શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (16:21 IST)

ગુજરાતના ૩.૮૪ કરોડ ગરીબોને હવે ઉચ્ચ ગુણવત્તાનું અનાજ મળશે: મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

રાજ્યમાં ૧૭ હજાર ઉપરાંત વાજબી ભાવની સસ્તા અનાજની દુકાનો પરથી રાહત દરે ખાદ્યાન્ન, તેલ, કઠોળ મેળવતા ૩.૮૪ કરોડ લાભાર્થીઓ તેમ જ ૩૩ હજાર મધ્યાહ્ન ભોજન કેન્દ્રોના ૩૯ લાખ બાળકો અને પ૩ હજાર આંગણવાડીના ૬પ લાખ જેટલાં ભુલકાંઓને શુદ્ધ-ગુણવત્તાયુકત અનાજ-કઠોળ-તેલ વગેરે મળી રહે તે માટે કવોલિટીમાં કોઇ જ કોમ્પ્રોમાઇઝ ન થાય અને ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટ થયેલ પ્રમાણિત પુરવઠો જ મળે તેવો સરકારનો ધ્યેય રહ્યો છે એવું વિજય રૂપાણીએ જણાવ્યું હતું. રૂપાણીએ રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે વિતરીત થતા અનાજ અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા-કવોલિટી ઉચ્ચકક્ષાની મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવાનું નવતર સોપાન ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યું હતું મુખ્ય પ્રધાને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના સહયોગથી ગાંધીનગરમાં રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલી અદ્યતન ફૂડ રિસર્ચ લેબોરેટરીનો કાર્યારંભ કરાવતા કહ્યું હતું કે, જરૂરતમંદોને અપાતા ખાદ્યાન્નની ગુણવત્તામાં ભેળસેળ-હલકી કક્ષા સામે ઝિરો ટોલરન્સ માટે આ ફૂડ રિસર્ચ લેબોરેટરી એક સક્ષમ માધ્યમ બનશે. આ લેબોરેટરીના પ્રારંભ વેળાએ કાયદો-ન્યાયતંત્ર પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અન્ન-નાગરિક પુરવઠા પ્રધાન જયેશભાઇ રાદડીયા, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષ રાજેશ પાઠક તેમ જ અન્ન-નાગરિક પુરવઠા વિભાગના વરિષ્ઠ સચિવો, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના અધિકારીઓ પણ જોડાયા હતા.