શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (11:33 IST)

મુખ્યપ્રધાન રૂપાણીની ગાડી પર બમ્પર ગાર્ડ લગાવતાં કેન્દ્ર સરકારનો નિયમ તોડ્યો

કાર સહિતના ફોર વ્હીલરમાં આગળના ભાગે ફિટ કરવામાં આવતા લોખંડ કે સ્ટીલના બુલબાર-ક્રેશ ગાર્ડના ફિટમેન્ટને વાહન વ્યવહાર વિભાગે ગેરકાયદેસર જાહેર કર્યું છે. જેથી આવા વાહનો પરથી સાદી ભાષામાં જેને બમ્પર ગાર્ડ કહેવાય છે તેવા બુલબારને દૂર કરવા આદેશ અપાયો છે. ઉપરાંત વાહનમાલિકો સામે શિક્ષાત્મક પગલાં ભરવા પણ આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા અપાયેલી સૂચના બાદ રાજયના વાહન વ્યવહાર વિભાગે આ અંગે સત્તાવાર પરિપત્ર કરી તમામ આરટીઓ અધિકારીને પગલાં ભરવા આદેશ કર્યો છે. પરિપત્રમાં જણાવ્યું છે કે, મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 52 મુજબ વાહનો પર ક્રેશ ગાર્ડ- બુલબારનું ફિટમેન્ટ ગેરકાયદેસર છે. વાહનની આગળના ભાગે ફિટ કરવામાં આવતા લોખંડના કે સ્ટીલના બુલબારથી રાહદારીઓ, સાઈકલસવારો, બાઈકસવારોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. ઉપરાંત એક અભ્યાસ પ્રમાણે બુલબારથી કારના એરબેગના સેન્સર પણ યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આથી વાહનો પરના આવા ક્રેશ ગાર્ડ-બુલબાર દૂર કરાવવા માટે સૂચના આપવામાં આવે છે. ઉપરાંત એમ.વી. એકટ 1988ની કલમ 190 અને 191 પ્રમાણે શિક્ષાત્મક પગલાં લેવા માટે પણ સૂચના આપવામાં આવે છે. વાહન વ્યવહાર કમિશનર દ્વારા પરિપત્ર જાહેર કરી તમામ આરટીઓ અધિકારીઓને વાહનો પરથી બમ્બર ગાર્ડ દૂર કરાવવા માટે આદેશ આપ્યો છે. હવે આરટીઓની ટીમ દ્વારા કાર સહિતના ફોર વ્હીલરમાં લગાવાયેલા બમ્પર ગાર્ડ દૂર કરવાની કાર્યવાહી ક્યારે હાથ ધરાશે તે જોવું રહ્યું. જે.વી. શાહ, એઆરટીઓ એ જણાવ્યું હતું કે કાર સહિતના ચાર પૈડાવાળા વાહનોમાં લગાવાતા ક્રેશગાર્ડ પર પ્રતિબંધ ફરમાવ્યાનો પરિપત્ર મળ્યો છે. નજીકના દિવસોમાં જે કાર કે અન્ય વાહનોમાં ગાર્ડ લગાવેલા હશે તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ આ ગાર્ડસ કંપનીમાંથી તૈયાર થઈને આવતી કારમાં હોતા નથી પણ ગ્રાહકો પાછળથી લગાવી લેતા હોય છે. જેને ઘાતક માનવામાં આવે છે. આગળના ભાગમાં એરબેગના સેન્સર હોય છે. ગાર્ડના લીધે અકસ્માત સમયે સેન્સર કમાન્ડ લઇ શકતા ન હોવાને લીધે એરબેગ ખુલતા નથી. પરિણામે અકસ્માતમાં જાનહાની વધુ થાય છે તેથી આ ગાર્ડ સો ટકા નુકસાનકારક છે.