ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (17:23 IST)

બોરનું પાણી પુરું પાડવાનું હોવાથી અમદાવાદીઓને હવે પાણી પીવા માટે RO વિના ચાલશે નહીં

ગુજરાતમાં હાલ પાણીની ગંભીર કટોકટી ઉભી થવાને કારણે અમદાવાદીઓને પણ પાણી કાપનો સામનો કરવો પડશે. શહેરીજનોને બોરનું પાણી પુરું પાડવાનું હોવાથી ઉનાળામાં ક્ષારવાળું પાણી પીવાનો વારો આવશે. આમ લોકોને RO વિના ચાલશે નહીં. જો બોરમાંથી આવતા ક્ષાર વાળા પાણીને લઈ અમદાવાદીઓ એલર્ટ નહીં થાય તો રોગનો ભોગ બનવું પડશે. અમદાવાદને દૈનિક મળતું 1200 એમએલડી પીવાનું પાણી નર્મદામાંથી મળે છે. નર્મદામાં પાણીની અછત સર્જાતા હવે આગામી દિવસોમાં શહેરમાં 30 ટકા અર્થાત્ 360 થી 400 એમએલડી પાણીનો કાપ સર્જાશે.શહેરમાં કુલ 257 આઈસોલેટેડ બોર છે.  પાણીકાપને પહોંચી વળવા આ બોર ચલાવાશે. અમદાવાદ મહાનગર પાલિકાએ પીવાના પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે બોરની વ્યવસ્થા કરી રહી છે.





જેના માટે રૂપિયા 5.25 કરોડનાં ખર્ચે નવા 30 બોર બનાવવવામાં આવશે. બોરની વ્યવસ્થાને કારણે પીવાના પાણીની સમસ્યા હલ થઈ શકે છે. શહેરમાં અત્યાર સુધી નર્મદાનું સરફેસ થયેલું શુધ્ધ પાણી મળતું હતું તે હવે બંધ થઈ જશે. એએમસી દ્વારા નવા 30 બોર ઊપરાંત હાલના 214 બોરને વધુ ક્ષમતાથી ચલાવાશે. જેના લીધે બોરમાંથી હાલ અપાતા 100 એમ.એલ.ડી.ના બદલે 150 એમ.એલ.ડી. પાણી મળતું થઈ જશે.  ઊનાળામાં અમદાવાદીઓને અપાનારા બોરના પાણીની વ્યવસ્થા એવી છે કે બોરના પાણી સીધા જ પાણીની ટાંકીમાં નંખાશે અને આ ટાંકીના પાણી પીવા માટે આપવામાં આવશે. પરિણામે બોરના પાણીનો ક્ષાર અમદાવાદીઓના ઘર સુધી પહોંચશે.