શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 જુલાઈ 2017 (16:17 IST)

રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૦૭ હાઇ એલર્ટ -નર્મદા ડેમની જળ સપાટી ૧૧૭ મીટર

રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૫/૦૭/૨૦૧૭ના રોજ સવારે ૮-૦૦ કલાકની સ્થિતિએ વ્યાપક વરસાદને કારણે રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૦૭ જળાશયો હાઇ એલર્ટ તેમજ ૦૫ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યના ૨૦૩ જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા કુલ ૧૫૭૭૦.૩૯ મિલિયન કયુબીક મીટર પૈકી હાલમાં ૫૨૧૭.૮૫ મિલિયન કયુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે.


ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૭ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ ૮૫.૨૬ ટકા જેટલો ભરાયો છે. રાજ્યના જે જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે તેમાં કચ્છ જિલ્લાના ફતેહગઢ, જામનગર જિલ્લાના  કનકાવતી, મોરબી જિલ્લાના ડેમી-૩ અને મચ્છુ-૩, રાજકોટ જિલ્લાના ખોડાપીપર અને સુરેન્દ્રનગર જિલ્લાના મોરશલ અને ત્રિવેણીસંગ એમ કુલ-૦૭ જળાશયો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ધોલી, જામનગર જિલ્લાના ઉન્ડ-ર, રાજકોટ જિલ્લાના આજી-ર, સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા એમ મળી કુલ ૦૪ને એલર્ટ તેમજ અન્ય ચાર જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.