના પુત્ર નારાયણ સાંઈને કોર્ટમાં રજુ કરાયો

યૌન શોષણ કેસમાં આસારામને સજા થયા બાદ તેનો પુત્ર નારાયણ સાંઈને બળાત્કાર કેસમાં આજે (ગુરૂવાર) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સુરતની બે સાધિકા બહેનોએ આસારામના પુત્ર નારાયણ સાંઈ પર દુષ્કર્મનો કેસ કરેલો છે. આ કેસમાં નારાયણ સાંઈને કોર્ટમાં ગઈ કાલે રજૂ થવાનું હતું. પોલીસે સુરક્ષાનું કારણ આપી આજરોજ કોર્ટમાં રજૂ કરવા રજૂઆત કરી હતી. જે બાદ કોર્ટે પોલીસની અરજીનો સ્વિકાર કર્યો હતો. જેથી આજે રજૂ કરવામાં આવ્યો હતો.નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં આશરે 4 વર્ષથી બંધ છે.

નારાયણ સાંઈ વિરુદ્ધ સુરતની બે બહેનોએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. જોધપુર કોર્ટ દ્વારા આસારામને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા સંભળાવતા સુરતની બંને બહેનોને આશા અને વિશ્વાસ છે કે તેને પણ ન્યાય જરૂર મળશે. નારાયણ સાંઈને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન મીડિયા દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા. જોકે, નારાયણ સાંઈ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હાલ સાધિકા રેપ કેસમાં સુનાવણી ચાલી રહી છે. આ સુનાવમી લાંબી ચાલે તેવી સંભાવનાઓ રહેલી છે.નારાયણ સાંઈ હાલ લાજપોર જેલમાં સમય વિતાવી રહ્યો છે. ત્યારે મહેલ જેવા આશ્રમોમાં લક્ઝુરિયસ લાઈફ જીવતા અને ગમે ત્યારે ફૂલ ફેંકીને સાધિકાઓ સાથે સહશયન કરવા માટે જાણીતા બનેલા નારાયણ સાંઈને લાજપોર જેલમાં બિમારીઓનો ભોગ બન્યો છે. નારાયણ સાંઈને કમર, હાડકાંનો રોગ થયો છે. સાથે જ દાંતના અને જડબાને લગતાં રોગો થયા હોવાની અવારનવાર ફરિયાદ કરતો રહે છે. જેથી તેને અવારનવાર સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતો હોય છે.