શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 જુલાઈ 2017 (12:53 IST)

ગુજરાતમાં મુખ્યપ્રધાન અને ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કર્યું

આજે દેશમાં યોજાઈ રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાં પણ મતદાન યોજાઈ રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં મતદાન મથક બનાવાયું છે.ગુજરાતના તમામ 26 સાંસદો સહિત રાજ્યસભાના 11 સભ્યોએ દિલ્હીમાં જઈને મતદાન કર્યું હતું. જ્યારે ગુજરાતમાં વિધાનસભાના સ્વર્ણિંમ સંકુલ ખાતે મુખ્યપ્રધાન તથા ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. 

મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યું હતું. ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક સંસદસભ્યના મતનું મૂલ્ય 708 છે, જ્યારે ગુજરાતના એક ધારાસભ્યનું મૂલ્ય 147 છે. જે 1971ની વસ્તી ગણતરી એટલે કે 46 વર્ષ પહેલાંથી ચાલી આવતું આ મૂલ્ય છે. ખાસ કરીને સમગ્ર દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાન માટે એક ખાસ માર્કર પેનનો ઉપયોગ કરાશે. આ પેનથી જ મતદાન કરવાનું રહેશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુજરાતમાં સૌપ્રથમ વખત વિધાનસભાને બદલે સ્વર્ણિમ સંકુલ 2માં રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, કેમ કે, વિધાનસભાનું રિનોવેશન ચાલતું હોવાથી મતદાન મથક ત્યાં બની શકે તેમ નથી. આ ચૂંટણીમાં ધારાસભ્યો માટે ગુલાબી રંગનું બેલેટ પેપર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે સાંસદો અને રાજ્યસભાના સભ્યો માટે ગ્રે કલરનું બેલેટ પેપર તૈયાર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાંથી મતદાન થયા બાદ મતપેટીઓ દિલ્હી મોકલવામાં આવશે. જ્યાં મતગણતરી થયા બાદ પરિણામ જાહેર કરાશે.