શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (14:58 IST)

પોરબંદરના દરિયામાં માછીમારો ફસાયા, 2ના મૃતદેહો મળ્યા,8ને કોસ્ટગાર્ડે બચાવ્યાં

પોરબંદર જિલ્લામાં બે દિવસ સુધી ગાંડાતૂર બનેલા સમુદ્રમાં અનેક બોટો ફસાઇ હતી. છ માછીમારો લાપત્તા થયા હતા, તે પૈકી બે ખલાસીની લાશ પોરબંદરના સમુદ્ર કિનારેથી મળી છે જયારે હજૂ ચાર લાપત્તા હોવાથી તેની શોધખોળ હાથ ધરાઇ છે.જ્યારે દિવાદાંડી પાસે ફસાયેલી બોટના ૮ ખલાસીઓને કોસ્ડગાર્ડ બચાવી લીધા હતા. પોરબંદરની 'રોઝી કૃપા' નામની ફિશીંગ બોટે જળસમાધી લેતા આ બોટમાં એક ખલાસીનો બચાવ થયો હતો. જયારે ૪ ખલાસીઓ તોફાની મોજામાં ગરકાવ થઇ ગયા હતા. રામજીભાઇ પોસ્તરીયાની માલિકીના બોટના ગુમ થયેલા ચાર ખલાસીઓ પૈકી વલસાડ પંથકના જેન્તીભાઇ જગુભાઇ ભંડારી (ઉ.વ. ૨૮) અને દશરથ કાલીયાભાઇ નાગરીયા (ઉ.વ. ૨૯) ની લાશ ચોપાટી અને જુના બંદરના ગેઇટ નજીકથી મળી આવતા પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવી હતી. જયારે બે માચ્છીમારો હજુ દરિયામાં ગુમ છે. હર્ષદ અને મીયાણી વચ્ચેના દરિયામાં બે દિવસ પહેલા ડૂબી ગયેલી 'પુષ્પક' નામના ફિશીંગ બોટનો એક ખલાસી હજુ દરિયામાં ગુમ છે.પોરબંદરના ખીમજીભાઇ રામજીભાઇ મોતીવરસની માલિકીની 'ભીમેશ્વર' નામની ફિશીંગ બોટ દરિયામાં હતી ત્યારે જમનાદાસ રાજાભાઇ નામનો ૩૫ વર્ષીય કોડીનારના કોટડા ગામનો ખલાસી ગેસના ટાંકા પાસે અકસ્માતે દરિયામાં પડી ગયો હતો. આ ખલાસી પણ હજુ સુધી મળી આવ્યો નથી. પોરબંદરના હીરાલાલ ગગનભાઇ શિયાળ (ઇકુભાઇ) પરિવારની 'મયુર સાગર' નામની ફીશીંગ બોટ દિવાદાંડી પાસે મધદરિયે હતી ત્યારે એન્જીન બંધ પડતા લોઢ ઉછળતા મોજાને લીધે તે દિવાદાંડી પાસે ફેંકાઇને ફસાઇ જતાં સુરક્ષા એજન્સીઓની મદદ માંગવામાં આવતા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે રેસ્કયુ કરીને આ બોટમાં રહેલા ૮ ખલાસીઓને દોરડા વડે ઉગારવા માટે ગઇકાલે ત્રણ વખત પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી ત્યારબાદ આજે સવારે ફરી વાતાવરણ સારૃ થતાં કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી રેસ્કયુ કર્યું હતુ અને આ બોટના ખલાસીઓને દોરડા વડે બચાવી લેવાયા હતા

. નાવદ્રા અને ભોગાત વચ્ચેના દરિયા કીનારે પોરબંદરની 'જય ખોડીયાર કૃપા' બોટે જળસમાધી લેતા છ ખલાસી લાપત્તા બન્યા છે જ્યારે એક ખલાસીને સારવાર માટે પોરબંદર લાવવામાં આવ્યો છે.અન્ય એક કિસ્સામાં ઓખાની બોટ દરિયામાં ડુબતા પાંચ ખલાસી લાપતા થયા છે.જ્યારે પાંચ ખલાસીઓને બચાવી લેવાયા છે. પોરબંદરના ઉમેશભાઈ પાંજરીની માલીકીની જય ખોડીયાર કૃપા નામની ફીશીંગ બોટ ભોગાત અને નાવદ્રા વચ્ચેના દરિયામાં માછીમારી કરી રહી હતી ત્યારે તોફાની મોજાને કારણે પાટીયું તુટી જતાં આ બોટ ડુબવા લાગી હતી. મોડી રાત્રે બનેલા બનાવમાં કોઈની મદદ પણ મળી શકે તેવી પરિસ્થિતિ જણાઈ ન હતી. આવા સંજોગોમાં ડુબી રહેલી બોટમાંથી ઓસમાણ બેલીમ નામનો ખલાસી પાટીયુ તરી રહ્યું હતું તેના આધારે અન્ય બોટ સુધી પહોંચી જતા બચી ગયો હતો અને તેને સારવાર માટે શુક્રવારે મોડી સાંજે પોરબંદર લવાતા બોટમાલીક સહિત માછીમાર બોટ એસો.ના પ્રમુખ ભરતભાઈ મોદી અને આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા.બચીને આવેલા ખલાસી ઓસમાણે માહિતી આપતા જણાવ્યું હતું કે ડોરાસા અને નન્ના સહિતના પંથકના યાસીન ઈબ્રાહીમ બેલીમ, શબીર બેલીમ, હુશેન સેતા, શબીર, રામ તથા એક અજાણ્યો ખલાસી એમ છ માછીમારો હજુ દરિયામાં ગરકાવ થયા છે અને તેનો કોઈ જ પત્તો મળ્યો નથી. સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી છે પરંતુ બનાવના બે દિવસથી વધુનો સમય વિતી ગયો હોવાથી જીવીત હોવાની શક્યતા નહીંવત છે. છેલ્લા ત્રણ દિવસથી દરીયામાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે અને વરસાદ પણ પડી રહ્યો છે જેમાં મુળ માંગરોળની અને ઓખા બંદરથી ચાલુ સપ્તાહમાં માછીમારી માટે ગયેલી ખોડીયારદેવી-૨ જીજે૨૧એમએમ-૫૮ ઓખાથી ૩૦થી ૩૫ માઈલ દુર દરીયામાં માછીમારી કરી રહી હતી. તે દરમ્યાન અચાનક બોટમાં પાણી ભરાતા બોટ ડુબવા લાગી હતી અને બોટમાં સવાર દશ ખલાસીઓએ જીવ બચાવવા દરીયામાં કુદી પડયા હતા. જેમાંથી પાંચ ખલાસીઓને નજીકમાં માછીમારી કરતી બોટોએ બચાવી લીધા છે. જ્યારે અન્ય પાંચ ખલાસી હજુ લાપતા હોવાના અહેવાલ બોટના માલિક જયેશ ટંડેલ દ્વારા મળેલ છે, જ્યારે લાપતા ખલાસીઓની શોધખોળ ચાલુ હોવાનું બોટ માલીક દ્વારા જણાવવામાં આવ્યું છે.