શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 એપ્રિલ 2018 (16:36 IST)

શું વાત કરો છો ? હવે આશ્રમરોડથી ગાંધીજીને વાડજ મોકલાશે?

છેલ્લા પાંચ દાયકાથી અમદાવાદના આશ્રમરોડ ઉપર ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસેની ગાંધીજીની પ્રતિમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઈનકમ ટેક્સ ચાર રસ્તા પાસે બની રહેલા ફ્લાયઓવરને કારણે પાછલા પાંચ દશકથી ત્યાં સ્થાપિત ગાંધીજીની પ્રતિમા ઢંકાઈ જાય તેમ લાગી રહ્યું છે. આ બાબતે અમુક નાગરિકો અને ગાંધીજીના અનુયાયીઓએ પ્રતિમાને અન્ય સ્થળ પર સ્થાપિત કરવાનો વિચાર વિમર્શ કર્યો છે. 60 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો 21.5 મીટર પહોળો અને 805 મીટર લાંબો ફ્લાયઓવર ગુજરાત વિદ્યાપઠીથી પોપ્યુલર હાઉસ સુધી જશે અને ઈનકમ ટેક્સ જંક્શન પાસેથી પસાર થશે.

ગાંધીવાદી સંસ્થાઓ AMCના ચીફને લેખિતમાં અરજી કરશે કે આ પ્રતિમાને અહીંથી ખસેડીને દાંડી ચોક સ્થાપિત કરવામાં આવે. 1930માં થયેલી દાંડી યાત્રા દરમિયાન ગાંધીજી દાંડી ચોક અને વાડજ ચાર રસ્તા પરથી પણ પસાર થયા હતા. માટે અહીં આ પ્રતિમા સ્થપી શકાય છે. આ સિવાય ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન(KVIC) દ્વારા ડોનેટ કરવામાં આવેલો સ્ટીલનો ચરખો પણ સાબરમતી આશ્રમ દ્વારા દાંડી ચોક પર મુકવામાં આવશે. ગાંધી આશ્રમના ટ્રસ્ટી અને SEWAના ચીફ ઈલા ભટ્ટ તેમજ કાર્તિકેય સારાભાઈ દ્વારા શહેરની ચાર ગાંધીયન ઈન્સ્ટિટ્યુશનને આગળ આવીને પ્રતિમાને અન્ય સ્થળ પર ખસેડવા બાબતે કમિશનર સમક્ષ પ્રસ્તાવ મુકવાની અપીલ કરવામાં આવી છે. ગાંધી આશ્રમના નવા ડિરેક્ટર અતુલ પંડ્યાએ એક અંગેજી અખબારને જણાવ્યુ હતુ કે, અમને લાગે છે કે ફ્લાયઓવરને કારણે પ્રતિમાની પ્રતિભા ઓછી થઈ જશે. માટે નક્કી કરવામાં આવ્યું છે કે સાબરમતી આશ્રમની આગેવાનીમાં ઈલાબેન ભટ્ટ અન્ય ગાંધીવાદી સંસ્થાનોને લેટર લખીને આ બાબતે આગળ આવવાની અપીલ કરશે. તાજેતરમાં અમને KVIC દ્વારા સ્ટીલનો વિશાળ ચરખો મળ્યો છે અને અમને લાગી રહ્યું છે કે પ્રતિમા અને ચરખાની સ્થાપના માટે દાંડી ચોક યોગ્ય સ્થાન રહેશે. પ્રતિમા AMCની માલિકીની જમીન પર સ્થાપિત હોવાને કારણે અંતિમ નિર્ણય તેમણે જ લેવાનો રહેશે. ગુજરાત હરિજન સેવક સંઘ, સફાઈ વિદ્યાલય, આશ્રમ ગૌશાળા અને ખાદી ગ્રામઉદ્યોગ બોર્ડ, આ ચાર સંસ્થાનોને લેટર મોકલવામાં આવ્યો છે. ઈલા બેન ભટ્ટ આ બાબતે જણાવે છે કે, આટલા મોટા ઓવરબ્રિજનું પ્લાનિંગ કરતી વખતે પ્રતિમા વિષે વિચાર કરવામાં ન આવ્યો તે દુખની વાત છે. પરંતુ અન્ય ચાર ગાંધીવાદી સંસ્થાનોની મદદથી અમે હસ્તક્ષેપ કરીશું. વાડજ ચાર રસ્તા પણ સારું લોકેશન છે. એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં AMCના કમિશનર મુકેશ કુમારે કહ્યું કે, હું ટુંક સમયમાં આશ્રમના અધિકારીઓ સાથે મીટિંગ કરીશ અને આ વિષય પર ચર્ચા કરવામાં આવશે.